Gambhira bridge કેસમાં ગુજરાત હાઈકોર્ટે વ્યકત કરી નારાજગી, સરકારને કર્યા વેધક સવાલ, એડવોકેટ જનરલે માફી માગી

Gambhira bridge: વડોદરામાં ગત 9 જુલાઈ, 2025ના રોજ બુધવારે મોટી દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં પાદરા-જંબુસર વચ્ચે મહીસાગર નદી પર આવેલો 40 વર્ષ જૂનો ગંભીરા બ્રિજ તૂટી પડતાં કુલ 7 જેટલા વાહનો નદીમાં ખાબક્યા હતા. જ્યારે એક ટ્રક બ્રિજ પર લટકતી હાલતમાં રહી ગયો હતો. સમગ્ર ઘટનામાં અત્યાર સુધીમાં 20 લોકોનાં મોત થયા છે. જેમાં 10થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જે અંગે ગુજરાત હાઈકોર્ટમાં અરજી થઈ હતી. જેથી ગુજરાત હાઈકોર્ટે રાજ્યમાં વધુ પુલ તૂટી પડતા નારાજગી દર્શાવી છે. પુલના ઈન્સ્પેક્શન વિશે કોર્ટે રાજ્ય સરકારને વેધક સવાલ કર્યા હતા. ચોમાસા પહેલા અને ચોમાસા બાદ પુલનું ઈન્સ્પેક્શન થવાનું હતું તેમ છતાં વડોદરામાં ગંભીરા બ્રિજ તૂટી પડયાની દુર્ઘટના ઘટી હોવાનું હાઈકોર્ટે જણાવ્યું હતું. જેથી રાજ્ય સરકાર વતી એડવોકેટ જનરલે કોર્ટમાં માફી માંગી હતી.
ગુજરાત હાઈકોર્ટમાં વડોદરાના ગંભીરા બ્રિજ અંગે સુનાવણીમાં રાજ્ય સરકારને લઈ નારાજગી દર્શાવી હતી. આ ઉપરાંત પુલના નિરીક્ષણ અને અન્ય બાબતોને લઈ સરકારને સવાલ કર્યા હતા. આ ઉપરાંત, માર્ગ અને મકાન વિભાગની કામગીરીને લઈ હાઇકોર્ટે વ્યક્ત અસંતોષ વ્યક્ત કર્યો હતો. અધિકારીઓ હાલ રાજ્યના બ્રિજનું ઇન્સ્પેક્શન કરી રહ્યા હોવાનો એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ કોર્ટમાં દાવો કર્યો હતો. હાલ તમામ અધિકારીઓને કહી તપાસ રિપોર્ટ મંગાવવામાં આવ્યા હોવાનું એડવોકેટ જનરલે કોર્ટમાં જણાવ્યું હતું.
વડોદરાના ગંભીરા બ્રિજ તૂટવા મુદ્દે હાઈકોર્ટ લાલઘૂમ
રાજ્ય સરકાર વતી એડવોકેટ જનરલે હાઈકોર્ટ સમક્ષ માફી માંગી હતી. તેમણે કોર્ટને માહિતી આપી હતી કે હાલ તમામ સંબંધિત અધિકારીઓ પાસેથી તપાસ રિપોર્ટ મંગાવવામાં આવ્યો છે. આ ઘટનાએ રાજ્યના માળખાકીય સુવિધાઓના નિરીક્ષણ અને જાળવણી પર ગંભીર સવાલો ઉભા કર્યા છે. હાઈકોર્ટની આ કડક ટિપ્પણી બાદ હવે સરકાર પર જવાબદારી અને પારદર્શિતા વધારવા દબાણ વધી ગયું છે.
મહત્વનું છે કે મોરબી બ્રિજ દુર્ઘટનામાં મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં સુઓ મોટો અરજી દાખલ કરવામાં આવી છે, જે કેસની આજે વધુ સુનાવણી હાથ ધરાઈ હતી. જેમાં આજે યોજાયેલી સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ સુનિતા અગરવાલની બેન્ચમાં વડોદરાના ગંભીરા બ્રિજ દુર્ઘટના મુદ્દે પણ ચર્ચા થઈ હતી.

