VIDEO: વડાપ્રધાનના જન્મદિવસ નિમિત્તે અમદાવાદમાં શરૂ થશે ‘હરિત ઘર, સ્વસ્થ સમાજ’ અભિયાન
વર્તમાન સમયમાં કિચન ટેરેસ ગાર્ડનનો ટ્રેન્ડ વધી રહ્યો છે ત્યારે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ૭૬મા જન્મદિવસની પૂર્વસંધ્યાએ વિશ્વ ગુજરાતી સમાજ દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને આઇ-હબના સહયોગથી ‘હરિત ઘર, સ્વસ્થ સમાજ’ અભિયાન અંતર્ગત અમદાવાદમાં ૭૬ હજાર કિચન ગાર્ડનના રોપાંના વિતરણનો પ્રારંભ કરવામાં આવશે. આગામી ૧૬ સપ્ટેમ્બરથી શરૂ થનારા આ અભિયાનનો મુખ્ય હેતુ નાગરિકોને પોતાના ઘરમાં જ ઓર્ગેનિક શાકભાજી ઉગાડવા માટે પ્રોત્સાહિત કરવાનો અને તંદુરસ્ત જીવનશૈલી અપનાવવાની જાગૃતિ લાવવાનો છે. આ વિશેષ અભિયાન હેઠળ ટામેટાં, રીંગણ, મરચાં, દૂધી, તુરીયા અને કાકડી જેવા ઉપયોગી રોપાંનું વિનામૂલ્યે વિતરણ કરાશે. એટલું જ નહીં, રોપાં મેળવનાર લોકોને તેની યોગ્ય જાળવણી અને વાવેતરની પદ્ધતિઓ અંગે પણ વિશેષ તાલીમ અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે.

