સ્માર્ટ સિટી અમદાવાદમાં કરોડોના બ્યુટીફિકેશન બાદ પણ પાલિકાના તળાવોની હાલત કફોડી

સ્માર્ટ સિટી અમદાવાદમાં ૧૫૦ કરતાં વધારે તળાવ આવેલા છે. જેના બ્યુટીફિકેશન માટે અમદાવાદ મહાનગરપાલિકા દર વર્ષે કરોડોનો ખર્ચો કરે છે. તળાવ માટે વિવિધ યોજનાઓ બનાવી અને કરોડો રૂપિયાનો ખર્ચ કરાતાં પણ પરિસ્થિતિમાં કોઈ ફેર પડ્યો નથી. તળાવ પાણી વિનાના બન્યા છે, તો જ્યાં પાણી છે તે પણ ડ્રેનેજના પાણી જોવા મળે છે. મેમનગર તળાવ સુકાઈ ગયેલું છે, તો વેજલપુર વિસ્તારમાં આવેલ મલાવ તળાવમાં થોડું પાણી છે તે પણ ગટરોમાંથી ડ્રેનેજનું ખરાબ પાણી આવી રહ્યું છે.
ખુદ વોટર એન્ડ સુએજ કમિટીના ચેરમેનના વિસ્તારમાં જ આ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી હોય તો અન્ય વિસ્તારની ક્યાં વાત કરવી? આવી સ્થિતિ શહેરના અન્ય તળાવોની પણ જોવા મળી રહી છે. ડ્રેનેજવાળા પાણીથી ભરેલા તળાવને કારણે મોર્નિંગ વોક માટે આવતા લોકોને શુદ્ધ હવા નથી મળતી. આ ગટરના દુર્ગંધ મારતા પાણીને કારણે લોકો મોર્નિંગ વોક માટે તથા પરિવાર, મિત્રો સાથે આનંદ માણવા આવતા નથી. લોકો પણ તળાવની દુર્દશા જોઈ નિરાશા અનુભવી રહ્યા છે.
તંત્ર દર વખતની જેમ સરકારી જવાબ આપી રહ્યું છે કે, તળાવ ભરાઈ રહે તે માટે STP પ્લાન્ટ તૈયાર કરી પાણી ટ્રીટ કરી તળાવમાં નાખવામાં આવશે. દર વર્ષે તળાવમાં પાણી ભરાવવાની વાતો કરતું તંત્ર માત્ર વાતો કરે છે. તળાવોની સ્થિતિમાં કોઈ ફેર પડતો નથી, માત્ર પ્રજાના નાણાંનો વ્યય થાય છે. આ મામલે અમદાવાદ મહાનગર પાલિકા ગંભીરતાથી ક્યારે પગલાં ઉઠાવશે તે હવે જોવું રહ્યું.

