બુલેટ ટ્રેનના પ્રેમીઓ માટે મોટા સમાચાર: આવતા વર્ષથી શરૂ થશે કોમર્શિયલ ઓપરેશન, રેલવે મંત્રીની મોટી જાહેરાત

Big news for bullet train lovers: કેન્દ્રીય બજેટ 2026 બાદ ગુજરાતના રેલવે માળખાને વેગ આપવા માટે કેન્દ્ર સરકારે તિજોરી ખોલી દીધી છે. કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી પત્રકારો સાથે સંવાદ કરતા જણાવ્યું કે, ગુજરાત રેલવે ડિવિઝન માટે આ વર્ષે ₹17,366 કરોડની ઐતિહાસિક ફાળવણી કરવામાં આવી છે. આ રકમ કોંગ્રેસ શાસન દરમિયાન મળતી ફાળવણી કરતા 29 ગણી વધારે છે.
બુલેટ ટ્રેન અને ઈલેક્ટ્રીફિક્શન
રેલવે મંત્રીએ મહત્વની જાણકારી આપતા કહ્યું કે, ગુજરાતમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે અને આવતા વર્ષ સુધીમાં તેનું કોમર્શિયલ ઓપરેશન શરૂ કરવાનું લક્ષ્ય છે. આ ઉપરાંત, ગુજરાતમાં રેલવે લાઇનનું 100% વિધ્યુતિકરણ (ઇલેક્ટ્રિફિકેશન) પૂર્ણ થઈ ગયું છે, જે પર્યાવરણ અને ઝડપની દ્રષ્ટિએ અદભુત સિદ્ધિ છે.
નવા સ્ટેશનો અને પ્રોજેક્ટ્સ
હાલ ગુજરાતમાં કુલ 1.28 લાખ કરોડના રેલવે પ્રોજેક્ટ્સ કાર્યરત છે. રાજ્યમાં 87 નવા રેલવે સ્ટેશનોનું આધુનિકીકરણ અને નિર્માણ થઈ રહ્યું છે. ડેડિકેટેડ ફ્રેટ કોરિડોરને કારણે દરિયાકિનારેથી સામાન રાજ્યના અન્ય ભાગોમાં ઝડપથી પહોંચી શકશે, જેનાથી વેપાર-રોજગાર અને લોકોની આજીવિકાને વેગ મળશે.
રેલવેની વધતી આવક
ભારતીય રેલવેની આવકમાં પણ મોટો ઉછાળો જોવા મળ્યો છે. કુલ રેવન્યુ 2.78 લાખ કરોડ સુધી પહોંચ્યું છે, જેમાં પેસેન્જર ટ્રેન અને કોમર્શિયલ રેલ બંનેના નફામાં નોંધપાત્ર વધારો થયો છે. ગુજરાતમાં આગામી સમયમાં અનેક નવી ટ્રેનો પણ શરૂ કરવામાં આવશે તેવી મંત્રીએ ખાતરી આપી હતી.

