AMC Action: અમદાવાદમાં પાણીપૂરીની લારીઓ પર મ્યુનિસિપલ કોર્પોરેશન ત્રાટક્યું, 5 ઝોનમાં સપાટો બોલાવી અનેક દબાણો દૂર કરાયા

Ahmedabad news: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ તેમજ હેલ્થ વિભાગ દ્વારા શહેરમાં જાહેર માર્ગો, ચોરાહાઓ તથા વ્યસ્ત વિસ્તારોમાં ઉભા થતા અતિક્રમણ સામે સતત અને ઝોનવાઈઝ સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ અભિયાનનો મુખ્ય હેતુ ટ્રાફિક અવરોધ દૂર કરવાનો, પગપાળા નાગરિકોને સરળ આવન-જાવન સુલભ કરાવવાનો તેમજ જાહેર માર્ગો પર વ્યવસ્થા જાળવવાનો છે અને નાગરિકોને સ્વસ્થ જીવનશૈલી આપવાનો છે.
સાઉથ ઝોન વિસ્તારમાં મણિનગર ક્રોસ રોડથી રાધા મંદિર, ગોવિંદ વાડીથી વિશાલનગર અને ઈસનપુર બસ સ્ટેન્ડ સહિતના વિસ્તારોમાં દબાણ હટાવવાની કાર્યવાહી કરવામાં આવી હતી. તેમજ ઝોનલ ઓફિસથી દાણિલિમડા ક્રોસ રોડ, મેલડી માતા મંદિરથી કલ્યાણજી આનંદજી બ્લોક સુધીના માર્ગો પર ચેકિંગ હાથ ધરાયું હતું. આ કામગીરી દરમિયાન 12 લારીઓ, 78 પરચૂરણ જપ્ત કરવામાં આવ્યા હતા તેમજ રૂ. 9,000નો દંડ વસૂલવામાં આવ્યો હતો.
નૉર્થ ઝોનમાં શ્યામશિખર ક્રોસ રોડ, નરોડા વિસ્તારમાં વિજય પાર્ક ત્રિજંક્શન (બાટા શોરૂમ સામે), નરોડા BRTS ટર્મિનલ તથા ઠક્કરબાપાનગર રતનબા સ્કૂલ રોડ પર એસ્ટેટ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. આ ઝોનમાં કુલ 14 લારીઓ સામે કાર્યવાહી નોંધાઈ હતી.
સેન્ટ્રલ ઝોનમાં જામાલપુર ખાતે વસંત રાજાબ હોલ નજીક, અસરવાના પ્રભુનગર સર્કલ, ખાડિયા વિસ્તારમાં ST ગીતા મંદિર તથા ભૂતની અંબાલી જેવા વિસ્તારોમાં દબાણ દૂર કરવાની કામગીરી કરવામાં આવી હતી. અહીં 7 લારીઓ અને 46 પરચૂરણ સામે કાર્યવાહી કરવામાં આવી હોવાનું એસ્ટેટ વિભાગે જણાવ્યું છે.
આ ઉપરાંત ઈસ્ટ ઝોનમાં ગોમતીપુર ગામ, અમરાઈવાડી વિસ્તારમાં એપેરલ પાર્કથી રાધે કોમ્પ્લેક્સ સુધી તેમજ સ્વસ્તિક ક્રોસ રોડથી હાટકેશ્વર વિસ્તાર સુધી દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી હતી. આ ઝોનમાં કુલ 8 લારીઓ કબ્જામાં લેવામાં આવી હતી.
નૉર્થ વેસ્ટ ઝોન (NWZ)માં એસ્ટેટ વિભાગ દ્વારા હેલ્થ સ્ટાફ સાથે સંયુક્ત ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન 7 કાઉન્ટર, 9 લારીઓ, 6 લાકડાના ટેબલ અને 23 પરચુરણ જપ્ત કરવામાં આવ્યા હતા. ગોતા વોર્ડમાં સાયન્સ સિટી રોડ, સોલા ગામ, સિમ્સ હોસ્પિટલ રોડ તેમજ કારગીલથી ડમરુ સર્કલ સુધી, ચાંદલોડિયા વોર્ડમાં વંદેમાતરમ રોડ, રણછોડનગર અને ચાંદલોડિયા બ્રિજ પાસે તેમજ થલતેજ–બોડકદેવ વોર્ડમાં થલતેજ મેટ્રો રોડ, જજીસ બંગલો રોડ અને NFD સર્કલ રોડ પર કાર્યવાહી કરવામાં આવી હતી.
એસ્ટેટ વિભાગના જણાવ્યા અનુસાર, તાજેતરમાં મોટાભાગની કાર્યવાહી જાહેર માર્ગો પર ઉભી રહેતી પાણીપૂરીની લારીઓ પર કેન્દ્રિત રહી છે. અનિયંત્રિત રીતે ઉભી રહેતી આવી લારીઓના કારણે અનેક જગ્યાએ નવા દબાણો તેમજ ટ્રાફિક અવરોધ સર્જાતા હોવાની ફરિયાદો મળતાં, વિભાગ દ્વારા ખાસ ધ્યાન આપી કાર્યવાહી કરવામાં આવી છે. સાથે જ પાણીપૂરી સહિતના ફેરીયાઓને નિયમિત ઝોન અને મંજૂર સ્થળોએ જ વ્યવસાય કરવા સૂચના આપવામાં આવી છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે શહેરને દબાણમુક્ત અને વ્યવસ્થિત બનાવવા માટે આવી ઝોનવાઈઝ કાર્યવાહી આગામી દિવસોમાં પણ સતત ચાલુ રહેશે.
નાગરિકોને જાહેર માર્ગો પર અતિક્રમણ ન કરવા તેમજ શહેરની સ્વચ્છતા અને ટ્રાફિક વ્યવસ્થા જાળવવામાં સહકાર આપવા અપીલ કરવામાં આવી છે.

