Ahmedabad / સામાન્ય બાબતે વેપારી પર જીવલેણ હુમલો; કારમાંથી વરસાદી પાણી ઊડતાં 4 બાઇકસવારોએ પીછો કરી માથું ફોડી નાખ્યું

અમદાવાદના દહેગામ ખાતે આવેલી પોતાની ફેક્ટરીથી ફોર્ચ્યુનર કાર લઈને નિકોલ પરત ફરી રહેલા 57 વર્ષીય વેપારીની કારમાંથી વરસાદી પાણીના છાંટા ઉડવા જેવી સામાન્ય બાબતે 4 અજાણ્યા બાઈકસવારોએ તેમનો પીછો કરી હુમલો કર્યો હતો. કઠવાડા-હુકા રોડ પર નીલકંઠ ફ્લેટ પાસે વેપારી કારમાંથી નીચે ઊતરતાં જ બાઈકચાલકો દ્વારા માથાના ભાગે જીવલેણ હુમલો કરી વેપારીને ગડદાપાટુનો માર મારવામાં આવ્યો હતો. હુમલાની ઘટના બાદ લોહીલુહાણ હાલતમાં વેપારીને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા. સમગ્ર મામલે નિકોલ પોલીસે 4 શખસો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
વરસાદી ખાબુચિયાનું પાણી ઉડવાની સામાન્ય બાબતમાં વેપારી પર હુમલો
શહેરના નિકોલ ભક્તિ સર્કલ પાસે આવેલા ભક્તિ બંગ્લોઝમાં રહેતા અને દહેગામના ગમિજ ગામે થર્મોકોલનું કારખાનું ચલાવતા 57 વર્ષીય સુરેશભાઈ ભીમજીભાઈ પટેલ શુક્રવારે(18 સપ્ટેમ્બર) રાત્રે સાડા આઠ વાગ્યાના સુમારે પોતાની ફોર્ચ્યુનર કાર લઈને ઘરે પરત આવી રહ્યા હતા. આ દરમિયાન કઠવાડા-હુકા રોડ પર ચુડેલ માતાના મંદિર પાસે રસ્તામાં ભરાયેલા પાણીમાંથી પસાર થતાં આગળ બાઈક પર જઈ રહેલા ત્રણ શખસો પર પાણીના છાંટા ઊડ્યા હતા.
ચાર શખસોએ વેપારીની કારની પીછો કર્યો
જો કે, આ મામલે સુરેશભાઈએ કાર સાઈડમાં ઊભી રાખી માફી માગીને ઘટનાસ્થળેથી પસાર થઈ ગયા હતા. પરંતુ તેવામાં સામેથી આવેલા અન્ય એક બાઈકચાલક સાથે મળી આ ચારેય શખસોએ વેપારીની કારનો પીછો કર્યો હતો.
માથા અને ગડદાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી
આ દરમિયાન, નીલકંઠ ફ્લેટ પાસે રસ્તામાં બેસેલી ગાય સાથે કાર અથડાતાં સુરેશભાઈ નીચે ઊતર્યા હતા. ત્યારે પીછો કરી રહેલા શખસોએ પાછળથી આવીને વેપારીને માથામાં કોઈ અજાણી વસ્તુ ફટકારી દેતાં તેઓ કાદવમાં પડી ગયા હતા. ત્યારબાદ ચારેય શખસોએ ગડદાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જો કે, એટલામાં આસપાસના લોકો એકઠા થઈ જતાં અને સુરેશભાઈએ ફોન કરી પોતાના ડ્રાઇવર વિષ્ણુભાઈ રબારીને બોલાવતાં હુમલાખોરો ત્યાંથી ફરાર થઈ ગયા હતા.
બીજી તરફ, ઈજાગ્રસ્ત સુરેશભાઈને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સમગ્ર ઘટના અંગે વેપારીએ નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા ચાર શખસો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

