Ahmedabad news: PSI અને DYSP સામે યુવાનોને ગેરકાયદે માર મારવાનો આરોપ, ઠાકોર સેનાની ચેતવણી
અમદાવાદના સાણંદમાં મોટો બનાવ બન્યો છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાએ સાણંદના પોલીસ અધિકારીઓ પર યુવાનોને ગેરકાયદેસર રીતે ઉઠાવીને માર મારવાનો અને ફરજમાં ગેરવર્તણૂક આચરવાનો ગંભીર આક્ષેપ લગાવ્યો છે. તેમજ આ આક્ષેપ કરતું એક આવેદનપત્ર મામલતદાર અને પ્રાંત અધિકારીને સુપરત કર્યું છે. આ સાથે એક રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતુ.
"સ્ટાફે ગેરકાયદેસર રીતે ડીટેઈન કર્યા"
આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર, 17 નવેમ્બર એટલે કે આજ રોજ સાંણદ ખાતે થયેલી સામાન્ય ઝઘડાની ઘટનામાં, સાણંદ તાલુકા ઠાકોર સમાજના યુવાનોને સાણંદ DYSP નીલમબેન ગૌસ્વામી અને સાણંદ G.I.D.C પોલીસ PSI સાદિક સમસુદ્દીન શેખ સહિતના સ્ટાફે કોઈ કાયદેસર પ્રક્રિયા વગર જ ગેરકાયદેસર રીતે ડીટેઈન કર્યા હતા.
"યુવાનોને પોલીસ સ્ટેશનના એક રૂમમાં રખાયા"
સમાજના આગેવાનોના આક્ષેપ મુજબ ડીટેઈન કરાયેલા યુવાનોને પોલીસ સ્ટેશનના એક રૂમમાં ગોંધી રાખવામાં આવ્યા હતા. તેમજ DYSP નીલમબેન ગૌસ્વામીના ઈશારે અને PSI સાદિક સમસુદ્દીનની હાજરીમાં ઢોર માર અને પટ્ટા વડે નિર્દયતાથી માર મારવામાં આવ્યો હતો.
સંગઠને આરોપ લગાવ્યો છે કે, માર મારવાના કારણે એક યુવાનનું કાંડું તૂટી ગયું છે. અન્ય યુવાનોને ગંભીર ઈજાઓ થઈ છે, જેમને સારવાર માટે CHC સાણંદ, સિવિલ હોસ્પિટલ અને અન્ય જગ્યાએ લઈ જવા પડ્યા હતા. આ ઘટનાથી ઠાકોર સમાજમાં રોષની લાગણી ફેલાઈ છે અને લોકોનો પોલીસ પર વિશ્વાસ હવે નથી રહ્યો.
તાત્કાલિક અને સખત પગલા લેવા માટેની માગ
ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાએ સરકાર અને ઉપરી અધિકારીઓ સમક્ષ આ સમગ્ર મામલે તાત્કાલિક અને સખત પગલા લેવા માટેની માગણી કરી છે. જેમાં જણાવ્યું છે કે, "સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ માટે સિનિયર અધિકારીની નિમણૂક કરવામાં આવે. જવાબદાર પોલીસ અધિકારીઓ, DYSP નીલમબેન ગૌસ્વામી અને PSI સાદિક સમસુદ્દીન શેખ સહિતના તમામ સ્ટાફને તાત્કાલિક સસ્પેન્ડ કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. ઘટનામાં સંડોવાયેલા તમામ અધિકારીઓની તપાસ DYSPથી ઉપરી કક્ષાના અધિકારી દ્વારા કરવામાં આવે. પીડિત યુવાનોને મેડિકલ, માનસિક તથા કાનૂની સહાય આપવામાં આવે. પોલીસકર્મીઓને માનવ અધિકાર અને કાયદાનું પાલન કરવા અંગેની સખત સૂચનાઓ અને તાલીમ આપવામાં આવે."
ઠાકોર સેનાની ચેતવણી
ઠાકોર સેનાએ ચેતવણી આપી છે કે, જો આ મામલે યોગ્ય અને ઝડપી કાર્યવાહી નહીં થાય તો તેઓ ગાંધીનગર સુધી આંદોલન કરવા માટે તૈયાર છે. આ પત્રની નકલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત રાજ્યના મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને પણ મોકલવામાં આવી છે.

