Ahmedabad news: સરખેજ રોઝા આસપાસ ગંદકીને લઈ હાઈકોર્ટમાં અરજી, તમામ પક્ષકારોને કોર્ટે ફટકારી નોટિસ

Ahmedabad news: અમદાવાદ શહેરના સરખેજ વિસ્તારમાં આવેલા ઐતિહાસિક વારસા અને સ્થાપત્ય સરખેજ રોઝાને લઈ સરખેજ રોઝા કમિટીએ ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી. જેને લઈ ગુજરાત હાઈકોર્ટે એએમસી, આર્કિયોલૉજિકલ વિભાગ સહિત તમામને નોટિસ ફટકારી છે. આ અંગે વધુ સુનાવણી 24 નવેમ્બરે હાથ ધરવામાં આવશે.
મળતી માહિતી અનુસાર, અમદાવાદના સરખેજ વિસ્તારમાં આવેલા સરખેજના રોઝા જે ઐતિહાસિક સ્થાપત્ય છે. આ સ્થળની આસપાસ ગંદકી, ગેરકાયદે ગટરની લાઈનને લઈ સરખેજ રોઝા કમિટી દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી હતી. જેની પર આજે સોમવારે 13 ઑક્ટોબરે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સરખેજ રોઝા કમિટી દ્વારા એવી રજૂઆત કરવામાં આવી હતી કે, સરખેજ રોઝાની આસપાસ 5 મિનિટ પણ ઊભું રહેવા જેવી સ્થિતિ નથી, તેમજ ઐતિહાસિક વારસા પાસે ખૂબ જ દુર્ગંધ અને ગંદકી છે. ઉપરાંત ગેરકાયદે સુએઝ લાઇન આસપાસના તળાવમાં જોડવાને કારણે સ્થિતિ અસહ્ય બની હોવાની પણ ફરિયાદ કરી હતી.
વધુમાં સરખેજ રોઝા કમિટીની અરજીમાં એવી રજૂઆત કરવામાં આવી હતી કે, અગાઉ દેશના પ્રથમ નાગરિક એવા રાષ્ટ્રપતિએ સરખેજ વિસ્તારના ધરોહરની મુલાકાત પણ લઈ ચુક્યા છે. જેથી ગુજરાત હાઈકોર્ટે AMC, આર્કિયોલૉજિકલ વિભાગ સહિતના પક્ષકારોને નોટિસ ફટકારી હતી. આ અંગેની 24 નવેમ્બરે વધુ સુનાવણી હાથ ધરાશે.

