Ahmadabad News: કલાણા ગામ હાલ છાવણીમાં ફેરવાયું, પથ્થરમારો થતા બંને પક્ષોની FIR દાખલ થઈ
અમદાવાદના સાણંદ તાલુકાનું કલાણા ગામ હાલ છાવણીમાં ફેરવાયું છે. જૂની અદાવતના મામલે બે જૂથો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મામલો બિચક્યો હતો અને ભારે પથ્થરમારો થતાં ગામમાં અફરાતફરી મચી ગઈ હતી. સોમવાર રાત્રિથી શરૂ થયેલો આ વિવાદ મંગળવારે સવારે વધુ વકરતા પરિસ્થિતિ ખરાબ બની છે. આ ઘટનાની ગંભીરતાને જોતા પોલીસના ધાડેધાડા ઉતારી દેવામાં આવ્યા છે અને સમગ્ર વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.
બંને પક્ષોની FIR દાખલ થઈ
નીલમ ગોસ્વામી (સાણંદ ડિવિઝન DySP)એ જણાવ્યું હતું કે, આ જૂથ અથડામણની ઘટના સોમવારે તળાવના પાળે બની હતી. આ ઝઘડાની શરૂઆત એક જૂથના બે છોકરાઓ અને અન્ય જૂથના એક છોકરા વચ્ચે એકબીજાની સામે જોવાની બાબતે થયેલી બોલાચાલીથી થઈ હતી. ત્યારબાદ ગામમાં બંને પક્ષોના ટોળા સામસામે આવી ગયા હતા અને તેમની વચ્ચે ઝઘડો થયો હતો, જેના પગલે પોલીસે બંને પક્ષોની FIR દાખલ કરી છે.

અથડામણમાં કોઈને ગંભીર ઈજા થઈ નથી, ગામમાં પોલીસ બંદોબસ્ત ગોઠવાયો
વધુ વિગત આપતા તેમણે કહ્યું કે, આ અથડામણમાં કોઈને ગંભીર ઈજા કે ફ્રેક્ચર થયું નથી, માત્ર સામાન્ય મૂઢમાર અને લોહીની ફૂટ જેવી નાની ઈજાઓ થઈ છે. હાલમાં ગામમાં જીઆઈડીસી પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને સવારે પોલીસે કોમ્બિંગ કરીને આરોપીઓની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. ફરિયાદમાં કુલ 40 જેટલા આરોપીઓ હોવાનું જણાવાયું છે અને અન્ય અજાણ્યા વ્યક્તિઓની ઓળખ કરવાની પ્રક્રિયા હાલ ચાલુ છે.
અમદાવાદ ગ્રામ્ય, એસપી ઓમ પ્રકાશ જાટનું નિવેદન
એસપી ઓમ પ્રકાશ જાટએ જણાવ્યું કે, એક જુથ બાઈક લઈને જતા હતા. બીજા જૂથના લોકોએ સામે કેમ જોવે છે તેમ કહી માથાકૂટ કરી હતી. તેમણે જણાવ્યું કે, બંદોબસ્ત ચાલુ છે, હાલ ગામમાં શાંતિ છે. શંકાસ્પદ 30 લોકોની અટકાયત કરવામાં આવી છે.
એસપીએ કહ્યું કે, કોઈને છોડવામા નહીં આવે. સોશિયલ મીડિયા ફેમસ થવા મુદ્દે બંને વચ્ચે વર્ચસ્વની લડાઈ છે. રાયોટીંગ અને ઈજા અંગે તપાસ ચાલુ છે. બંને પક્ષે 30-35નું ટોળુ હોવાનું સામે આવ્યું છે. આ કાવતરામાં સામેલ લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. વીડિયોમાં દેખાઈ રહેલા લોકોની તપાસ ચાલું છે.

