Ahmedabad news: સરકારે વિશ્વ આદિવાસી દિવસ ઉજવ્યો પરંતુ આદિવાસીઓનો વિકાસ ન કર્યો : ઈસુદાન ગઢવી

Ahmedabad news: ભાજપ સરકારે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરી તેને લઈ આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીએ રાજ્ય સરકાર પર પ્રહારો કર્યા હતા. તેમને જણાવ્યું કે, રાજ્યની ભાજપ સરકારે ધામધૂમથી વિશ્વ આદિવાસી દિવસ તો ઉજવ્યો પરંતુ ગત 75 વર્ષથી આદિવાસીઓના વિકાસ નથી કર્યો. ભાજપના 30 વર્ષના અને કોંગ્રેસના 30 વર્ષના કાર્યકાળ દરમિયાન આદિવાસી સમાજનો કોઈ વિકાસ થયો નથી. આજે ગુજરાતમાં 3.21 લાખ આદિવાસી બાળકો કુપોષણથી પીડાઈ રહ્યા છે, ઉપરાંત આદિવાસી વિસ્તારોમાં 2,000થી વધુ આંગણવાડીઓ ભાડાના મકાનમાં ચાલે છે.
વધુમાં આપ પાર્ટીના ઈસુદાને જણાવ્યું કે, આદિવાસી વિસ્તારોની 400 જેટલી શાળાઓમાં પૂરતા શિક્ષકો નથી. આઝાદીના આટલા સમય પછી પણ આદિવાસી વિસ્તારોમાં રોડ-રસ્તા નથી બન્યા. ઘણી વખત મૃતદેહો અને બીમાર લોકોને ઝોળીમાં નાખીને ઘણા કિલોમીટર સુધી ચાલીને લઈ જવા પડતા હોય છે. જળ, જંગલ અને જમીન વિહીન આદિવાસીઓ હજુ પણ મુશ્કેલીઓ વેઠી રહ્યા છે.
ગુજરાતમાં ભાજપના નેતાઓ આદિવાસી લોકોને 100 દિવસની રોજગારી પણ આપતા નથી અને મનરેગાના પૈસા ખાઈ જતા હોય છે. આદિવાસી સમાજના મુદ્દાઓને ધારાસભ્ય ચૈતર વસાવાએ ઉઠાવ્યા માટે ભાજપ સરકારે ખોટા કેસમાં તેમને જેલમાં નાખી દીધા છે. ભાજપ સરકાર અંગ્રેજો કરતા પણ બદતર છે અને આગામી સમયમાં આદિવાસી સમાજ ભાજપને જવાબ આપશે તેમ આપના નેતા ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું.

