VIDEO: અમદાવાદ CP અનુપમસિંહ ગેહલોતની ગુનેગારોને ખુલ્લી ચેતવણી: 'લોકોને હેરાન કરશો તો છોડવામાં નહીં આવે'
અમદાવાદ શહેરને નવા પોલીસ કમિશનર મળ્યા છે. 1997 બેચના સિનિયર IPS અધિકારી અનુપમ સિંહ ગેહલોતે વિજય મુહૂર્તમાં અમદાવાદના પોલીસ કમિશનર તરીકેનો કાર્યભાર સંભાળ્યો છે. સુરત પોલીસ કમિશનર તરીકેની સફળ સેવાઓ બાદ તેમની અમદાવાદ બદલી કરવામાં આવી છે.
અમદાવાદ શહેરના પોલીસ કમિશનર તરીકે અનુપમસિંહ ગેહલોતે ચાર્જ સંભાળ્યો છે. જીએસટીવી સાથેની એક્સક્લુઝિવ વાતચીતમાં અનુપમસિંહ ગેહલોતે કહ્યું કે, રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ કરવા અમે કટિબદ્ધ છીએ. કમિશનરે કહ્યું કે, અમદાવાદના નાગરિકોને સંદેશ આપીએ છીએ કે, અમે તમારી સાથે છીએ. જો ગુનોગારો લોકોને હેરાન કરશે તો છોડવામાં નહીં આવે. આવનાર સમયમાં ડ્રગ્સ અને ટ્રાફિક સહિતના મુદ્દે કામગીરી કરવાની પણ અનુપમસિંહ ગેહલોતે વાત કરી હતી.
ઉલ્લેખનીય છે કે, અનુપમ સિંહ ગેહલોત ગુજરાતના એવા બીજા IPS અધિકારી બન્યા છે જેમણે રાજ્યના ચારેય મુખ્ય મહાનગરો - રાજકોટ, વડોદરા, સુરત અને હવે અમદાવાદમાં પોલીસ કમિશનર તરીકે સેવા આપીને એક વિશેષ રેકોર્ડ બનાવ્યો છે.

