અમદાવાદના ઠક્કરનગરમાં જેલમાંથી બહાર આવેલા આરોપીએ કરી હત્યા, અગાઉ મર્ડર કેસમાં જ થઈ હતી આજીવન કેદ

અમદાવાદના ઠક્કરનગર પોલીસ ચોકી નજીક જૂની અદાવતને લઈને એક યુવકની જાહેરમાં છરીના ઘા ઝીંકીને હત્યા કરવામાં આવતા ચકચાર મચી છે. દિલીપ ઉર્ફે બકરો સોનકર નામના યુવકની હત્યા મામલે પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે.
મળતી માહિતી મુજબ, જૂની અદાવતને કારણે આરોપીઓએ દિલીપ ઉર્ફે બકરો સોનકર પર હુમલો કર્યો હતો. છરીના ઘા ઝીંકાતા યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો અને તેનું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને તપાસ હાથ ધરી હતી.
જામીન પર છૂટેલા આરોપીએ રચ્યું હત્યાનું કાવતરૂ
આ હત્યા કેસમાં પોલીસે ભરત ઉર્ફે બકરો ચુનારા અને રોહિત દંતાણીની ધરપકડ કરી છે. તપાસમાં સામે આવ્યું છે કે મુખ્ય આરોપી ભરત ચુનારા અગાઉના હત્યાના ગુનામાં સજા ભોગવી રહ્યો હતો. ભરત ચુનારા વર્ષ 2020ના મર્ડર કેસમાં આજીવન કેદની સજા પામ્યો હતો. જોકે, તે ગત 18 ઓગસ્ટે જેલમાંથી જામીન પર બહાર આવ્યો હતો. જેલમાંથી બહાર આવ્યા બાદ જૂની અદાવતને લઈને તેણે સાગરીત સાથે મળી દિલીપ સોનકરની હત્યાનું કાવતરું રચ્યું હોવાની વિગતો સામે આવી છે.
કૃષ્ણનગર પોલીસે સમગ્ર મામલે બંને આરોપીઓને ઝડપી લીધા છે અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે હત્યા પાછળનું ચોક્કસ કારણ, આરોપીઓ વચ્ચેના સંબંધો અને સમગ્ર કાવતરાની વધુ વિગતો જાણવા તપાસ શરૂ કરી છે.

