VIDEO: VIDEO: ANDARNI VAAT / પહાડોમાં ભારે વરસાદથી સંગમ સ્થળે ભયાનક પૂર: રુદ્રપ્રયાગમાં નદીઓનું રૌદ્ર સ્વરૂપ!
ઉત્તરાખંડના પહાડી વિસ્તારોમાં સતત વરસી રહેલા મુશળધાર વરસાદના કારણે ગઢવાલ હિમાલય ક્ષેત્રની નદીઓમાં રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે. રુદ્રપ્રયાગ જિલ્લામાં અવિરત પડી રહેલા સાર્વત્રિક વરસાદને પગલે પવિત્ર અલકનંદા અને મંદાકિની નદીઓની જળસપાટીમાં ભારે ઉછાળો આવ્યો છે. રુદ્રપ્રયાગ ખાતે આવેલી આ બંને પવિત્ર નદીઓનો સંગમ સ્થાન જળબંબાકાર બની ગયો છે અને પાણી ભયજનક સપાટીની નજીક તેમજ કેટલીક જગ્યાએ ચેતવણીના નિશાનને વટાવીને વહી રહ્યું છે. નદીઓમાં પૂર જેવા સર્જાયેલા માહોલને કારણે નદી કાંઠાના વિસ્તારોમાં રહેતા સ્થાનિક રહીશો અને ચારધામ યાત્રાએ આવેલા શ્રદ્ધાળુઓમાં ભારે ભય અને ચિંતાનો માહોલ વ્યાપી ગયો છે. રુદ્રપ્રયાગ જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન અધિકારી નંદનસિંહ રાજવાર અને રુદ્રપ્રયાગ નગરપાલિકા પ્રમુખ સંતોષ રાવતના જણાવ્યા મુજબ, પહાડી વિસ્તારોમાં થઈ રહેલી વાદળછાયી સ્થિતિ અને ધોધમાર વરસાદના કારણે નદીઓનો પ્રવાહ અત્યંત ઝડપી બન્યો છે. સંગમ સ્થળ નજીક આવેલા ઘાટ, મંદિર પરિસર અને નીચાણવાળા માર્ગો જળમગ્ન થઈ ગયા છે. સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જિલ્લા પ્રશાસન અને આપત્તિ વ્યવસ્થાપન વિભાગ સંપૂર્ણપણે સતર્ક બની ગયા છે. તંત્ર દ્વારા નદી કિનારે આવેલા નીચાણવાળા વિસ્તારો અને રહેણાંક વિસ્તારોમાં માઇકિંગ કરીને લોકોને સલામત સ્થળે ખસી જવા માટે જરૂરી એડવાઇઝરી અને સલામતીની સૂચનાઓ બહાર પાડવામાં આવી છે.
આ ઉપરાંત, સદાય જાગૃત રહેતી એનડીઆરએફ, એસડીઆરએફ અને સ્થાનિક પોલીસની ટીમોને નદી કિનારે તૈનાત કરી દેવામાં આવી છે. તંત્ર દ્વારા કોઈપણ આકસ્મિક પરિસ્થિતિને પહોંચી વળવા માટે ચોવીસે કલાક કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યો છે. શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓને નદી કિનારે ન જવાની તેમજ પાણીની નજીક જઈને ફોટો-વીડિયો ન લેવા માટે ખાસ અપીલ કરવામાં આવી છે. પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલનની સંભાવનાઓને પગલે માર્ગ પરિવહન પણ અસરગ્રસ્ત બન્યું છે, જેને પૂર્વવત કરવા તંત્ર દ્વારા જેસીબી મશીનરી તૈનાત રાખીને પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.
બ્યૂરો રિપોર્ટ જીએસટીવી

