VIDEO: વડોદરાના લક્ષ્મી વિલાસ પેલેસમાં ગણેશ સ્થાપનાની 200 વર્ષ જૂની રાજવી પરંપરા આજે પણ યથાવત્
વડોદરાના ઐતિહાસિક લક્ષ્મી વિલાસ પેલેસમાં ગાયકવાડ રાજવી પરિવાર દ્રારા ગણેશોત્સવની ઉજવણી કરવામાં આવી છે. ગાયકડવાડ પરિવારની આશરે 200 વર્ષ જૂની પરંપરા આજે પણ શ્રદ્ધા અને ભક્તિ સાથે આગળ વધી રહી છે. રાજવી પરિવાર દ્વારા પેલેસમાં દર વર્ષે ભગવાન ગણેશજીની સ્થાપના કરવામાં આવે છે. આ મુર્તિની વિશેષતા એ છે કે વર્ષોથી ગણપતિની મૂર્તિ કોઇ ફેરફાર વગર એક જ પ્રકારે બનાવવામાં આવે છે. આ મૂર્તિ તૈયાર કરવા માટે ખાસ ભાવનગરની સફેદ માટી મંગાવવામાં આવે છે. આ માટીથી ગણપતિની મૂર્તિ બનાવવાની પરંપરા જળવાઈ રહી છે. મૂર્તિ બનાવવાનું કામ શરૂ થાય ત્યારથી લઈને અંતિમ સ્વરૂપ આપવામાં આવે ત્યાં સુધી કારીગરો ખૂબ જ કાળજીપૂર્વક દરેક પ્રક્રિયા પૂર્ણ કરે છે. મૂર્તિના આકાર, મુખાકૃતિ, શણગાર અને પરંપરાગત સ્વરૂપમાં પણ વર્ષોથી ચાલી આવતી પરંપરાં મુજબ થાય છે.
ગાયકવાડ પરિવારના ગણપતિ માત્ર ધાર્મિક આસ્થાનું પ્રતિક નહીં પરંતુ વડોદરાના રાજવી ઇતિહાસ અને સાંસ્કૃતિક વારસાની ઓળખ પણ બની ગયા છે. ગણપતિની સ્થાપના પહેલા રાજપુરોહિત દ્વારા ધાર્મિક વિધિ અને પરંપરાગત પૂજા કરવામાં આવે છે. લક્ષ્મી વિલાસ પેલેસના રાજપુરોહિત ઋષિકેશ ગોડસે રાજવી પરિવારની આ પરંપરા સાથે જોડાયેલી ધાર્મિક વિધિઓમાં મહત્વની ભૂમિકા ભજવે છે. ગણેશજીની સ્થાપના દરમિયાન વૈદિક મંત્રોચ્ચાર અને પૂજા-અર્ચનાની સાથે રાજવી પરિવારની વર્ષો જૂની પરંપરાઓનું પાલન કરવામાં આવે છે. બીજી તરફ મૂર્તિ તૈયાર કરનાર શિલ્પકાર માટે પણ આ કામ માત્ર કારીગરી નથી, પરંતુ એક પરંપરાને જીવંત રાખવાની જવાબદારી છે. શિલ્પકાર લાલસિંહ ચૌહાણ જેવા કારીગરો મૂર્તિ બનાવતી વખતે ગણપતિના પરંપરાગત સ્વરૂપને જાળવવા માટે વિશેષ ધ્યાન આપે છે.
સમય બદલાયો, ગણેશોત્સવની ઉજવણીની રીતોમાં અનેક નવા રંગો ઉમેરાયા, પરંતુ લક્ષ્મી વિલાસ પેલેસમાં ગાયકવાડ પરિવારની આ પરંપરા હજુ પણ પોતાના મૂળ સ્વરૂપ સાથે આગળ વધી રહી છે. પુર્વના વર્ષોમાં જ્યાં મહારાજા સયાજીરાવ ગાયકવાડ પોતાનો દરબાર ભરતા હતા અને રાજ્યના નીતિવિષયક નિર્ણય લેતા હતા ત્યાં જ ગણપતિની સ્થાપના કરવામાં આવે છે. ગાયકવાડ પરિવાર માને છે કે ભગવાન ગણપતિ રાજસત્તા છે. માટે તેમની સ્થાપના પણ રાજસત્તાના કેન્દ્ર બિંદ પર જ હોવી જોઇએ. પેલેસમાં ગણેશ સ્થાપના દરમિયાન પરંપરાગત વિધિઓનું પાલન કરવામાં આવે છે. પરિવારના સભ્યો ભક્તિભાવથી પૂજા-અર્ચના કરે છે. આમ, લક્ષ્મી વિલાસ પેલેસનો ગણપતિ ઉત્સવ આશરે બે સદીથી ચાલી આવતી રાજવી આસ્થા અને ઐતિહાસિક સંસ્કૃતિનો જીવંત વારસો છે.
-- બ્યુરો રિપોર્ટ, જીએસટીવી

