VIDEO: ગણેશ ચતુર્થી પહેલાં ઇકોફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની માંગ વધી
કર્ણાટકના હાવેરીમાં ગણેશ ચતુર્થીના પર્વને લઈને બજારોમાં તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ઇકો ફ્રેન્ડલી ગણેશની મુર્તિની ડિમાંડ વધી છે. હાવેરીના કલાકાર યેલ્લપ્પા શિવપ્પા દોડ્ડમણી ગાયના છાણમાંથી ગણેશજીની મૂર્તિઓ તૈયાર કરી રહ્યા છે. પરંપરાગત રીતે ગાયના છાણનો ઉપયોગ ભારતીય ગ્રામ્ય જીવનમાં વિવિધ રીતે થતો આવ્યો છે, પરંતુ હવે આ કુદરતી સામગ્રીને કલાના સ્વરૂપમાં ઢાળીને કલાકારે ગણેશ મૂર્તિ બનાવવાનો અનોખો પ્રયાસ કર્યો છે. સામાન્ય રીતે ગણેશ ચતુર્થી દરમિયાન પ્લાસ્ટર ઓફ પેરિસ અને કેમિકલ રંગોથી બનેલી મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવે છે. આ કારણે જળાશયોમાં પ્રદૂષણ અને જળચર જીવોને નુકસાન થાય છે. તેના સામે ઇકો ફ્રેન્ડલી રીતે માટી, કાગળ, હળદર અને ગાયના છાણ જેવી જૈવિક સામગ્રીમાંથી બનેલી મૂર્તિઓ પર્યાવરણ માટે વધુ અનુકૂળ રહે છે. છાણમાંથી બનેલી મૂર્તિઓ પાણીમાં ઓગળી જાય છે અને તેના અવશેષો ખાતર તરીકે ઉપયોગી થઈ શકે છે. મુર્તિ કલાકાર યેલ્લપ્પા શિવપ્પા દોડ્ડમણીનું કહેવું છે કે ગાયના છાણ જેવી કુદરતી સામગ્રીમાંથી ભગવાન ગણેશની મૂર્તિ બનાવવાનો હેતુ માત્ર અલગ પ્રકારની મૂર્તિ તૈયાર કરવાનો નથી. પરંતુ લોકો સુધી પર્યાવરણ સંરક્ષણનો સંદેશ પહોંચાડવાનો પણ છે. વિસર્જન સમયે જળાશયોમાં પ્રદૂષણ ઘટાડવા માટે ઇકો-ફ્રેન્ડલી મૂર્તિઓ મહત્વપૂર્ણ બને છે.
હાવેરીના કલાકાર શિવપ્પા દોડ્ડમણીની મૂર્તિઓની વિશેષતા એ છે કે ગાયના છાણ જેવી સામાન્ય અને કુદરતી સામગ્રીને કારીગરીથી ગણેશજીના સુંદર સ્વરૂપમાં પરિવર્તિત કરવામાં આવે છે. હાવેરીના કુન્નૂર સહિતના વિસ્તારોમાં ગણેશ મૂર્તિ બનાવવાની પરંપરા લાંબા સમયથી ચાલી આવે છે. અહીં અનેક પરિવારો આ કળા સાથે જોડાયેલા છે. ગણેશોત્સવ દરમિયાન મોટી અને રંગબેરંગી મૂર્તિઓની માંગ રહેતી હોવા છતાં હવે એક વર્ગ એવો પણ છે જે મૂર્તિના કદ અને દેખાવ કરતાં તેના પર્યાવરણીય પ્રભાવને મહત્વ આપે છે. દેશમાં ધીમે ધીમે ઇકોફ્રેન્ડલી ગણેશ મુર્તિનું મહત્વ વધી રહ્યું છે. લોકોની પર્યાવરણ પ્રત્યેની જાગૃતિને કારણે ઇકોફ્રેન્ડલી ગણેશ વિસ્તરી રહ્યા છે.
--- બ્યૂરો રિપોર્ટ, જીએસટીવી

