સુશાંતના મોતના વર્ષો બાદ રિયા ચક્રવર્તીએ મૌન તોડ્યું, રિયાલિટી શોમાં ક્લીન ચિટ અંગે કરી ખુલીને વાત

અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની મોત બાદ ભારે તપાસ અને ટ્રોલિંગનો સામનો કરનાર રિયા ચક્રવર્તીએ આખરે આ કેસમાંથી નિર્દોષ છૂટવા અંગે ખુલીને વાત કરી છે. વર્ષ 2020માં સુશાંતના નિધન બાદ રિયા પર ગંભીર આરોપો લાગ્યા હતા, જેમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) દ્વારા રિયા અને તેના ભાઈ શોવિક ચક્રવર્તીની ધરપકડ પણ કરવામાં આવી હતી. જોકે, બાદમાં સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI)એ આ કેસમાં ક્લોઝર રિપોર્ટ ફાઇલ કરીને રિયાને તમામ આરોપોમાંથી ક્લીન ચિટ આપીને નિર્દોષ જાહેર કરી હતી.
રિયાલિટી શોમાં કરણ જોહરે પૂછ્યો સવાલ
હાલમાં રિયા ચક્રવર્તી રિયાલિટી શો 'ધ ટ્રેટર્સ' (The Traitors) ની બીજી સીઝનમાં જોવા મળી રહી છે. આ શો દરમિયાન હોસ્ટ કરણ જોહરે રિયાને પૂછ્યું કે તે ગેમમાં 'ટ્રેટર' (વિશ્વાસઘાતી) બનવા માંગશે કે 'ઇનોસન્ટ' (નિર્દોષ)? આ સવાલનો જવાબ આપતા રિયાએ સ્પષ્ટ કહ્યું, 'હું નિર્દોષ જ રહેવા માંગું છું. મને આ જ વર્ષે ક્લીન ચિટ મળી છે અને લોકોને ખબર પડી છે કે હું નિર્દોષ છું. હું ઘણા સમય સુધી શંકાના ઘેરામાં રહી છું, તેથી હવે મને એ બિલકુલ પસંદ નથી. મેં વર્ષો સુધી એ બધું સહન કર્યું છે.'
માનસિક સ્વાસ્થ્ય પર પડી હતી ઊંડી અસર
રિયા ચક્રવર્તીએ અગાઉના ઇન્ટરવ્યૂમાં પણ ખુલાસો કર્યો હતો કે, 'આ સમગ્ર ઘટના અને મીડિયા ટ્રાયલની મારા માનસિક સ્વાસ્થ્ય પર ખૂબ જ ખરાબ અસર પડી હતી. આટલી સખત તપાસ અને સતત શંકાના વાતાવરણમાંથી પસાર થયા બાદ મને પોસ્ટ-ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડર (PTSD)નો સામનો કરવો પડ્યો હતો. પરંતુ CBIની ક્લોઝર રિપોર્ટ બાદ મને મોટી રાહત મળી છે.'

