શું દિશા વાકાણી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' શોમાં પરત ફરશે? અભિનેત્રીના ભાઈએ કર્યો મોટો ખુલાસો

નાના પડદાનો લોકપ્રિય શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના ચાહકો લાંબા સમયથી તેના પ્રખ્યાત પાત્ર દયાબેનની વાપસીની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. આ પાત્ર ભજવનાર અભિનેત્રી દિશા વાકાણી છેલ્લા સાત વર્ષથી શોમાંથી દૂર છે. તેના પાછા ફરવા અંગે દરરોજ વિવિધ પ્રકારના સમાચાર સામે આવતા રહે છે. જોકે, ચાહકો હજુ પણ આશા રાખે છે કે તે ચોક્કસપણે શોમાં પાછી ફરશે. પરંતુ આ દરમિયાન દિશાના ઓન-સ્ક્રીન અને રિયલ જીવનમાં ભાઈ મયુર વાકાણીએ અસિત મોદીના શોમાં તેની ગેરહાજરી વિશે ખુલ્લેઆમ વાત કરી છે.
દિશા વાકારણીના ભાઈ મયૂરે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે તે તેના બાળકોમાં વ્યસ્ત હોવાથી તે શોમાં પાછી નહીં ફરે. મયૂર ઉર્ફે સુંદરે કહ્યું, "મેં તેની સફરને નજીકથી જોઈ છે કારણ કે હું તેનાથી બે વર્ષ મોટો છું. એક વાત મને સમજાઈ છે કે જ્યારે તમે પ્રામાણિકતા અને વિશ્વાસથી કામ કરો છો, ત્યારે તમને ભગવાનના આશીર્વાદ મળે છે."
અભિનેત્રી માતાની ભૂમિકા ભજવી રહી છે
તે આગળ કહે છે કે તે ખરેખર ધન્ય છે, પરંતુ તેણે ખૂબ મહેનત પણ કરી છે. આ જ કારણ છે કે લોકોએ દયાના રૂપમાં તેના પર આટલો પ્રેમ વરસાવ્યો છે. તેણે આગળ કહ્યું, "મારા પિતાએ હંમેશા મને સાચો રસ્તો બતાવ્યો અને કહ્યું કે આપણે જીવનમાં પણ કલાકાર છીએ. આપણને જે પણ ભૂમિકા મળે છે, આપણે તેને સંપૂર્ણ પ્રામાણિકતાથી ભજવવી જોઈએ. આપણે હજી પણ તેમના ઉપદેશોનું પાલન કરીએ છીએ. હાલમાં તે વાસ્તવિક જીવનમાં માતાની ભૂમિકા ભજવી રહી છે અને તેને સંપૂર્ણ સમર્પણ સાથે ભજવી રહી છે. મને ખાતરી છે કે મારી બહેનના મનમાં હંમેશા આ જ વાત હશે."
દિશા વાકાણી શોમાં પરત નહીં ફરે
દિશા વાકાણીએ TMKOCમાં દયાબેનનું લોકપ્રિય પાત્ર ભજવ્યું હતું. જોકે, તે ઘણા વર્ષોથી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાંથી દૂર છે. તે 2018માં મેટરનિટી રજા પર ગઈ હતી અને ત્યારથી પાછી આવી નથી. થોડા મહિના પહેલા, અસિત મોદીએ પુષ્ટિ આપી હતી કે દિશા આ લોકપ્રિય સિટકોમમાં પાછી નહીં ફરે. હવે દિશાના ભાઈએ પણ સ્પષ્ટ કર્યું છે કે ચાહકોએ તેના પાછા ફરવાની આશા છોડી દેવી જોઈએ.

