પંજાબી સિંગર AP Dhillonએ બોલિવૂડ ઇન્ડસ્ટ્રી પર કર્યા આકરા પ્રહાર, કહ્યું- ‘પૈસા માટે તેઓ તમારું…’

તાજેતરમાં ગાયક એપી ઢિલ્લોંએ જણાવ્યું કે તેમણે બોલિવૂડમાં કામ કરવાનો ઇનકાર કેમ કર્યો. આ વાત કરતાં તેમણે બોલિવૂડ પર કડક પ્રહાર કર્યો.
પ્રખ્યાત પંજાબી ગાયક એપી ઢિલ્લોંએ તાજેતરમાં ખુલાસો કર્યો કે તેઓ બોલિવૂડમાં કેમ કામ કરવા માંગતા નથી. સાથે જ તેમણે આ માટે ઘણાં કારણો પણ આપ્યાં. આ સમાચારથી ચારે બાજુ હલચલ મચી ગઈ છે. ચાલો જાણીએ કે ગાયકે બોલિવૂડ વિશે શું કહ્યું, જે ચર્ચાનો વિષય બની ગયો છે.
‘ત્યાં શોષણ થાય છે’
ગાયક એપી ઢિલ્લોંએ કહ્યું, “હું તમને જણાવું કે મેં અત્યાર સુધી બોલિવૂડનું કોઈ ગીત કેમ નથી કર્યું. એનું કારણ એ છે કે મને મારા લોકોની ચિંતા છે. આ બોલિવૂડની વાત નથી, આ મારા સમુદાય માટે એક ઉદાહરણ સ્થાપવાની વાત છે. મેં તેમને કહ્યું કે મને ગીત ગાવામાં આનંદ થશે, પરંતુ પહેલા તેમણે પોતાનો વેપાર કરવાની રીત બદલવી પડશે. જ્યારે કોઈ પંજાબી કલાકાર બોલિવૂડ ફિલ્મ માટે ગીત આપે છે, તો નિર્માતા ટ્રેક, રીમિક્સના રાઈટ્સ, બધું જ પોતાના નામે કરી લે છે. તેઓ પોતાના ફાયદા માટે ગીત અને કલાકારનું શોષણ કરે છે. મેં ઇનકાર કરી દીધો.”
‘તેઓ બધા હક્ક પોતાની પાસે રાખવા માગતા હતા’
ગાયકે આગળ વાતચીતમાં કહ્યું, “કેટલાક મોટા કલાકારો તેમની ફિલ્મમાં મારું સંગીત ઇચ્છતા હતા. મેં ગીત બનાવ્યું, અમે સીનનું આયોજન પણ કર્યું હતું. પરંતુ તેઓ ગીત, તેના રાઈટ્સ, બધું જ પોતાની પાસે રાખવા માગતા હતા. આ યોગ્ય નથી. તેથી મેં તેમને કહ્યું કે જ્યાં સુધી તેઓ આ બદલે નહીં, ત્યાં સુધી હું તેમની સાથે કામ નહીં કરી શકું.” ત્યારબાદ તેમણે કહ્યું, “જો હું આવું કરીશ, તો જુનિયર કલાકારોને પણ આવું કરવું પડશે. હું નથી ઇચ્છતો કે તેમણે આવું કરવું પડે. હું નથી ઇચ્છતો કે કોઈ યુવા કલાકાર પોતાના હિટ ગીતો વેચીને પોતાની આવકનો સ્ત્રોત ગુમાવે. હું નથી ઇચ્છતો કે તેમનું શોષણ થાય.”
ડિસેમ્બરથી કરશે ‘વન ઓફ વન’ ઇન્ડિયા ટૂર
એપી ઢિલ્લોં આ વર્ષે 2025માં પરફોર્મ કરવાના છે, જેની તેમણે જાહેરાત કરી દીધી છે. ગાયક 5 ડિસેમ્બરે અમદાવાદ, 7 ડિસેમ્બરે દિલ્હી, 12 ડિસેમ્બરે લુધિયાણા, 14 ડિસેમ્બરે પુણે, 19 ડિસેમ્બરે બેંગલુરુ, 21 ડિસેમ્બરે કોલકાતા, 26 ડિસેમ્બરે મુંબઈ અને 28 ડિસેમ્બરે જયપુરમાં પરફોર્મ કરશે.

