શ્રીદેવીની કરોડોની સંપત્તિ પર વિવાદ! જાણો શા માટે સુપ્રીમ કોર્ટે બોની કપૂર અને પુત્રીઓને પાઠવી નોટિસ

શ્રી દેવી અને તેની બહેને ૧૯૮૮માં ચેન્નાઇમાં ઇસ્ટ કોસ્ટ રોડ નજીક ખરીદેલી ૪.૭૦ એકર જમીન પર આવેલી સંપત્તિને મામલે સુપ્રીમ કોર્ટે સ્થિતિને યથાવત જાળવી રાખવા જણાવતી નોટીસ બોની કપૂર તથા તેની પુત્રીઓ જાહ્નવી અને ખુશી કપૂરને પાઠવી છે.
આ મામલે હવે ૧૮ ડિસેમ્બર ૨૦૨૬ના રોજ વધુ સુનાવણી કરવામાં આવશે. આગામી સુનાવણી પૂર્વે બંને પક્ષોને સમાધાન કરી લેવાની સૂચના આપવામાં આવી છે.
અરજદાર એમસી શિવકામી અને તેના ભાઇ એમસી નટરાજને તેમની માતા ચન્દ્રભાનુ સાથે મળી સુપ્રીમ કોર્ટમાં અરજી કરી આ સંપત્તિમાં ભાગ માંગ્યો છે. તેમણે શ્રીદેવી અને તેની બહેને જે વેચાણખત દ્વારા સંપત્તિ ખરીદી હતી તેને રદબાતલ જાહેર કરવાની માંગણી કરી છે.
તેમનો દાવો છે કે આ વેચાણમાં છેતરપિંડી આચરવામાં આવી છે અને આ જમીન તેંમના દાદાની માલિકીની હોઇ તે વારસદાર તરીકે તેમની પણ છે.
અરજદાર સામે બોની કપૂર અને પુત્રીઓએ કરેલી અરજીને ધ્યાનમાં લઇ અરજદારની માંગણી ચેન્નાઇ હાઇકોર્ટે ફગાવી દેતાં મામલો સુપ્રીમ કોર્ટમાં ગયો હતો. બોની કપૂરની દલીલ અનુસાર અરજદારનો દાવો ટકી શકેે તેમ નથી કેમ કે ચન્દ્રભાનુના લગ્ન પૂર્વે તેમના પતિ એમસી ચન્દ્રશેખરને કરેલાં પહેલાં લગ્નની વિગતો દબાવી રાખવામાં આવી હતી. આમ, આ કાનુની પ્રક્રિયાનો દુરૂપયોગ કરી જમીન હડપવાનો કારસો છે. વળી વેચાણખત થયાના ૪૦ વર્ષ બાદ છેક ૨૦૨૩માં આ દાવો નોંધાવવામાં આવ્યો છે તે પણ અવિશ્વસનીય છે.

