તાલિબાનના કાયદા પર ભડક્યા Javed Akhtar, ભારતના મુફ્તી અને મૌલાનાઓને કરી આ મોટી વિનંતી

પોપ્યુલેશન ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા (PFI) એ ગુરુવારે તે અહેવાલોને 'ચોંકાવનારા અને ખતરનાક' ગણાવ્યા છે, જેમાં કહેવામાં આવ્યું છે કે તાલીબાને ઘરેલું હિંસાને ત્યાં સુધી વાજબી ઠેરવી છે જ્યાં સુધી તેનાથી 'હાડકાં ન તૂટે'. PFI નું કહેવું છે કે આ પગલું દુર્વ્યવહારને કાયદેસરની માન્યતા આપવા સમાન છે. હવે, ગીતકાર અને પટકથા લેખક જાવેદ અખ્તરે આ નવા કાયદાઓ પર પ્રતિક્રિયા આપતા X (ટ્વિટર) પર પોતાના નિવેદન દ્વારા આકરી ટીકા કરી છે.
21 ફેબ્રુઆરીએ પોતાની નવી પોસ્ટમાં જાવેદ અખ્તરે લખ્યું, 'તાલીબાનોએ પત્નીને માર મારવાને કાયદેસરની માન્યતા આપી દીધી છે, પરંતુ કોઈ હાડકું તૂટ્યા વગર. જો કોઈ પત્ની પતિની પરવાનગી વગર તેના પિયર જાય છે, તો તેને ત્રણ મહિનાની જેલ થશે. હું ભારતના મુફ્તી અને મુલ્લાઓને વિનંતી કરું છું કે તેઓ આની બિનશરતી નિંદા કરે કારણ કે આ બધું તેમના ધર્મના નામે કરવામાં આવી રહ્યું છે.'
તાલીબાનનો વિચિત્ર કાયદો
ગીતકાર જાવેદ અખ્તરનું આ નિવેદન ત્યારે આવ્યું છે, જ્યારે એવા સમાચાર સામે આવ્યા કે તાલીબાને તેમના સર્વોચ્ચ નેતા હિબતુલ્લા અખુંદઝાદા દ્વારા હસ્તાક્ષર કરાયેલ 90 પાનાની અપરાધિક સંહિતા (Criminal Code) ને ઔપચારિક રૂપ આપ્યું છે. ધ ઇન્ડિપેન્ડન્ટ ના અહેવાલ મુજબ, તાલીબાનની નવી દંડ સંહિતા હેઠળ, પતિ દ્વારા કરવામાં આવતી ઘરેલું હિંસા અમુક શરતોને આધીન મોટાભાગે વાજબી છે. પતિ તેની પત્નીને પીટી શકે છે, પરંતુ સજા ત્યારે જ લાગુ થશે જો હુમલો લાકડીથી કરવામાં આવ્યો હોય અને તેનાથી ગંભીર ઈજા થઈ હોય, અને પુરાવા રજૂ કરવાની જવાબદારી મહિલા પર રહેશે.
પતિ માટે મહત્તમ સજા માત્ર 15 દિવસ
આટલું હોવા છતાં, ગુનેગાર પતિ માટે મહત્તમ સજા માત્ર 15 દિવસની કેદ છે. આ સિવાય, જો કોઈ મહિલા પતિની પરવાનગી વગર ઘર છોડે છે, તો તેને ત્રણ મહિના સુધીની જેલ થઈ શકે છે, અને તેને આશરો આપનારા સંબંધીઓને પણ ગુના માટે દોષિત માનવામાં આવી શકે છે.
સંહિતામાં બીજું શું છે?
જો કોઈ મહિલા પરવાનગી વગર તેના પતિનું ઘર છોડી દે છે અને તેના વિનંતી કરવા છતાં પાછા ફરવાનો ઇનકાર કરે છે, તો તેને કથિત રીતે ત્રણ મહિના સુધીની જેલ થઈ શકે છે. સંહિતામાં એવું પણ કહેવામાં આવ્યું છે કે આવી સ્થિતિમાં તેને આશરો આપનારા સંબધીઓને પણ અપરાધમાં ભાગીદાર ગણી સજા કરવામાં આવી શકે છે.

