"પોલીસની હાજરીમાં મને રસ્તા પર પછાડી-પછાડીને મારી", 'મહાભારત'માં દ્રૌપદી બનેલા Roopa Gangulyનો ખુલાસો

બી. આર. ચોપરાની સીરિયલ 'મહાભારત'માં દ્રૌપદીનું પાત્ર ભજવનાર રૂપા ગાંગુલી સાથે વર્ષો પહેલાં એક ભયાનક ઘટના ઘટી હતી. જ્યારે સીરિયલમાં દ્રૌપદીના ચીરહરણનો સીન ફરી ચર્ચામાં આવ્યો, ત્યારે રૂપા ગાંગુલીના તે જુના જખમ ફરી તાજા થઈ ગયા હતા. રૂપા ગાંગુલી પર કેટલાક અજ્ઞાત લોકોએ રસ્તા પર હુમલો કરીને તેમને નિર્દયતાથી માર માર્યો હતો, જેના કારણે તેમને બે વખત બ્રેન હેમરેજનો સામનો કરવો પડ્યો હતો.
બી. આર. ચોપરાની ટીવી સીરિયલ 'મહાભારત' અને તેના કલાકારોએ દેશભરમાં એવી જ લોકપ્રિયતા મેળવી હતી, જેવી રામાનંદ સાગરની 'રામાયણ' અને તેની કાસ્ટે મેળવી હતી. આ સીરિયલ વર્ષો પહેલાં ટેલિકાસ્ટ થઈ હતી, પરંતુ તેના કલાકારો, પાત્રો અને દ્રશ્યો આજે પણ દર્શકોના દિલ-દિમાગમાં વસેલા છે. તેમાંય દ્રૌપદીના ચીરહરણના દ્રશ્યની ચર્ચા તો હંમેશા થતી રહે છે. પરંતુ જ્યારે થોડા વર્ષો પહેલાં લોકડાઉન દરમિયાન 'મહાભારત'નું ટીવી પર ફરીથી પ્રસારણ કરવામાં આવ્યું, ત્યારે રૂપા ગાંગુલી પોતે ચીરહરણનો સીન જોઈને ધ્રૂજી ઉઠ્યા હતા. આ સીનને કારણે તેમની સાથે ભૂતકાળમાં બનેલી એક વાસ્તવિક અને દર્દનાક ઘટનાની યાદો તાજી થઈ ગઈ હતી.
ચીરહરણના સીને તાજા કર્યા હતા વાસ્તવિક જખમ
રૂપા ગાંગુલીએ સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરીને લખ્યું હતું કે, "મને કેટલાક દિવસોથી યાદ આવી રહ્યું છે, 22 મે 2016ના રોજ ડાયમંડ હાર્બરની એ ઘટના, જ્યારે 17-18 લોકોએ પોલીસની હાજરીમાં મને ગાડીમાંથી નીચે ઉતારીને રસ્તા પર પછાડી-પછાડીને મારી હતી. મારી ગાડીમાં તોડફોડ કરી હતી અને મારે બે બ્રેન હેમરેજ સહન કરવા પડ્યા હતા. બસ, હું મરતા-મરતા બચી ગઈ. હું એક રેલી ડ્રાઈવર છું, એટલે ગમે તેમ કરીને ત્યાંથી જીવતી નીકળી શકી."
કોલકાતાના ડાયમંડ હાર્બર નજીક બની હતી ઘટના
ભાજપના પૂર્વ સાંસદ અને અભિનેત્રી રૂપા ગાંગુલી એ ઘટના વિશે વાત કરી રહ્યા હતા, જ્યારે કોલકાતાના ડાયમંડ હાર્બર પાસે અજ્ઞાત હુમલાખોરોએ તેમના કાફલા પર હુમલો કર્યો હતો. આ રાજકીય હિંસાના હુમલામાં તેમને માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી અને તેમની ગાડીઓ તોડી નાખવામાં આવી હતી.
ચીરહરણના સીન પછી અડધા કલાક સુધી રડતા રહ્યા હતા રૂપા ગાંગુલી
જો 'મહાભારત' સીરિયલના ચીરહરણના સીનની વાત કરીએ તો, તે શૂટિંગ દરમિયાન રૂપા ગાંગુલીની હાલત ખૂબ ખરાબ થઈ ગઈ હતી. ડાયરેક્ટરે 'કટ' કહ્યા પછી પણ રૂપા ગાંગુલી અડધા કલાક સુધી સતત રડતા રહ્યા હતા. શોની આખી ટીમને તેમને શાંત પાડવામાં અડધો કલાક જેટલો સમય લાગ્યો હતો. આ સીન ભજવ્યા પછી રૂપા ગાંગુલીએ સેટ પર સાથી કલાકાર વિનોદ કપૂર સાથે વાતચીત કરવાનું બંધ કરી દીધું હતું અને તેમની સાથે ક્યારેય મિત્રતા ન રાખી.
આ અંગે રૂપા ગાંગુલીએ પોતે આપેલા એક ઈન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, વિનોદ કપૂરે 'મહાભારત'માં 'દુઃશાસન'નું પાત્ર ભજવ્યું હતું, જે દ્રૌપદીનું ચીરહરણ કરે છે.
દુઃશાસન (વિનોદ કપૂર) સાથે વાતચીત બંધ કરી દીધી હતી
રૂપા ગાંગુલીએ જણાવ્યું હતું કે, તેઓ દ્રૌપદીના પાત્રમાં એટલા ડૂબી ગયા હતા કે તેમાંથી બહાર નીકળતા તેમને બે વર્ષ જેટલો સમય લાગ્યો હતો. રૂપાએ કહ્યું હતું કે, "ચીરહરણના સીન પછી કે તે પહેલાં, દુઃશાસન (વિનોદ કપૂર) સાથે મારી ક્યારેય મિત્રતા ન થઈ શકી. મને તેમની સાથે વાત કરવામાં ઘણું અજીબ લાગતું હતું, જોકે વાસ્તવિક જીવનમાં તેઓ ખૂબ જ સારા વ્યક્તિ છે."

