શું હવે કોમલ ભાભીએ પણ 'ગોકુલધામ સોસાયટી' છોડી દીધી? "TMKOC" ફરી ચર્ચામાં

'Tarak Maheta Ka Ooltah Chashma' શૉ ઘણા સમયથી તેની વાર્તા ઉપરાંત કલાકારોના શૉ છોડવાને કારણે પણ ચર્ચામાં છે. રોજ કોઈ ને કોઈ કલાકારના 'તારક મહેતા' છોડવાના સમાચાર આવતા રહે છે અને પછીથી તેનો ઇનકાર કરવામાં આવે છે. હવે સમાચાર આવી રહ્યા છે કે, મિસિસ કોમલ હાથીનું પાત્ર ભજવનાર અંબિકા રંજનકરે શૉ છોડી દીધો છે. આવા સમાચાર એટલા માટે આવ્યા કારણ કે, અંબિકા શૉના છેલ્લા કેટલાક એપિસોડ્સમાં જોવા મળી નહોતી. એટલા માટે ચાહકો આવા અનુમાન લગાવી રહ્યા હતા.
થોડા દિવસ પહેલા 'જેઠાલાલ' દિલીપ જોષી અને 'બબીતા જી' મુનમુન દત્તાના પણ 'Tarak Maheta Ka Ooltah Chashma' છોડવાના સમાચાર આવ્યા હતા. જોકે, બંને કલાકારોએ તેને અફવા ગણાવી હતી. હવે 'મિસિસ હાથી' એટલે કે અંબિકા રંજનકરે પણ તેમના એક્ઝિટ પર પ્રતિક્રિયા આપી છે.
શું ખરેખર અંબિકા રંજનકરે શૉ છોડ્યો?
અંબિકા રંજનકરે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, 'ના, મેં શૉ નથી છોડ્યો. હું 'Tarak Maheta Ka Ooltah Chashma'નો ભાગ છું જ.' આ સાથે જ અભિનેત્રીએ શૉમાંથી ગાયબ થઈ જવા પાછળનું કારણ જણાવતા કહ્યું હતું કે, 'હું કેટલાક અંગત કારણોસર દૂર હતી. મને મારા માટે થોડો સમય જોઈતો હતો.' અંબિકા રંજનકરે હવે જ્યારે બધું સ્પષ્ટ કરી દીધું છે, ત્યારે ચાહકો રાહતનો શ્વાસ લઈ શકે છે. આખરે તે છેલ્લા 17 વર્ષથી શૉનો ભાગ છે અને ચાહકો તેમને જ 'મિસિસ હાથી'ના રોલમાં પસંદ કરે છે.
આ કલાકારો 'Tarak Ka Ooltah Chashma' છોડી ચૂક્યા
અત્યાર સુધી જે કલાકારોએ 'તારક મહેતા' શૉ છોડ્યો છે, તેમની વાત કરીએ તો, 2024માં કુશ શાહે શૉ છોડ્યો, શૉમાં તેણે ગોલી હંસરાજ હાથીનું પાત્ર ભજવ્યું હતું. આ પહેલા દિશા વાકાણી, ગુરુચરણ સિંહ, નેહા મહેતા, શૈલેષ લોઢા, ભવ્ય ગાંધી, રાજ અનાદકત, જેનિફર મિસ્ત્રી બંસીવાલ, ઝીલ મહેતા, મોનિકા ભદોરિયા અને નિધિ ભાનુશાલીનું નામ સામેલ છે.

