ગ્લોબલ સ્ટાર Shakira 19 વર્ષ પછી ફરી ભારતમાં મચાવશે ધૂમ, આ તારીખથી શરૂ થશે ટિકિટ બુકિંગ

Shakira India Tour: લેટિન પોપની ગ્લોબલ સ્ટાર શકીરા 19 વર્ષ પછી ભારતમાં પર્ફોર્મ કરવા જઈ રહી છે. જાણો ક્યાં યોજાશે કોન્સર્ટ અને તમે ક્યાંથી ટિકિટ બુક કરાવી શકો છો.
ગ્લોબલ સ્ટાર શકીરા આ વર્ષે ફરી એકવાર ભારતમાં શાનદાર પર્ફોર્મન્સ આપવાની છે. આ વાતની પુષ્ટિ થયા બાદ તેના ફેન્સમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તેણે છેલ્લે 2007માં ભારતમાં પર્ફોર્મ કર્યું હતું. હવે 19 વર્ષ પછી શકીરા ફરી પોતાનો જાદુ વિખેરવા ભારત આવી રહી છે.
શકીરા ક્યારે પર્ફોર્મ કરશે?
લેટિન પોપની ગ્લોબલ સ્ટાર શકીરા આ એપ્રિલમાં લગભગ 19 વર્ષ પછી ભારતમાં ધમાકેદાર વાપસી કરવા જઈ રહી છે. તે 10 એપ્રિલ 2026ના રોજ મુંબઈના મહાલક્ષ્મી રેસકોર્સ અને 15 એપ્રિલ 2026ના રોજ દિલ્હીના જવાહરલાલ નેહરુ સ્ટેડિયમમાં પર્ફોર્મ કરશે. 2007માં તેના 'ઓરલ ફિક્સેસન ટૂર' દરમિયાન મુંબઈમાં યાદગાર શો કર્યા પછી આ તેનો પહેલો મોટો કોન્સર્ટ હશે.
ભારતમાં પર્ફોર્મ કરવું હંમેશા ખાસ
શો વિશે વાત કરતા શકીરાએ કહ્યું કે, 'ભારતમાં પર્ફોર્મ કરવું તેના માટે હંમેશા ખાસ રહ્યું છે. તે મુંબઈ અને દિલ્હીના ફેન્સને ફરીથી મળવા માટે ખૂબ જ ઉત્સાહિત છે. તેણે એમ પણ જણાવ્યું કે આ ટૂર માત્ર મ્યુઝિક માટે નથી, પરંતુ તેનો ઉદ્દેશ્ય બાળકોને વધુ સારું પોષણ પૂરું પાડવા માટે લોકોને એકત્રિત કરવાનો છે.'
શકીરાએ બનાવ્યો રેકોર્ડ
આ કોન્સર્ટ બિન-લાભકારી પહેલ 'ફીડિંગ ઈન્ડિયા' હેઠળ આયોજિત કરવામાં આવી રહ્યો છે, જેમાં 'ડિસ્ટ્રિક્ટ બાય ઝોમેટો' સહયોગ કરી રહ્યું છે. ખાસ વાત એ છે કે ફીડિંગ ઈન્ડિયા કોન્સર્ટ પહેલીવાર એકથી વધુ શહેરોમાં યોજાઈ રહ્યો છે. જણાવી દઈએ કે શકીરા વિશ્વની સૌથી વધુ સાંભળવામાં આવતી લેટિન મહિલા કલાકારોમાંની એક છે અને તેના 100 મિલિયનથી વધુ રેકોર્ડ્સ વેચાઈ ચૂક્યા છે.
તેના હિટ ગીતો જેવા કે 'હિપ્સ ડોન્ટ લાય', 'વાકા વાકા', 'વ્હેનેવર વ્હેરેવર' અને 'શી વુલ્ફ' આજે પણ વિશ્વભરમાં ખૂબ લોકપ્રિય છે. તેની તાજેતરની 'લાસ મુજેરેસ યા નો લોરેન વર્લ્ડ ટૂર' કોઈપણ લેટિન આર્ટિસ્ટ દ્વારા કરવામાં આવેલી અત્યાર સુધીની સૌથી વધુ કમાણી કરનારી ટૂર બની છે અને ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાઈ છે.
ટિકિટ ક્યાં મળશે?
ટિકિટ માત્ર 'ડિસ્ટ્રિક્ટ' પર જ ઉપલબ્ધ હશે.
HSBC ક્રેડિટ કાર્ડ ધારકો માટે: 27 ફેબ્રુઆરી બપોરે 12 વાગ્યાથી 1 માર્ચ બપોરે 12 વાગ્યા સુધી (48 કલાકનું અર્લી એક્સેસ).
જનરલ સેલ: 1 માર્ચ બપોરે 1 વાગ્યાથી શરૂ થશે.
શકીરાની આ ટૂર માત્ર એક મ્યુઝિકલ ઇવેન્ટ જ નહીં, પરંતુ એક ખાસ સામાજિક પહેલ સાથે ભારતને ગ્લોબલ મ્યુઝિક મેપ પર વધુ મજબૂતીથી સ્થાપિત કરનારી સાબિત થશે.

