"હું એવા લગ્ન નથી ઈચ્છતો જ્યાં મારી પત્ની મને..." આખરે Abhishek Bachchanએ ઐશ્વર્યા સાથેના સંબંધ પર મૌન તોડ્યું

Abhishek Bachchan: બોલિવૂડ એક્ટર અભિષેક બચ્ચને ઘણી વાર એ મુદ્દા પર ખુલીને વાત કરી છે કે દીકરી આરાધ્યાના જન્મ પછી તેમનું જીવન, વિચારસરણી અને દ્રષ્ટિકોણ બદલાઈ ગયો છે. હવે ફરી એકવાર તેમણે દીકરીને મોટી થતી જોવી અને તેના ઉછેર અંગે વાત કરી. આ સાથે જ તેણે ઐશ્વર્યા રાય સાથેના પોતાના સંબંધો પર પણ પોતાનો દ્રષ્ટિકોણ શેર કર્યો અને ટ્રોલ્સને પણ જવાબ આપ્યો. તાજેતરમાં જ એક ઈન્ટરવ્યુમાં અભિષેકે કહ્યું કે, આરાધ્યાની સતત સવાલ પૂછવાની ટેવથી મને એ બાબતનો અહેસાસ થયો, જેના વિશે મેં પહેલા ક્યારેય વિચાર્યું જ નહોતું.
ઐશ્વર્યા સાથે સંબંધો પર અભિષેક બચ્ચને કરી ખુલીને વાત
અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાયના લગ્ન હમંશાથી ચર્ચા અને અટકળોમાં રહ્યા છે. હવે અભિષેકે પોતાના સંબંધો, પરિવાર અને મેરેજ ડાયનામિક્સ અંગે ખુલીને વાત કરી છે. અભિષેક બચ્ચને જણાવ્યું કે, 'અમારા સંબંધોનો પાયો હંમેશા પાર્ટનરશિપ પર ટકી રહ્યો છે, ન કે કોઈ કોમ્પિટિશન અથવા પરંપરાગત જેન્ડર રોલ્સ પર. જ્યારે મારા માતાપિતા અમિતાભ બચ્ચન અને જયા બચ્ચનના લગ્ન થયા હતા ત્યારે મારી માતા એક મોટી સ્ટાર હતી, તેથી આ પરિસ્થિતિ તેમના માટે ક્યારેય અસામાન્ય નથી રહી.'
અભિષેકે એ પણ જણાવ્યું કે, 'હું ઐશ્વર્યાને પોતાના કરિયરની શરૂઆતથી જાણું છું અને બંનેએ ઘણી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. અમે પહેલા મિત્રો હતા, પછી અમારો સંબંધ આગળ વધ્યો. અમારી કોર્ટશિપ, સગાઈ અને લગ્ન બધું જ એક પાર્ટનરશિપની જેમ રહ્યું. ક્યારેય એવું ન બન્યું કે, ઘર અને કામ અંગે કોઈ નિશ્ચિત ભૂમિકા હોય.'
હું એવા લગ્ન નથી ઈચ્છતો
'ઈગો' પર વાત કરતા અભિષેકે સ્પષ્ટ કર્યું કે, 'હું તેને નકારાત્મક રીતે નથી જોતો. કોઈ પણ સંબંધમાં આગળ વધવા માટે એક-બીજાએ પાછળ હટવાની જરૂર ન હોવી જોઈએ. હું એવો વ્યક્તિ નથી જે ઈચ્છે છે કે મારી જીત માટે કોઈ બીજું અટકી જાય. હું એવા લગ્ન નથી ઈચ્છતો જ્યાં મારી પત્ની મને 'પુરુષત્વ' અનુભવાવવા માટે પોતાના કરિયર સાથે સમાધાન કરવું પડે.'
મારા પિતા અમિતાભ બચ્ચને મને લોન્ચ નથી કર્યો
અભિષેકે એ પણ જણાવ્યું કે, 'મારા પિતા અમિતાભ બચ્ચને મને લોન્ચ નથી કર્યો, પરંતુ બાદમાં તેમની ફિલ્મ ‘Paa’ (2009)ને પ્રોડ્યૂસ કરી હતી. ઐશ્વર્યા અને મારા વિચાર ઘણી હદ સુધી સમાન છે અને આ જ કારણ છે અમારો સબંધ કોઈપણ દબાણ કે સ્પર્ધા વિના સરળતાથી આગળ વધી રહ્યો છે.'
પેરેન્ટિંગ પર વાત કરતા અભિષેકે કહ્યું કે, હું અને મારી પત્ની ઐશ્વર્યા દીકરીના ઉછેરમાં કડક કે નિશ્ચિત રોલ્સમાં નથી માનતા. સરળ શબ્દોમાં કહીએ તો તેઓ આરાધ્યાને શું સાચું છે અને શું ખોટું છે તે કહેતા નથી, પરંતુ ખુદ કરીને બતાવે છે. એટલે કે તેઓ પોતાની દીકરી માટે એક સારું ઉદાહરણ બનવાનો પ્રયાસ કરે છે.

