શું AI ભારતીય આઈટી કંપનીઓના વર્ચસ્વનો અંત લાવશે? ભવિષ્યના પડકારો અંગે મોતીલાલ ઓસ્વાલનો રિપોર્ટ શું કહે છે?

AI: 2026માં નિફ્ટી આઈટી ઈન્ડેક્સ અત્યાર સુધીમાં લગભગ 15 ટકા ઘટ્યો છે. આ 2025માં આઈટી ઈન્ડેક્સમાં થયેલા 12.6 ટકાના ઘટાડા કરતાં પણ વધારે છે. તાજેતરના કડાકા બાદ ફેબ્રુઆરીમાં આઇટા સેકટરની દસ કંપનીઓનું કુલ માર્કેટ કેપ 50 અબજ ડોલરથી વધારે ઘટી ગયું છે. ભારતીય બજારનો લગભગ 10 ટકા હિસ્સો આઇટી શેરોનો છે અને નિફ્ટી અને સેન્સેક્સ જેવા મુખ્ય સૂચકાંકો પર તેની નોંધપાત્ર અસર પડે છે.
જાણકારોનું કહેવું છે કે, રોકાણકારોને ચિંતા છે કે, ભારતીય આઇટી કંપનીઓ પોતાની કમાણી અને પ્રોડક્ટિવિટી જાળવી રાખશે કે નહીં. આનું કારણ એ છે કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના કારણે કામ ઓટોમેટિક થવા માંડશે અને પ્રોજેક્ટો ઝડપથી પૂરા થશે. આ સ્થાનિક આઈટી કંપનીઓના વ્યવસાય મોડેલ માટે એક મહત્વપૂર્ણ પડકાર ઉભો કરે છે.
આઈટી કંપનીઓના કામકાજ પર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો સતત ભય અને યુએસમાં વ્યાજ દરોમાં વહેલા ઘટાડાની નબળી પડતી આશાઓને કારણે રોકાણકારોનો વિશ્વાસ ડગમગી ગયો છે. આ મહિનાની શરૂઆતમાં એમેઝોન અને ગૂગલના સમર્થનવાળી કંપનીએ એક નવું આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સવાળું ટૂલ રજૂ કર્યું છે. આ સાધન આપમેળે ઘણા કાર્યો કરી શકે છે. ભારતીય આઈટી કંપનીઓની સેવાઓની માંગ પર અસર પડી શકે છે તેવી ચિંતા વચ્ચે વિશ્વભરમાં ટેકનોલોજી શેરો પર આ દબાણ વધ્યું છે.
4 ફેબ્રુઆરીથી શરૂ થયેલા ઘટાડા પછી સ્થાનિક આઈટી શેરોમાં લગભગ 15 ટકાનો ઘટાડો થયો છે. પરિણામે, ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ, જે અગાઉ દેશમાં ચોથા ક્રમનું સૌથી વધુ મૂલ્યાંકન ધરાવતી હતી, તે હવે છઠ્ઠા સ્થાને આવી ગઈ છે.
AIનો ખતરો કેટલો મોટો છે?
મોતીલાલ ઓસવાલ ફાયનાન્સિયલ સર્વિસીઝની હાલની રિપોર્ટમાં વિશ્લેષકોએ એ સમજાવવાની કોશિશ કરી છે કે, બજાર ભારતીય આઇટી સર્વિસીઝ અંગે શું વિચારે છે અને શું આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ સાથે જોડાયેલો ખતરો વાસ્તવમાં એટલો મોટો છે, જેટલો માનવામાં આવે છે?
વિશ્લેષણ મુજબ, વર્તમાન શેર ભાવ દર્શાવે છે કે બજાર આગામી દસ વર્ષમાં આ ક્ષેત્રની રોકડ કમાણી સરેરાશ 6.5 ટકા વાર્ષિક વૃદ્ધિની અપેક્ષા રાખે છે. આ અગાઉની અપેક્ષા કરતા નોંધપાત્ર રીતે ઓછું છે.
ઉદાહરણ તરીકે, વૈશ્વિક નાણાકીય કટોકટી દરમિયાન રોકડ કમાણીનો વિકાસ દર લગભગ 40 ટકા હતો. 2016 અને 2019 ની વચ્ચે, જ્યારે વૃદ્ધિ ધીમી પડી, ત્યારે તે 13 ટકા હતો, અને તાજેતરના વર્ષોમાં તે લગભગ 8.5 ટકા રહ્યો છે.
રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, આ સેક્ટરની લગભગ 12થી 15 ટકા આવક પર એઆઇની સીધી અસર પડી શકે છે. આનું કારણ એ છે કે તેનાથી કામ ઝડપી બનશે અને કેટલાક કાર્યોની જરૂરિયાત ઓછી થઈ શકે છે. જોકે, આ ક્યારે અને કેટલી અસર કરશે તે હજુ સ્પષ્ટ નથી.
હવે આગળ શું થઈ શકે?
મોતીલાલ ઓસ્વાલના વિશ્લેષકોએ એઆઈના વધતા પ્રભાવ અંગે બે શક્યતાઓ ઓળખી કાઢી છે. પ્રથમ પરિસ્થિતિમાં, જો કૃત્રિમ બુદ્ધિમત્તાની અસર ઝડપથી જોવામાં આવે, તો આગામી થોડા વર્ષોમાં કમાણી વૃદ્ધિ નોંધપાત્ર રીતે ધીમી પડી શકે છે, અને મોટી કંપનીઓ માટે શેર દીઠ કમાણી લગભગ 10 ટકા ઘટી શકે છે.
બીજા દૃશ્યમાં, જો મોટી કંપનીઓ જટિલ સિસ્ટમો, જૂના માળખા અને નિયમોને કારણે નવી ટેકનોલૉજી અપનાવવામાં સમય લે છે, તો ટૂંકા ગાળામાં વ્યવસાયમાં સુધારો મુખ્ય ભૂમિકા ભજવશે અને નવી ટેકનોલૉજીની અસર ધીમે ધીમે જોવા મળશે.
રિપોર્ટમાં જણાવ્યા અનુસાર હાલના સમયમાં કુલ આવક અને સ્ટ્રક્ચરલ પ્રોફિટનો ગ્રોથ રેટ નીચેથી થોડો સંભાળી શકાયો છે અને હાલના ત્રિમાસિક ગાળામાં નાની અને મધ્યમ કંપનીઓમાં સધારો નોંધાયો છે. લાંબા ગાળાની ચિંતા એ છે કે જો કંપનીઓ પોતાનો કોડ બનાવવાનું શરૂ કરે છે, તો બાહ્ય સેવા આપનારાઓ પરની તેમની નિર્ભરતા ઘટી શકે છે.
જો કે રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, ભૂતકાળમાં, કંપનીઓને સુરક્ષા અને જાળવણીના મુદ્દાઓનો સામનો કરીને પોતાના સોફ્ટવેરનું સંચાલન કરવામાં મુશ્કેલી પડી હતી. તેથી, સમય જતાં, તેઓ એવી કંપનીઓ તરફ વળ્યા છે જે તૈયાર સોફ્ટવેર અને નિષ્ણાતો ઓફર કરે છે. હાલમાં, ઘરે બનાવેલા સોફ્ટવેરનો કુલ ખર્ચમાં માત્ર 14 ટકા હિસ્સો છે, જે 1990ના દાયકામાં ૩૫ થી ૪૦ ટકા હતો.
વિશ્લેષકોનું માનવું છે કે, માત્ર અંદર જ કોડ બનાવી લેવો સારુ સ્ટ્રક્ચર, સિક્યોરિટી કે કોઇ રૂકાવટ વિના કામકાજની ગેરંટી નથી આપતું. સેવા આપનાર કંપનીઓ હજુ પણ સિસ્ટમોને જોડવામાં, સાયબર સુરક્ષા, નિયમનકારી પાલન, કામગીરીમાં સુધારો કરવા અને રૂકાવટો ઘટાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

