ખાનગી કંપનીઓ યુરેનિયમનું ખાણકામ કરી શકશે, પરમાણુ ઊર્જા પર સરકારનો એકાધિકાર સમાપ્ત થશે!

ભારત સરકાર ખાનગી કંપનીઓને યુરેનિયમના ખાણકામ, આયાત અને પ્રોસેસિંગની મંજૂરી આપવાની યોજના બનાવી રહી છે. સમાચાર એજન્સી રોઇટર્સે બે સરકારી સૂત્રોને ટાંકીને અહેવાલ આપ્યો છે કે, આ પગલાનો હેતુ પરમાણુ ક્ષેત્ર પર દાયકાઓ જૂની સરકારી એકાધિકારનો અંત લાવવા અને ઉદ્યોગને વેગ આપવા માટે અબજો ડોલરનું રોકાણ આકર્ષવાનો છે.
પરમાણુ ઉર્જા ઉત્પાદન ક્ષમતા 12 ગણી વધારવાનો લક્ષ્યાંક
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર 2047 સુધીમાં પરમાણુ ઉર્જા ઉત્પાદન ક્ષમતા 12 ગણી વધારવાનો લક્ષ્યાંક ધરાવે છે. રોઇટર્સે એપ્રિલમાં અહેવાલ આપ્યો હતો કે સરકાર વિદેશી કંપનીઓને પાવર પ્લાન્ટ્સમાં લઘુમતી હિસ્સો લેવાની મંજૂરી આપવા માટે નિયમો હળવા કરવા પણ વિચારી રહી છે. સરકારી અંદાજ મુજબ, જો આ વિસ્તરણ લક્ષ્ય પ્રાપ્ત થાય છે, તો પરમાણુ ઉર્જા ભારતની કુલ વીજળી જરૂરિયાતોના 5 ટકાને પૂર્ણ કરશે.
યુરેનિયમ ખાણકામ પર સરકારનું નિયંત્રણ
અત્યાર સુધી, સરકારે પરમાણુ સામગ્રીના સંભવિત દુરુપયોગ, કિરણોત્સર્ગથી રક્ષણ અને વ્યૂહાત્મક સુરક્ષા અંગે ચિંતાઓને કારણે યુરેનિયમના ખાણકામ, આયાત અને પ્રક્રિયા પર નિયંત્રણ જાળવી રાખ્યું છે. વૈશ્વિક પ્રથાઓ અનુસાર, સરકાર ખર્ચાયેલા યુરેનિયમ ઇંધણના પુનઃપ્રક્રિયા અને પ્લુટોનિયમ કચરાનું સંચાલન પર નિયંત્રણ જાળવી રાખશે.
નિયમનકારી માળખું બનાવવાની યોજના
પરમાણુ ઉર્જા ઉત્પાગનના વિસ્તારની સાથે પરમાણુ ઇંધણની વધી રહેલી માગને પૂરી કરવા મદદ કરવા માટે સરકાર એક નિયમનકારી માળખું તૈયાર કરવાનું આયોજન કરી રહી છે. બે સરકારી સૂત્રોએ રોઇટર્સને જણાવ્યું હતું કે, આ નિયમનકારી માળખું ખાનગી ભારતીય કંપનીઓને યુરેનિયમનું ખાણકામ, આયાત અને પ્રક્રિયા કરવાની મંજૂરી આપશે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, પ્રસ્તાવિત નીતિ ખાનગી કંપનીઓને પરમાણુ ઉર્જા પ્લાન્ટ માટે જરૂરી કંટ્રોલ સિસ્ટમ મશીનો સપ્લાય કરવાની પણ મંજૂરી આપશે. નાણા મંત્રાલય, પરમાણુ ઉર્જા વિભાગ અને વડા પ્રધાન કાર્યાલયે રોઇટર્સની ટિપ્પણી માટેની વિનંતીઓનો જવાબ આપ્યો ન હતો. ભારતની બહાર, કેનેડા, દક્ષિણ આફ્રિકા અને યુનાઇટેડ સ્ટેટ્સ સહિત ઘણા દેશો ખાનગી કંપનીઓને યુરેનિયમનું ખાણકામ અને પ્રક્રિયા કરવાની મંજૂરી આપે છે.

