Adani power: એક સમયના અદાણીના સંક્ટમોચક જીક્યુજીએ અદાણી પાવરમાંથી એક ટકા હિસ્સો વેચ્યો

Adani power: અદાણી ગૃપની કંપનીઓમાં અદાણી પાવર લિમિટેડના શેરોમાં મોટી ડિલ જોવા મળી છે. તાજેતરના સમાચાર અનુસાર, અદાણી પાવરમાં હોલ્ડિંગ ધરાવતી વૈશ્વિક રોકાણ કંપની GQG પાર્ટનર્સ એલએલસીએ અદાણી પાવરના 250 મિલિયન ડોલરના શેર વેચી દીધા છે. માહિતી અનુસાર, એસબીઆઇ મ્યુચ્યુઅલ ફંડ મેનેજમેન્ટ લિમિટેડ અને સિટાડેલ સિક્યોરિટીઝ એલએલસીએ આ સોદામાં ખરીદી કરી છે.
GQG પાર્ટનર્સે અદાણી પાવરના આશરે 35 મિલિયન શેર વેચ્યા છે, જે કંપનીના 1 ટકા છે. આ વેચાણમાં એસબીઆઇ મ્યુચ્યુઅલ સૌથી મોટો ખરીદનાર હતો. અહેવાલો અનુસાર, દરેક શેર રૂપિયા 610 થી રૂપિયા 625ની રેન્જમાં વેચાયો હતો. આ સોદો શુક્રવારના રૂપિયા 709ના બંધ ભાવ કરતાં ડિસ્કાઉન્ટ પર છે. 30 જૂન, 2025 સુધીમાં, GQG પાર્ટનર્સ અદાણી પાવરના 68.39 મિલિયન શેર (1.77 ટકા હિસ્સો) ધરાવે છે.
GQG પાર્ટનર્સ અને અદાણી ગૃપનો સંબંધ!
GQG પાર્ટનર્સ ઇન્વેસ્ટમેન્ટ કંપની અદાણી ગ્રુપ માટે ખૂબ મહત્વ ધરાવે છે. વાસ્તવમાં હિન્ડનબર્ગના રિપોર્ટ બાદ અદાણી ગૃપના શેરમાં તીવ્ર ઘટાડો જોવા મળી રહ્યો હતો અને જ્યારે કોઈ અદાણીના શેર ખરીદી રહ્યું ન હતું, ત્યારે રાજીવ જૈનની આગેવાની હેઠળની GQG પાર્ટનર્સ ઇન્વેસ્ટમેન્ટ કંપનીએ અદાણી ગ્રુપના શેરમાં મોટું રોકાણ કર્યું હતું. આનાથી અદાણી ગૃપમાં બજારનો વિશ્વાસ ફરી જાગ્યો છે. રાજીવ જૈન GQG પાર્ટનર્સ ઇન્વેસ્ટમેન્ટ્સના ચેરમેન અને સીઆઇઓ છે.
નોંધનીય છે કે આ સમગ્ર સોદા પછી, અદાણી પાવર, GQG પાર્ટનર્સ, એસબીઆઇ મ્યુચ્યુઅલ અને સિટાડેલ સિક્યોરિટીઝ એલએલસી તરફથી કોઈ પ્રતિભાવ આવ્યો નથી. સોમવારે બપોરે 2:36 વાગ્યે અદાણી પાવરના શેર 19.98% વધીને રૂ. 170 પર ટ્રેડ થઈ રહ્યો હતો.

