Adani Group: અદાણી ગૃપની કંપની AESLએ પ્રથમ ક્વાર્ટરમાં રૂપિયા 538.94 કરોડનો નફો કર્યો, આવક રૂપિયા 7,000 કરોડને વટાવી ગઈ

Adani Group: અદાણી ગૃપની કંપની અદાણી એનર્જી સોલ્યુશન્સ લિમિટેડ (એઇએસએલ) એ ગયા જૂન ક્વાર્ટરમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. કંપનીએ નાણાકીય વર્ષ-25-26ના પહેલા ક્વાર્ટરમાં રૂ. 538.94 કરોડનો નફો મેળવ્યો છે. આ નફો એટલા માટે પણ મોટો માનવામાં આવે છે કારણ કે ગયા વર્ષે આ જ ક્વાર્ટરમાં કંપનીને રૂ. 1,190.66 કરોડનું નુકસાન થયું હતું. આ વખતે નફાનું મુખ્ય કારણ ટ્રાન્સમિશન વ્યવસાયમાંથી વધેલી આવક હતી.
કંપનીની કુલ આવક આ ત્રિમાસિક ગાળામાં વધીને રૂ.7025.49 કરોડ થઇ ગઇ છે, જે ગયા વર્ષે સમાનગાળામાં 5489.97 કરોડ હતી. ટ્રાન્સમિશન વ્યવસાયમાંથી આવક રૂ. 1,746.18 કરોડથી વધીને રૂ. 2,188.19 કરોડ થઈ. જોકે, વિતરણ વ્યવસાયમાંથી આવક રૂ. 3,372.94 કરોડથી થોડી ઘટીને રૂ. 3,359.84 કરોડ થઈ.
કંપનીના સીઈઓ કંદર્પ પટેલે જણાવ્યું હતું કે ચોમાસા પછી બીજા ક્વાર્ટરથી એઇએસએલનો મૂડી ખર્ચ (કેપેક્સ) અને નવી બિડિંગ પ્રવૃત્તિમાં નોંધપાત્ર વધારો થવાની ધારણા છે.
અદાણી એનર્જી સોલ્યુશન્સ લિમિટેડ ભારતમાં વીજળી સાથે જોડાયેલા સંખ્યાબંધ કામકાજ કરે છે. કંપનીનું મુખ્ય કાર્ય વીજળી ટ્રાન્સમિશન (એટલે કે, એક જગ્યાએથી બીજી જગ્યાએ વીજળી પહોંચાડવાનું) અને વિતરણ (ઘરો, ઓફિસો અને ફેક્ટરીઓમાં વીજળી પહોંચાડવાનું) છે. એઇએસએલ દેશની સૌથી મોટી ખાનગી વીજળી ટ્રાન્સમિશન કંપની છે, જેની લાઇન 16 થી વધુ રાજ્યોમાં ફેલાયેલી છે.

