દેશમાંથી 7.75 લાખ ટન ખાંડનો થયો નિકાસ: ખાંડ ઉદ્યોગ દ્વારા સરકારને કરાયો અનુરોધ

સપ્ટેમ્બરમાં સમાપ્ત થયેલી 2024-25ની ખાંડ મોસમમાં દેશમાંથી 7.75 લાખ ટન ખાંડ નિકાસ થવા પામી હતી. ખાંડ ઉદ્યોગ દ્વારા સરકારને અનુરોધ કરવામાં આવ્યો છે કે ઓકટોબરથી શરૂ થયેલી નવી મોસમ માટે નિકાસ ક્વોટા જલદી જાહેર કરવામાં આવે. સમાપ્ત થયેલી મોસમ માટે ખાંડની નિકાસ મંજુરી જાન્યુઆરીમાં આપવામાં આવી હતી. કુલ 10 લાખ ટન ખાંડની નિકાસ છૂટ આપવામાં આવી હતી.
AISAના ડેટા અનુસાર
ઓલ ઈન્ડિયા સુગર ટ્રેડ એસોસિએશન (AISA)ના ડેટા પ્રમાણે ગઈ મોસમના ફેબુ્રઆરીથી સપ્ટેમ્બરના ગાળામાં કુલ 7.75 લાખ ટન ખાંડ છૂટી કરવામાં આવી હતી. એકંદર નિકાસમાં 6.13 લાખ ટન વાઇટ સુગર રહી હતી જ્યારે રિફાઈન્ડ સુગરનો નિકાસ આંક 1.04 લાખ ટન રહ્યો હતો. કાચી ખાંડનો આ આંક 33,338 ટન રહેવા પામ્યો હોવાનું પ્રાપ્ત ડેટા જણાવે છે.
ઉદ્યોગના સુત્રોએ જણાવ્યા મુજબ
21,000 ટન જેટલી રો-સુગર SEZ ખાતેની રિફાઈનરીઓને રવાના કરાઈ હતી જેને નિકાસ તરીકે માનવામાં આવે છે. સમાપ્ત થયેલી ખાંડ મોસમમાં વધુ પડતી નિકાસ સોમાલિયા, શ્રીલંકા, દ્જિબુટી અને અફઘાનિસ્તાન ખાતે થઈ હતી. ઉદ્યોગના સુત્રોએ જણાવ્યું હતું કે, ઓકટોબરથી શરૂ થયેલી નવી ખાંડ મોસમ માટેનો નિકાસ ક્વોટા નવેમ્બર સુધીમાં જાહેર કરી દેવા ઉદ્યોગ દ્વારા સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી હોય.

