NEWS EVENING: રામ મંદિર પરિસરમાં પહોંચી SIT ટીમ, પ્રિસ્ક્રિપ્શન વિના નહીં મળે સિરપ!, ભાજપનો વિવાદ ગાંધીનગર પહોંચ્યો!
પેપર લીક સિસ્ટમની નિષ્ફળતા છે, હવે યુવાનો ગર્જના કરશે!, રાહુલ ગાંધીની દેશવ્યાપી આંદોલનની જાહેરાત
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પેપર લીકને સિસ્ટમની નિષ્ફળતા ગણાવી કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે યુવાનોના ન્યાય માટે દેશવ્યાપી આંદોલનની જાહેરાત કરી છે, જેની શરૂઆત બુધવારે કોટાથી 'છાત્રોં કી ગૂંજ' મહારેલી દ્વારા થશે. આ પછી અલ્હાબાદ, પટના અને દિલ્હીમાં પણ વિદ્યાર્થી સંમેલનો યોજાશે.
રામમંદિરમાં દાન ચોરી મામલે SITની ટીમ તપાસ માટે પહોંચી
અયોધ્યા રામમંદિરમાં ચઢાવાની ચોરીના કેસમાં SITની તપાસ તેજ થઈ છે. DM અને SSP સાથે ટીમ મંદિર પરિસરે પહોંચી છે. અત્યાર સુધીમાં ૫ શંકાસ્પદોની પૂછપરછમાં ₹૨ કરોડની રિકવરી થઈ છે, જ્યારે પૂર્વ મંત્રીએ ₹૭.૫ કરોડની ચોરીનો દાવો કર્યો છે.
નીતિશ-નાયડુને પછાડી હવે આ અજાણ્યો પક્ષ NDAમાં 'નંબર-2'! કેબિનેટમાં જગ્યા મળે તેવી અટકળો તેજ
TMCમાંથી બળવો કરનારા સાંસદોની નવી પાર્ટી 'NCPI' ૨૦ સાંસદો સાથે NDAમાં ભાજપ પછી બીજો સૌથી મોટો પક્ષ બનવા જઈ રહી છે, જે નીતીશ અને નાયડુના પક્ષ કરતાં પણ મોટો હશે.
ડૉક્ટરની ચિઠ્ઠી વિના નહીં મળે કોઈ પણ પ્રકારની સિરપ! કેન્દ્ર સરકારે બદલી નાંખ્યો વર્ષો જૂનો નિયમ
કેન્દ્ર સરકારે વર્ષો જૂનો નિયમ બદલીને હવે ખાંસી સહિત તમામ પ્રકારની સિરપ માટે ડૉક્ટરની ચિઠ્ઠી (પ્રિસ્ક્રિપ્શન) ફરજિયાત કરી છે. દવાનો દુરુપયોગ અને ઓવરડોઝ રોકવા માટે આ મોટો નિર્ણય લેવાયો છે. આ નવો નિયમ 1 જાન્યુઆરી 2027થી દેશભરમાં લાગુ થશે.
હવે બેન્કો નહીં કરી શકે દાદાગીરી! ખોટી પ્રોડક્ટ્સ પધરાવવા પર RBIનો પ્રતિબંધ; જાણો નવા નિયમ
હવે બેંકો ગ્રાહકોને લોન સાથે મોંઘો વીમો કે ખોટી પ્રોડક્ટ્સ બળજબરીથી નહીં પધરાવી શકે. RBIએ 'મિસ-સેલિંગ' અને લોનની જાહેરાતોની ૧૧ ડિજિટલ ચાલબાજીઓ (ડાર્ક પેટર્ન) પર સત્તાવાર પ્રતિબંધ મૂક્યો છે. જો બેંક આવું કરશે તો ગ્રાહકને પૂરેપૂરું રિફંડ ચૂકવવું પડશે. આ નવો નિયમ 1 જાન્યુઆરી 2027થી લાગુ થશે.
નર્મદા ભાજપનો વિવાદ ગાંધીનગર પહોંચ્યો!
નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ અને ધારાસભ્ય વચ્ચેનો વિવાદ વકર્યો છે. કમલમમાં આ મુદ્દે ગંભીર નોંધ લેવાઈ છે અને પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ બંનેને ખુલાસો કરવા તેડાવ્યા છે. મહત્વનું છે કે, રાજપીપળામાં એક કાર્યક્રમ દરમિયાન પ્રોટોકોલ મુજબ સ્વાગત ન થતાં ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ નારાજ થઈને વોકઆઉટ કરી ગયા હતા.
સુરતમાં 'ભૂતિયા ડિમોલિશન' મુદ્દે ઝોનલ ચીફે 7 અધિકારીઓની કડક ઝાટકણી કાઢી
સુરતના નાસિર નગરમાં ગેરકાયદે ડિમોલિશન મુદ્દે વહીવટી તંત્ર એક્શનમાં આવ્યું છે. ઝોનલ ચીફે સેન્ટ્રલ ઝોનના કાર્યપાલક ઈજનેર જયાંગ રામજીવાળા સહિત 7 અધિકારીઓની કડક ઝાટકણી કાઢી છે. આ મામલે તમામ શંકાસ્પદ અધિકારીઓના નિવેદનો લેવાની અને તપાસ રિપોર્ટ સોંપવાની તજવીજ તેજ કરાઈ છે.
અમરેલીમાં સિંહણનો આતંક, યુવક પર કર્યો જીવલેણ હુમલો
અમરેલીના રાજુલાના કોવાયા ગામે અલ્ટ્રાટેક પાવર પ્લાન્ટ પાસે સિંહણે એક યુવક પર જીવલેણ હુમલો કરી તેને ફાડી ખાધો છે. મૃતક પ્રકાશચંદ્ર ઉત્તરાખંડનો વતની હતો અને સ્થાનિક રેસ્ટોરન્ટમાં કામ કરતો હતો. ઘટનાસ્થળેથી યુવકના માત્ર અવશેષો જ મળી આવ્યા છે. વન વિભાગે નરભક્ષી સિંહણને પાંજરે પૂરવા ચક્રો ગતિમાન કર્યા છે.
રાજકોટના પોશ વિસ્તારમાં લુખ્ખા તત્વોનો આતંક!
રાજકોટના યુનિવર્સિટી રોડ પર મોડી રાત્રે ગેંગવોર જેવા દ્રશ્યો સર્જાયા હતા. લુખ્ખા તત્વોના ટોળાએ બે કલાક સુધી જાહેરમાં આતંક મચાવી, પથ્થરમારો કરી વાહનોની તોડફોડ કરી હતી. લાંબા સમય સુધી ચાલેલી આ ગુંડાગીરીને રોકવામાં નિષ્ફળ રહેલી પોલીસ સામે હવે સવાલો ઉઠી રહ્યા છે.

