VIDEO: NEWS AFTERNOON/ અમેરિકાના હુમલા બાદ ઇરાની એટેકની નવી લહેર, પત્નીની હત્યાના આરોપી કોન્સ્ટેબલે કરી આત્મહત્યા, યાત્રાળુઓની સુરક્ષા માટે સાસણની સ્પેશિયલ ટ્રેકર ટીમ તૈનાત!
અમેરિકાના હુમલા બાદ ઇરાની એટેકની નવી લહેર!
અમેરિકાએ સતત ચોથી રાત્રે ઈરાનના સૈન્ય મથકો પર ભારે બોમ્બમારો કર્યો છે. વળતો પ્રહાર કરતા ઈરાને જોર્ડન, બહેરીન અને કુવૈતમાં અમેરિકી એરબેઝ પર મિસાઈલ અને ડ્રોન હુમલા કર્યા છે. આ યુદ્ધથી સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બ્લોક થતાં વૈશ્વિક ઉર્જા સંકટ ઘેરૂં બન્યું છે.
23 વર્ષ બાદ ઇરાકમાંથી સંપૂર્ણપણે બહાર નીકળશે અમેરિકન સેના!
મિડલ ઈસ્ટના રાજકારણમાં મોટો વળાંક આવ્યો છે. ૨૩ વર્ષના લાંબા ગાળા બાદ આગામી સપ્ટેમ્બર ૨૦૨૬ સુધીમાં અમેરિકન સેના ઇરાકમાંથી સંપૂર્ણપણે બહાર નીકળી જશે. તાજેતરના યુદ્ધમાં થયેલા ભારે આર્થિક-સૈન્ય નુકસાન અને ઇરાનના દબાણ બાદ પ્રમુખ ટ્રમ્પે આ ઐતિહાસિક સૈન્ય વાપસીની સત્તાવાર જાહેરાત કરી છે.
મણિપુરના સેનાપતિમાં આસામ રાઈફલ્સ પર હુમલો
મણિપુરના સેનાપતિ જિલ્લામાં સેનાના ઓપરેશન દરમિયાન ઉશ્કેરાયેલા સ્થાનિક ટોળાએ આસામ રાઇફલ્સના કેમ્પ પર પથ્થરમારો અને હુમલો કર્યો છે. આ હિંસામાં સરકારી સંપત્તિને મોટું નુકસાન થયું છે. સ્થિતિને કાબૂમાં લેવા માટે વિસ્તારમાં વધારાની પોલીસ ફોર્સ તૈનાત કરાઈ છે.
પત્નીની હત્યાના આરોપી કોન્સ્ટેબલે કરી આત્મહત્યા!
દિલ્હી પોલીસના એક કોન્સ્ટેબલે પોતાની પત્નીની હત્યા કર્યા બાદ સર્વિસ રિવોલ્વરથી પોતે પણ આત્મહત્યા કરી લીધી છે. આ ચોંકાવનારી ઘટનાથી પોલીસ વિભાગમાં ચકચાર મચી ગઈ છે. ઉચ્ચ અધિકારીઓએ ઘટનાસ્થળે પહોંચીને આ સમગ્ર મામલાની ઝીણવટભરી તપાસ શરૂ કરી છે.
મોરબીમાં ખેડૂત આગેવાનોનો મોટો ધડાકો!
મોરબીના જેતપર આંદોલન વચ્ચે ખેડૂત આગેવાન નિલેશ એરવડિયાનો વીડિયો વાયરલ થયો છે. પોલીસ નોટિસ મુદ્દે તેમણે પોતાને નિર્દોષ ગણાવી ફસાવવાનો આક્ષેપ કર્યો છે. સાથે જ ચીમકી આપી છે કે જો ખેડૂતોને વળતર નહીં મળે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે.
યાત્રાળુઓની સુરક્ષા માટે સાસણની સ્પેશિયલ ટ્રેકર ટીમ તૈનાત!
જૂનાગઢ ગિરનાર સીડી માર્ગ પર વન્યજીવોના હુમલા રોકવા વન વિભાગે મોટી કાર્યવાહી કરી છે. પ્રવાસીઓની સુરક્ષા માટે સાસણની ખાસ એક્સપર્ટ ટ્રેકર ટીમ ચોવીસ કલાક પેટ્રોલિંગ કરશે. સાથે જ એન્ટ્રી ગેટ પર એલઈડી ડિસ્પ્લે દ્વારા વન્યજીવ નિયમોની સૂચનાઓ અપાશે.
નમો ભારત રેપિડ રેલ ખોરવાઈ, અંધારામાં મુસાફરો અટવાયા!
અમદાવાદથી ભુજ જતી નમો રેપિડ ટ્રેનમાં કૂકમા સ્ટેશન નજીક અચાનક ટેકનિકલ ખામી સર્જાઈ હતી. પાવર ગુલ થતાં એસી બંધ થઈ જવાથી મુસાફરો ભારે ગૂંગળામણ અને પરેશાનીમાં મુકાયા હતા. ત્રણ કલાક બાદ અન્ય એન્જિનની મદદથી ટ્રેન રવાના કરાઈ હતી.
સરખેજ-ધોળકા રોડ પર ભયાનક અકસ્માત!
અમદાવાદના સરખેજ-ધોળકા રોડ પર બાકરોલ સર્કલ નજીક બે ટ્રકો વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ દુર્ઘટનામાં એક ડ્રાઈવરનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે, જ્યારે બે લોકો ગંભીર રીતે ઘાયલ થતાં તેમને સોલા સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે.

