VIDEO: NEWS AFTERNOON / ઈરાનના મિસાઈલ હુમલામાં 1 ભારતીયનું મોત, ભગવાન જગન્નાથજીની નેત્રોત્સવ વિધિ કરવામાં આવી, 22 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ
ભગવાન જગન્નાથજીની નેત્રોત્સવ વિધિ કરવામાં આવી
અમદાવાદના ઐતિહાસિક જગન્નાથ મંદિરમાં ભગવાન જગન્નાથજી, બળદેવજી અને સુભદ્રાજીની પવિત્ર નેત્રોત્સવ વિધિ કરવામાં આવી હતી. મોસાળમાં વિવિધ મીઠાઈઓ અને ફળોનો પ્રસાદ આરોગ્યા બાદ ભગવાનને આરામ આપવા માટે આંખે પાટા બાંધવામાં આવ્યા છે, જે હવે સીધા રથયાત્રાના દિવસે જ ખોલવામાં આવશે.
ઈરાનના મિસાઈલ હુમલામાં 1 ભારતીયનું મોત
હોર્મુઝની ખાડીમાં સંયુક્ત અરબ અમીરાતના બે ઓઇલ ટેન્કરો પર ઇરાનનો ભયાનક ક્રૂઝ મિસાઇલોથી હુમલો થયો છે. આ હુમલામાં એક ભારતીય ક્રૂ મેમ્બરનું મોત નીપજ્યું છે અને અન્ય ૬ ભારતીયો ઘાયલ થયા છે. મિસાઇલ ત્રાટકતા જ જહાજોમાં ભીષણ આગ ફાટી નીકળી હતી અને મિડલ-ઇસ્ટમાં યુદ્ધનો ભય ચરમસીમાએ પહોંચ્યો છે.
મિડલ-ઇસ્ટ જંગમાં રશિયાની એન્ટ્રી
ઇરાન-અમેરિકા વચ્ચે વધતા તણાવ વચ્ચે રાષ્ટ્રપતિ પુતિનના આદેશથી રશિયાનું પ્રલયકારી કમાન્ડ એરક્રાફ્ટ 'ટીયુ-૨૧૪ પીયુ' સીધું તહેરાન પહોંચી ગયું છે. પરમાણુ યુદ્ધમાં પણ કાર્યરત રહી શકે તેવું આ ઉડતું કમાન્ડ સેન્ટર મોકલીને મોસ્કોએ અમેરિકાને સ્પષ્ટ સંદેશ આપી દીધો છે કે તે કોઈપણ ભોગે ઇરાનને એકલું નહીં છોડે.
એરલાઇન્સના બેફામ ભાડાં સામે સુપ્રીમ કોર્ટની લાલ આંખ
એરલાઇન્સના બેફામ ભાડાં અને મનસ્વી ચાર્જિસ સામે સુપ્રીમ કોર્ટે ધોકો પછાડ્યો છે. સર્વોચ્ચ અદાલતે કેન્દ્ર સરકારને કડક આદેશ આપ્યો છે કે, 'ભારતીય વાયુયાન અધિનિયમ ૨૦૨૪' હેઠળ એરલાઇન્સ માટે બનાવેલા નવા નિયમો આગામી બે અઠવાડિયામાં સીલબંધ કવરમાં સીધા કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવે, જેથી પ્રવાસીઓને મોટી રાહત મળશે.
22 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ
દેશભરમાં સક્રિય થયેલા મોન્સૂન વચ્ચે હવામાન વિભાગે આગામી થોડા કલાકોમાં દેશના ૨૨ રાજ્યોમાં વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. આવનારા ૩થી ૪ દિવસોમાં બિહાર, પશ્ચિમ બંગાળ અને પૂર્વોત્તર ભારતમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે, જ્યારે આંધ્રપ્રદેશ અને તમિલનાડુમાં ગરમ અને ભેજવાળું હવામાન રહેશે.
અમદાવાદમાં બનશે નવો સુભાષ બ્રિજ
અમદાવાદની સાબરમતી નદી પર આવેલા જર્જરિત સુભાષ બ્રિજને સંપૂર્ણ તોડીને ૮ લેનનો નવો અત્યાધુનિક બ્રિજ બનાવવાની દરખાસ્ત મંજૂર થઈ છે. ₹૫ કરોડના વધારાના ખર્ચ સાથે આ નવો બ્રિજ ૨૪ મહિનામાં તૈયાર થશે, જોકે તંત્ર દ્વારા તેની એક સાઇડ આગામી ૧૬ મહિનામાં જ વાહનવ્યવહાર માટે ખુલ્લી કરી દેવાનો દાવો કરાયો છે."
સુરેન્દ્રનગરમાં સફાઈ કામદારોની હડતાળ
સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના સફાઈ કર્મચારીઓએ સેનિટેશન અધિકારીઓના ત્રાસ અને શોષણ સામે મોરચો માંડી મધ્યરાત્રિથી હડતાળ પર જવાનો નિર્ણય કર્યો છે. એક સફાઈ કર્મચારીએ કચેરીમાં જ આત્મહત્યાનો પ્રયાસ કર્યા બાદ મામલો વધુ ગરમાયો છે, આ હડતાળથી શહેરની સફાઈ વ્યવસ્થા ખોરવાઈ જવાની ભીતિ છે.
રાજકોટનું VIP ડિમોલેશન કૌભાંડ
રાજકોટના જંગલેશ્વરમાં થયેલા VIP ડિમોલેશનના બિલ કૌભાંડની તપાસ અધ્ધરતાલ થતાં પ્રજામાં અનેક સવાલો ઉઠી રહ્યા છે. તપાસ સમિતિના અધ્યક્ષ બદલાયા બાદ ૧૫ દિવસથી એકપણ બેઠક મળી નથી, જેથી કૌભાંડને દબાવવાનો અને દોષિત અધિકારીઓને બચાવવાનો પ્રયાસ થઈ રહ્યો હોવાના ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે."

