NEWS @ MORNING: અમેરિકામાં વધુ એક ભારતીયની હત્યા, અખિલેશ યાદવે રામ મંદિરને લઈ લગાવ્યો ગંભીર આરોપ, આજે દિલ્હીમાં ઈન્ડિયા ગઠબંધનની બેઠક, ગુજરાતવાસીઓ હજી તપશે
1. અમેરિકાના પેન્સિલવેનિયામાં વધુ એક ભારતીય નાગરિકની કરપીણ હત્યા
હૈદરાબાદના 28 વર્ષીય યુવક અંશુલ કુંચાને અમેરિકામાં પિઝા ડિલિવરી કરતી વખતે ગોળી મારવામાં આવી હતી. અંશુલની બહેને ગંભીર આરોપો લગાવતા કહ્યું કે, અંશુલની હત્યા 5 અને 6 જૂનની મધ્યરાત્રિએ અમેરિકાના ફિલાડેલ્ફિયામાં કરાઈ હતી. તેને માથામાં 3 ગોળીઓ મારવામાં આવી હતી અને રસ્તા પર મરવા માટે છોડી દેવાયો હતો. તેનો કોઈ પણ સામાન ચોરી થયો નથી. તેણે આક્ષેપ કર્યો કે આ એક મોટું કાવતરું હતું.
2. અખિલેશ યાદવે અયોધ્યાના રામ મંદિરને લઈ લગાવ્યો અત્યંત ગંભીર આરોપ
અખિલેશ યાદવે સોશિયલ મીડિયા પર આરોપ લગાવ્યો છે કે અયોધ્યા રામ મંદિરના ચઢાવામાંથી કરોડો રૂપિયા ગાયબ થયા છે, જેની ન્યાયાલયે જાતે નોંધ (સુઓમોટો) લેવી જોઈએ. બીજી તરફ રામ મંદિર ટ્રસ્ટના સભ્ય મહંત દિનેન્દ્ર દાસે આ આરોપોને પાયાવિહોણા ગણાવી ફગાવ્યા છે અને કહ્યું છે કે ટ્રસ્ટનો તમામ હિસાબ-કિતાબ એકદમ પારદર્શક છે.
3. આજે દિલ્હીમાં વિપક્ષી ઈન્ડિયા ગઠબંધનની બેઠક યોજાશે
કોંગ્રેસના પ્રવક્તા જયરામ રમેશે જણાવ્યું હતુ કે, કેટલાક પક્ષો પોતાના અંગત કારણોસર ગેરહાજર રહે તો પણ 8 જૂને દિલ્હીમાં યોજાનારી બેઠકમાં 23 પક્ષોની હાજરી સાથે ઈન્ડિયા ગઠબંધન સંપૂર્ણપણે એક જ રહેશે. ગેરહાજર રહેનારા પક્ષો પણ મોદી સરકારની યુવા વિરોધી, બંધારણ વિરોધી અને રાષ્ટ્રીય હિત વિરૂદ્ધની નીતિઓ સામે વિપક્ષી ગઠબંધનની સાથે મજબૂતાઈથી ઉભા છે.
4. ગુજરાતવાસીઓ હજી તપશે, તાપમાનમાં કોઈ ઘટાડો નહીં થાય
હવામાન વિભાગની આગાહી મુજબ 13 જૂન સુધી રાજ્યમાં ગરમી યથાવત રહેશે, જેમાં દક્ષિણ ગુજરાતના ડાંગ, તાપી, નવસારી અને વલસાડમાં આખું અઠવાડિયું વરસાદી માહોલ રહેશે જ્યારે મધ્ય અને ઉત્તર ગુજરાતમાં હવામાન સૂકું રહેશે. રાહતના સમાચાર એ છે કે વાતાવરણમાં પલટો આવતા હવામાન વિભાગે અગાઉ આપેલી 40 થી 50 કિમીની ઝડપે પવન ફૂંકાવાની ચેતવણી પાછી ખેંચી લીધી છે.
5. સામાજિક અગ્રણી પરસોતમ પીપળીયાની પોલીસે અટકાયત કરી
રાજકોટમાં ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારનો વિરોધ કરવા અને પડકાર આપવા પહોંચે તે પહેલાં જ સામાજિક અગ્રણી પરસોતમ પીપળીયાની પોલીસે અટકાયત કરી લીધી છે. પરસોતમ પીપળીયાએ આ અંગે કાયદો અને વ્યવસ્થા જાળવવા સુરક્ષાની માંગણી કરી હતી, પરંતુ યોગ્ય પોલીસ બંદોબસ્ત ન મળ્યો હોવાનો આક્ષેપ પણ કર્યો છે.
6. મોડાસામાં યુવતીનું અપહરણ કરનાર 6 આરોપી ઝડપાયા
અરવલ્લીના મોડાસામાં પ્રેમલગ્ન કરનાર યુવક પર હુમલો કરી તેની પત્નીનું અપહરણ કરાયા બાદ, પોલીસે ગણતરીના કલાકોમાં યુવતીને ભરૂચના આમોદથી સુરક્ષિત રીતે મુક્ત કરાવી લીધી છે. આ મામલે પોલીસે લૂંટ, ધાડ અને અપહરણના ગુના હેઠળ યુવતીના સગા-સંબંધીઓ સહિત 6 આરોપીઓની ધરપકડ કરી મોડાસા ટાઉન પોલીસ મથકે વધુ તપાસ હાથ ધરી છે.
7. અમદાવાદમાં સિવિલમાં બાળકની જટીલ રીકન્સ્ટ્રક્ટિવ સર્જરી કરાઈ
અમદાવાદ સિવિલ હોસ્પિટલના બાળરોગ સર્જરી વિભાગે ઉત્તર પ્રદેશના ૧૨ વર્ષીય બાળક પર જટિલ જનિટલ રીકન્સ્ટ્રક્ટિવ સર્જરી કરીને તેને નવજીવન આપ્યું છે. આ બાળકને માત્ર ૨૫ દિવસની ઉંમરે શ્વાનના હુમલામાં ગંભીર ઇજા થવાને કારણે છેલ્લા ૧૨ વર્ષથી પેશાબ કરવાની તકલીફ હતી, જેનો સફળ ઈલાજ ડૉ. રાકેશ જોષી અને તેમની ટીમે કર્યો છે.
આજનું રાશિફળ
આજે કુંભ રાશિના ચંદ્ર અને શુક્ર-ગુરુના શુભ સમન્વયના કારણે મેષ, સિંહ, તુલા અને કુંભ રાશિના જાતકો માટે આર્થિક લાભ અને પ્રગતિના મજબૂત યોગ બની રહ્યા છે.
કાર્યક્ષેત્રે યોગ્ય મેનેજમેન્ટ અને યોજનાઓ સુધરવાના કારણે વૃષભ, મિથુન, વૃશ્ચિક અને મીન રાશિના જાતકોને નવી જવાબદારીઓ કે પ્રમોશન મળી શકે છે. અને ગોચરની નકારાત્મક અસરોના લીધે કર્ક, કન્યા, ધન અને મકર રાશિના જાતકોએ આજે ખાસ સાવધાની રાખવી પડશે.
આજનું પંચાંગ
"પંચાંગ મુજબ આજે સોમવારની સાથે પ્રીતિ યોગ અને અમૃત ચોઘડિયાનો શુભ સંયોગ હોવાથી શિવ આરાધના, ભક્તિ અને શાંતિપ્રિય કાર્યો માટે દિવસ ખૂબ જ ઉત્તમ માનવામાં આવે છે. આજે સૂર્ય અને શુક્રના ગ્રહ ગોચરની વિશેષ સ્થિતિને કારણે આર્થિક આયોજનો અને કરિયર સંબંધિત નિર્ણયોમાં સફળતાની સંભાવના વધશે. માત્ર રાહુકાળના સમયને ધ્યાનમાં રાખીને, શુભ મુહૂર્તમાં કામની શરૂઆત કરવાથી ધારેલું પરિણામ મળી શકશે."
આજનો ઇતિહાસ
8 જૂન, 1948ના રોજ ભારતના નાગરિક ઉડ્ડયન ઇતિહાસમાં એક સુવર્ણ પ્રકરણ લખાયું હતું. આ દિવસે એર ઇન્ડિયાના લોકહીડ કોન્સ્ટેલેશન વિમાન 'મલબાર પ્રિન્સેસ' એ મુંબઈથી લંડન માટે પોતાની પ્રથમ આંતરરાષ્ટ્રીય ઉડાન ભરી હતી. આ ઉડાન સાથે જ ભારત વૈશ્વિક ઉડ્ડયન નકશા પર ગૌરવભેર અંકિત થયું હતું.
એક સુંદર વિચાર સાથે દિવસની સકારાત્મક શરૂઆત
"સફળતા મેળવવાનો કોઈ શોર્ટકટ નથી હોતો, તેના માટે સખત પરિશ્રમ અને ધૈર્યની જ જરૂર પડે છે."

