યુદ્ધ વચ્ચે પેઝેશ્કિયન અને અરાગચી જશે US, ફેબ્રુઆરીથી ચાલી રહેલા સંઘર્ષનો આવશે અંત?

ટ્રમ્પ વહીવટીતંત્ર વરિષ્ઠ ઈરાની અધિકારીઓના પ્રતિનિધિમંડળને આવતા અઠવાડિયે ન્યૂયોર્કમાં યોજાનારી સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં હાજરી આપવાની મંજૂરી આપશે. આ નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે જ્યારે અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ યથાવત છે અને સંઘર્ષના ઉકેલ માટેની છૂટીછવાઈ વાતચીત ચાલી રહી છે.યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે ગુરુવારે જણાવ્યું હતું કે, સંયુક્ત રાષ્ટ્રના યજમાન દેશ તરીકેની પોતાની જવાબદારીઓના ભાગરૂપે ઈરાની પ્રતિનિધિમંડળને સામાન્ય સભાની બેઠકમાં હાજરી આપવાની મંજૂરી આપવામાં આવશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયન અને વિદેશ મંત્રી અબ્બાસ અરાગચી એવા લોકોમાં સામેલ છે જેમને વિઝા આપવામાં આવશે.
આ સંઘર્ષની શરૂઆત ૨૮ ફેબ્રુઆરીએ યુએસ અને ઈઝરાયેલ દ્વારા ઈરાન પર કરવામાં આવેલા હુમલા બાદ થઈ હતી. તેના જવાબમાં, તેહરાને ઈઝરાયેલ અને યુએસના સૈન્ય મથકો ધરાવતા અખાતી દેશો વિરુદ્ધ હુમલા કર્યા હતા. ત્યારથી, યુએસ અને ઈરાન વચ્ચેના સંઘર્ષને સમાપ્ત કરવા અંગે સમયાંતરે વાતચીત થતી રહી છે.
ઈરાની પ્રતિનિધિમંડળ પરના પ્રતિબંધો યથાવત રહેશે
અમેરિકાના વિદેશ વિભાગના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ઈરાની પ્રતિનિધિમંડળ માટે મુસાફરી અંગેના પ્રતિબંધો અમલમાં રહેશે. આ ઉપરાંત, વર્તમાન અમેરિકી નીતિ હેઠળ લક્ઝરી અને અન્ય વસ્તુઓની ખરીદી પરનો પ્રતિબંધ પણ ચાલુ રહેશે. પ્રવક્તાએ નોંધ્યું હતું કે આ પ્રતિનિધિમંડળ ગયા વર્ષના પ્રતિનિધિમંડળ કરતાં કદમાં નાનું હશે.
સંયુક્ત રાષ્ટ્ર (UN) કરાર હેઠળ અમેરિકાની જવાબદારીઓ
૧૯૪૭ના સંયુક્ત રાષ્ટ્ર મુખ્યાલય કરાર હેઠળ, અમેરિકા સામાન્ય રીતે વિદેશી રાજદ્વારીઓ માટે સંયુક્ત રાષ્ટ્ર સુધી પહોંચવાની સુવિધા પૂરી પાડવા માટે બંધાયેલું છે. જોકે, અમેરિકાનું વલણ એવું છે કે સુરક્ષા, આતંકવાદ અને વિદેશ નીતિ જેવા કારણોસર વિઝા આપવાનો ઇનકાર કરી શકાય છે.ઈરાની પ્રતિનિધિમંડળને મંજૂરી આપવાનો આ નિર્ણય ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા પેલેસ્ટિનિયન અધિકારીઓને પ્રવેશ ન આપવાની જાહેરાત કર્યાના માત્ર એક દિવસ બાદ લેવામાં આવ્યો છે.

