WHOએ જાહેર કરી ઇન્ટરનેશનલ ઇમરજન્સી, ઈબોલાના નવા ઘાતક સ્ટ્રેનનો પ્રકોપ, કોઈ સ્પેશિયલ દવા નથી

વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ હાલમાં ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો (DRC) અને યુગાન્ડામાં ફેલાયેલા ઈબોલા વાયરસને 'ઇન્ટરનેશનલ ઇમરજન્સી ઓફ કન્સર્ન' એટલે કે જાહેર આરોગ્યની આંતરરાષ્ટ્રીય ચિંતાની કટોકટી જાહેર કરી દીધી છે. આ બીમારી બુંડીબુગ્યો વાયરસ (Bundibugyo virus)ને કારણે થઈ રહી છે, જે ઈબોલા વાયરસનો જ એક ઘાતક સ્ટ્રેન છે.
બુંડીબુગ્યો સ્ટ્રેનનો પ્રકોપ
આ સ્ટ્રેન અગાઉની મોટાભાગની મહામારીઓમાં ફેલાયેલા 'ઝૈરે' (Zaire) સ્ટ્રેન કરતાં અલગ છે. બુંડીબુગ્યો સ્ટ્રેનની શોધ વર્ષ 2007-2008માં યુગાન્ડાના બુંડીબુગ્યો જિલ્લામાં થઈ હતી, જ્યાં તે પહેલીવાર સામે આવ્યો હતો. ત્યારે તેણે 116થી વધુ લોકોને સંક્રમિત કર્યા હતા અને તેના કારણે આશરે 34-40 ટકા લોકોના મોત થયા હતા. DRCના ઇતુરી પ્રાંતમાં આ 17મી વખત ઈબોલાનો પ્રકોપ છે, પરંતુ આ વખતે વાયરસનો પ્રકાર અલગ છે. આ સ્ટ્રેન માટે કોઈ સ્પેશિયલ વેક્સિન કે ખાસ દવા નથી, જે આ બાબતને વધુ પડકારજનક બનાવે છે.
બુંડીબુગ્યો સ્ટ્રેનની ગંભીરતા અને લક્ષણો
બુંડીબુગ્યો સ્ટ્રેન ઓછો ઘાતક છે. ભૂતકાળની ઘટનાઓમાં તેનો મૃત્યુદર સરેરાશ 32-40 ટકા રહ્યો છે, જો કે કેટલાક રિપોર્ટમાં તેને 50 ટકા સુધી પણ જણાવવામાં આવ્યો છે. આ દર સારવારની ઉપલબ્ધતા, દર્દીની ઉંમર, સ્વાસ્થ્યની સ્થિતિ અને સંક્રમણની ગંભીરતા પર આધાર રાખે છે. તેમ છતાં, આ વાયરસ ખૂબ જ ખતરનાક છે કારણ કે તે ઝડપથી ફેલાઈ શકે છે. યોગ્ય સંભાળ વિના તે ઘણા લોકોનો જીવ લઈ શકે છે. DRCના ગીચ ઉષ્ણકટિબંધીય જંગલોમાં આ વાયરસ કુદરતી રીતે હાજર રહે છે. ચામાચીડિયા જેવા પ્રાણીઓ તેના વાહક હોઈ શકે છે.
શું આ રોગ મટી શકે છે?
બુંડીબુગ્યો સ્ટ્રેન માટે હાલમાં કોઈ ખાસ એન્ટીવાયરલ દવા કે વેક્સિન ઉપલબ્ધ નથી, જ્યારે 'ઝૈરે' સ્ટ્રેન માટે વેક્સિન અને સારવાર હાજર છે. જેથી તેની સારવાર મુખ્યત્વે સપોર્ટિવ કેર પર આધાર રાખે છે. જેમાં શરીરમાં પાણી અને ઇલેક્ટ્રોલાઇટ્સની અછત પૂરી કરવી. તાવ અને દુખાવાની દવાઓ આપવી. જો જરૂરી હોય તો અન્ય સંક્રમણથી બચવા માટે એન્ટીબાયોટીક્સ આપવી. ગંભીર કિસ્સાઓમાં ઓક્સિજન અથવા બ્લડ ટ્રાન્સફ્યુઝન (લોહી ચડાવવું) સામેલ છે.
ઈબોલા વાયરસ કેમ ખતરનાક?
આ વાયરસથી કોંગોમાં તો 2018થી 2020 દરમિયાન 3 હજારથી વધુનાં મોત થયાં હતાં. ઉલ્લેખનીય છે કે ઈબોલા સૌથી ખતરનાક વાયરસ માનવામાં આવે છે. આ વાયરસથી સંક્રમિત લોકો પૈકી 90 ટકા મૃત્યુ પામે છે. હાલ જે બુંડીબુગ્યો સ્ટ્રેન ફેલાઈ રહ્યો છે તેનાથી મોતનું પ્રમાણ 40 ટકા આસપાસ છે. આ રોગમાં ડાયેરિયા અને લોહી પડવા લાગે છે. રિપોર્ટ પ્રમાણે આ વાયરસ માત્ર 3 દિવસમાં જીવ લઈ શકે છે. આ રોગના રોગીને સ્પર્શવાથી કે તેની આજુબાજુમાં રહેવાથી પણ આ ચેપ લાગે છે. તે શ્વાસ દ્વારા પણ ફેલાઈ શકે છે. તેથી તે સૌથી વધુ ખતરનાક છે. તે છીંકથી તથા ખાંસીથી પણ ફેલાય છે. આ વાયરસ પશુઓમાં પણ ફેલાય છે. તેનાથી સંક્રમિત જીવને ખાવાથી પણ ફેલાય છે. તેનાં જંતુ કોઈ પણ ઘા વાગે તો તે દ્વારા પણ શરીરમાં ઘૂસી જાય છે. તે ઓર્થો બોલા વાયરસ જૂથના વાયરસ છે, તેથી થાક લાગે છે. તાવ ચઢે છે, માથાનો દુઃખાવો શરૂ થઈ જાય છે. સમયસર ટ્રીટમેન્ટ ન મળે તો ત્રણ જ દિવસમાં દર્દીનું મૃત્યુ થાય છે.

