Trumpના તેવર હજુ ગરમ: 'હવે વાત ત્યારે કરીશું જ્યારે મુદ્દો ઉકેલાશે...' 50% ટેરિફ બાદ પણ ભારત સામે ટ્રમ્પની કડકાઈ

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર લાદવામાં આવેલા 50 ટકા ટેરિફ અંગે વધુ એક મોટું નિવેદન આપ્યું છે. એક પ્રશ્નના જવાબમાં ટ્રમ્પે સ્પષ્ટતા કરી હતી કે જ્યાં સુધી આ મુદ્દો ઉકેલાશે નહીં ત્યાં સુધી ભારત સાથે વેપાર મંત્રણાનો સવાલ જ નથી.
ટ્રમ્પની ચોખ્ખી વાત...
એક સમાચાર એજન્સીએ ડોનાલ્ડ ટ્રમ્પને પૂછ્યું હતું કે, "શું તમે ભારત પર લાદવામાં આવેલા 50 ટકા ટેરિફને કારણે વેપાર વાટાઘાટો ઝડપી થવાની અપેક્ષા રાખો છો?" આ અંગે ટૂંકો જવાબ આપતા ટ્રમ્પે કહ્યું, 'ના, જ્યાં સુધી અમે તેનો ઉકેલ ન લાવીએ ત્યાં સુધી નહીં.'
હાલ બંને દેશોના સંબંધોમાં તણાવ
ટ્રમ્પનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ટેરિફ અંગે ભારત-અમેરિકા વેપાર સંબંધોમાં તણાવ જોવા મળી રહ્યો છે. ભારત અમેરિકા દ્વારા 50 ટકા ટેરિફ એકપક્ષીય લાદવા અંગે ચિંતિત છે અને આ મુદ્દાને લઈને બંને દેશો વચ્ચે રાજદ્વારી વાટાઘાટો ચાલી રહી છે.
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર ટેરિફ ઝિંક્યા બાદ ચીને ભારતનું જાહેરમાં સમર્થન કર્યું છે. ચીને ટેરિફ ઝિંકનાર ટ્રમ્પને બદમાશ કહી નાખ્યા છે અને કહ્યું છે કે, થોડી ઢીલ આપશો તો તેઓ માથા પર બેસી જશે. આ પહેલા ટ્રમ્પે ભારતથી અમેરિકામાં નિકાસ થતાં ઉત્પાદનો પર કુલ 50 ટકા ટેરિફ ઝિંક્યો હતો. ટ્રમ્પને વાંધો એ છે કે, ભારત રશિયા પાસેથી વધુ વેપાર કરે છે, તેથી જ તેમણે ભારત-અમેરિકાના ગાઢ સંબંધો ભૂલી વધુ ટેરિફ ઝિંકી રહ્યા છે.

