લા-નીના ઘટનાને કારણે કેન્યામાં ભયંકર દુષ્કાળની સ્થિતિ, UAE મદદ માટે આવ્યું આગળ

યુનાઇટેડ આરબ અમીરાતે તેની યુએઇ મેઇડ એજન્સી દ્વારા 30 ટન જેટલું ખાદ્ય કેન્યા મોકલ્યું છે. ઉલ્લેખનીય છે કે કેન્યામાં છેલ્લાં કેટલાંક વર્ષોથી ઉપરા ઉપરી દુષ્કાળ પડતો આવ્યો છે. તેના પરિણામે જનસામાન્યને, અનાજનાં ફાંફાં પડી રહ્યાં છે. બીજી તરફ વન્ય જીવન પૈકી ઘણાં પ્રાણીઓ પણ મૃત્યુ પામ્યાં છે. હકીકત એ છે કે લા-નીના ઘટનાને લીધે કેન્યા, પ્રચંડ ઋતુ પરિવર્તનનો સામનો કરી રહ્યું છે. લા-નીના પ્રવાહો સમુદ્રની સપાટી ઉપરના પવનના પ્રવાહો તેમજ સમુદ્રની સપાટી ઉપરના જળ પ્રવાહોને લીધે સર્જાય છે. કારણ કે તે પ્રવાહો સરેરાશ કરતાં ઘણું નીચું ઉષ્ણતામાન ધરાવે છે. પરીણામે જે ભૂમિ ભાગ સાથે તે પ્રવાહો અથડાય છે તે વિસ્તાર દુષ્કાળ ગ્રસ્ત બની જાય છે. કારણ કે તે પ્રવાહો ભેજ ધરાવતા નથી હોતા.
'લા-નીના' ઘટનાને લીધે કેન્યા પ્રચંડ ઋતુ પરિવર્તનનો સામનો કરી રહ્યું છે 'લા-નીનાને' લીધે સમુદ્ર સપાટી સરેરાશ કરતાં વધુ ઠંડી રહેતાં ઋતુચક્ર ખોરવાયું છે.
લા-નીના ઘટનાને કારણે અનેક પ્રાણીઓ નાશ પામે છે
આ પરિસ્થિતિએ ઘણા વિસ્તારોમાં ખાદ્ય પદાર્થોની અછત ઊભી કરે છે. તેટલું જ નહીં પરંતુ ઘાસ પણ પ્રમાણમાં ઓછું ઉગે છે. વ્યાપક વિસ્તારો ધાર વીનાના સૂકાભઠ્ઠ રહેતાં ઘાસ પર નભતાંપશુઓ નાશ પામે છે અને તે પશુઓ ઉપર નભતાં માંસાહારી પ્રાણીઓ પણ ખતમ થઇ જાય છે. આમ પલટતું ઋતુચક્ર અનેક રીતે માઠી અસર કરે છે.
UAEએ કેન્યાને પહોંચાડી મદદ
આવા સમયે યુએઇએ કેન્યાને અન્ન સહાય મોકલી છે. યુએઇ એઇડ એજન્સીના ચેરમેન તારિક અહમદ અલ અમીરીએ કહ્યું હતું કે મુશ્કેલીમાં રહેલાઓને સહાય કરવી તે શ્રેષ્ઠ ધર્મ છે. તેમાંયે અત્યારે રમઝાનનો પવિત્ર માસ ચાલે છે, ત્યારે આવું સુકૃત્ય તો કરવું જ જોઇએ. તેથી દેશો વચ્ચે સહકાર વધે માનવીય ઐક્ય વધે. કોઇને પણ કુદરતી આપત્તિઓ કટોકટી કે અન્ન અછત સમયે અન્ન આપવું માનવી તરીકે આપણી ફરજ બની રહે છે.
તારીક અહમદે વધુમાં કહ્યું હતું કે યુએઇની એઇડ એજન્સીઓ નેશનલ ડોનર્સ અને ડોનર સંસ્થાઓ તથા સખાવતી સંસ્થાઓની સાથે સહકારમાં આપત્તિગ્રસ્તોને સહાય કરવા હંમેશાં કટિબધ્ધ જ રહે છે.

