અફઘાનિસ્તાને કરેલા વળતા પ્રહારથી અકળાયું પાકિસ્તાન! કંધારમાં સૈન્ય ઠેકાણા પર ફરી કરી એરસ્ટ્રાઈક

પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે સરહદી વિવાદ હવે લોહિયાળ જંગમાં ફેરવાઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. પાકિસ્તાને અફઘાનિસ્તાનના કંદહાર વિસ્તારમાં તાલિબાનોના સૈન્ય મથકો પર ભીષણ એરસ્ટ્રાઈક કરી છે. પાકિસ્તાનનો દાવો છે કે તેના શહેરો પર થયેલા ડ્રોન હુમલાના જવાબમાં આ કાર્યવાહી કરવામાં આવી છે.
શા માટે પાકિસ્તાને કરી એરસ્ટ્રાઈક?
પાકિસ્તાની અધિકારીઓના જણાવ્યા અનુસાર, છેલ્લા કેટલાક દિવસોથી ક્વેટા, કોહાટ અને રાવલપિંડી જેવા શહેરો પર શંકાસ્પદ ડ્રોન જોવા મળ્યા હતા. ક્વેટામાં ડ્રોનનો કાટમાળ પડવાથી બે બાળકો ઘાયલ થયા હતા. પાકિસ્તાને આ ઘટનાને "રેડ લાઈન" પાર કરવા સમાન ગણાવી છે. પાકિસ્તાનનો આરોપ છે કે આ ડ્રોન હુમલાનું કાવતરું અફઘાનિસ્તાનના કંદહારથી ઘડવામાં આવ્યું હતું.
તાલિબાનના ગંભીર આક્ષેપો: UNના ફ્યુઅલ ડેપો પર હુમલો?
બીજી તરફ, અફઘાનિસ્તાનની તાલિબાન સરકારે પાકિસ્તાન પર નિર્દોષ નાગરિકોને નિશાન બનાવવાનો આરોપ લગાવ્યો છે. કાબુલનો દાવો છે કે, પાકિસ્તાની હુમલામાં 6 સામાન્ય લોકોના મોત થયા છે અને 15 ઘાયલ થયા છે. પ્રવક્તા ઝબીહુલ્લા મુજાહિદે જણાવ્યું કે, પાકિસ્તાને કંદહાર એરપોર્ટ પાસે ખાનગી એરલાઇન 'Kam Air'ના ફ્યુઅલ ડેપોને પણ નિશાન બનાવ્યું છે. આ ઈંધણનો ઉપયોગ સંયુક્ત રાષ્ટ્ર (UN)ની ઉડાન માટે થતો હતો.
સરહદ પર લોહિયાળ અથડામણ
એરસ્ટ્રાઈક બાદ સ્થિતિ વધુ વણસી છે. પાકિસ્તાનના લક્કી મરવત જિલ્લામાં રોડ સાઇડ બોમ્બ બ્લાસ્ટમાં 7 પાકિસ્તાની પોલીસકર્મીઓ શહીદ થયા છે. અફઘાન રક્ષા મંત્રાલયે દાવો કર્યો છે કે તેમણે પાકિસ્તાની ચોકી પર કબજો કરી 14 સૈનિકોને ઠાર માર્યા છે. જોકે, પાકિસ્તાને આ દાવાને પાયાવિહોણો ગણાવ્યો છે.પાકિસ્તાને સ્પષ્ટ કર્યું છે કે તેમની લડાઈ માત્ર 'તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન' (TTP) ના આતંકવાદીઓ સામે છે. પરંતુ અફઘાન સરહદ પર વધતી સૈન્ય ગતિવિધિઓએ દક્ષિણ એશિયામાં ચિંતા વધારી દીધી છે.

