Pakistan news: પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વામાં આત્મઘાતી હુમલો, એક પોલીસકર્મીનું મોત, 3 ઈજાગ્રસ્ત

Pakistan news: પાડોશી દેશ પાકિસ્તાન અત્યારે મોંઘવારી, સતત વધતા વીજળીના ભાવ, સરકાર વિરુદ્ધ વધતો જનાક્રોશ, અસ્થિર રાજકીય પરિસ્થિતિ વચ્ચે પાકિસ્તાનના સૌથી અશાંત વિસ્તાર ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતમાં સુરક્ષાદળોને ટાર્ગેટ કરી ભીષણ હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલા દરમ્યાન આત્મઘાતી હુમલાખોરે પોલીસ વાહનને નિશાન બનાવી વિસ્ફોટ કર્યો હતો. પાકિસ્તાનમાં આવેલા ખૈબર પખ્તૂનખ્વામાં તાજેતરના મહિનાઓમાં અહીં સતત સુરક્ષાદળોને નિશાન બનાવીને હુમલા કરવામાં આવી રહ્યા છે. આ વખતે ફરી પોલીસ વાહનને ટાર્ગેટ કરી હુમલો કરવામાં આવ્યો છે.
એક પોલીસકર્મીનું મોત, ત્રણ ઘાયલ
આ હુમલાની વિગતો આપતાં પોલીસે જણાવ્યું હતું કે સોમવારે ખૈબર પખ્તુનખ્વાના લક્કી મારવત જિલ્લામાં એક આત્મઘાતી હુમલાખોરે પોલીસ વાહન પર હુમલો કર્યો હતો. આ ઘટનામાં એક પોલીસકર્મીનું મોત થયું હતું અને ત્રણ અન્ય ઘાયલ થયા હતા. સરકારી અધિકારીએ માહિતી આપતા કહ્યું કે, આ જિલ્લામાં પહેલા પણ સુરક્ષા દળોને નિશાન બનાવવામાં આવ્યા છે.
પોલીસ અધિકારીઓએ શું કહ્યું?
આ હુમલાની વિગતો આપતાં એક સરકારી અધિકારીએ જણાવ્યું હતું કે આ હુમલો તાજોરી પોલીસ સ્ટેશન નજીક થયો હતો. હુમલા દરમિયાન, એક આત્મઘાતી હુમલાખોરે પોલીસ વાહન પાસે પોતાને ઉડાવી દીધો હતો. હુમલામાં મૃત્યુ પામેલા હેડ કૉન્સ્ટેબલની ઓળખ અલાઉદ્દીન તરીકે થઈ છે.
હુમલાખોરનો સાગરિત પલાયન
મળતી માહિતી અનુસાર, ખૈબર પખ્તૂનખ્વામાં થયેલા આ હુમલા દરમિયાન ઈજાગ્રસ્ત થયેલા અન્ય પોલીસકર્મીઓને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હુમલાખોરનો એક સાથી હુમલા બાદ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો અને તેને પકડવા માટે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.
મુખ્યમંત્રી આફ્રિદીએ કડક શબ્દોમાં ઘટનાને વખોડી
ખૈબર પખ્તૂનખ્વાના મુખ્યમંત્રી સોહેલ આફ્રિદીએ લક્કી મારવત જિલ્લામાં થયેલા આત્મઘાતી હુમલા પર પ્રતિક્રિયા આપી છે. મુખ્યમંત્રી આફ્રિદીએ આત્મઘાતી હુમલાની સખત નિંદા કરી છે અને કહ્યું છે કે સરકાર પોલીસની સાથે ઉભી છે. આતંકવાદીઓને પકડવા માટે એક વિશાળ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અને તેમને કોઈપણ સંજોગોમાં બક્ષવામાં આવશે નહીં.
પાકિસ્તાની સેનાને નિશાન બનાવાઈ
આ દરમિયાન, એ પણ નોંધવું જોઈએ કે તાજેતરમાં ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતમાં પાકિસ્તાની સેનાને નિશાન બનાવીને એક ઘાતક હુમલો કરવામાં આવ્યો હતો. સુરક્ષા દળોના કાફલાને નિશાન બનાવવામાં આવ્યો હતો. આ હુમલામાં પાકિસ્તાની સેનાના એક કેપ્ટન અને પાંચ સૈનિકો માર્યા ગયા હતા.

