VIDEO: ન્યૂયોર્ક પહોંચતા જ થશે નેતન્યાહૂની ધરપકડ? મમદાનીના નિવેદન પર ટ્રમ્પનો પલટવાર!
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે સ્પષ્ટ કર્યું હતું કે ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂની અમેરિકી ધરતી પર કોઇપણ સંજોગોમાં ધરપકડ કરવામાં આવશે નહીં. ટ્રમ્પનું આ નિવેદન ન્યૂયોર્ક સિટીના મેયર ઝોહરાન મમદાનીના એ નિવેદન પછી આવ્યું છે, જેમાં તેમણે કહ્યું હતું કે જો નેતન્યાહૂ ન્યૂયોર્ક આવે છે તો તેમની ધરપકડના કાનૂની વિકલ્પો પર વિચાર કરવામાં આવી રહ્યો છે. મમદાનીએ 'ધ ન્યૂયોર્ક ટાઇમ્સ' સાથેની વાતચીતમાં નેતન્યાહૂને 'યુદ્ધ અપરાધી' ગણાવ્યા હતા અને કહ્યું હતું કે 'તેમનું સ્થાન હેગ (ICC)માં છે.'
'અમે કાયદા મુજબ જ કાર્યવાહી કરીશું'
મમદાનીએ જણાવ્યું હતું કે તેમનું વહીવટીતંત્ર ન્યૂયોર્ક સિટીના લો ડિપાર્ટમેન્ટ (કાયદા વિભાગ) સાથે સતત સંપર્કમાં છે જેથી જાણી શકાય કે જો નેતન્યાહૂ શહેરમાં આવે છે તો સ્થાનિક પ્રશાસન પાસે કાનૂની રીતે શું અધિકારો છે. તેમણે કહ્યું,
"ન્યૂયોર્ક શહેરમાં કાયદો મને જેટલી મંજૂરી આપશે, અમે એટલી જ કાર્યવાહી કરીશું."
મમદાનીએ એ પણ સ્પષ્ટ કર્યું હતું કે તેમની ઓફિસ નેતન્યાહૂની ધરપકડ માટે કોઈ નવો સ્થાનિક કાયદો બનાવવાનો પ્રયાસ કરી રહી નથી.
'નેતન્યાહૂની ધરપકડ નહીં થાય'
મમદાનીના આ નિવેદન પર પ્રતિક્રિયા આપતાં ટ્રમ્પે કહ્યું કે બેન્જામિન નેતન્યાહૂની અમેરિકામાં કોઈપણ રીતે, કોઈપણ સ્વરૂપે ધરપકડ કરવામાં આવશે નહીં. તેમણે કહ્યું,
"નેતન્યાહૂ ઇરાનના ઇસ્લામિક ગણરાજ્ય સામે લડી રહ્યા છે. હાલમાં જ ઇરાને 52,000 નિર્દોષ પ્રદર્શનકારીઓની હત્યા કરી છે અને પાછલા વર્ષોથી અમેરિકી સૈનિકો તેમજ અન્ય લોકોનો જીવ લેતું આવ્યું છે. ધરપકડ તો એ લોકોની થવી જોઈએ જેમણે ઇરાનને મોત અને તબાહીના આ અભૂતપૂર્વ તબક્કામાં ધકેલ્યું છે. આ સમસ્યા પહેલાના રાષ્ટ્રપતિઓએ જ બહુ વહેલી ઉકેલી લેવી જોઈતી હતી."
'ICC દ્વારા જાહેર કરાયેલું એરેસ્ટ વોરંટ ફેક છે'
બીજી તરફ, ઇઝરાયેલના વડાપ્રધાન કાર્યાલય (PMO)એ પણ મમદાનીના નિવેદનની સખત ટીકા કરતા આંતરરાષ્ટ્રીય ગુનાહિત ન્યાયાલય (ICC) દ્વારા જાહેર કરવામાં આવેલા અરેસ્ટ વોરંટને 'ફેક' (બનાવટી) ગણાવ્યું હતું અને ICCને 'દેખાવી અદાલત' કહી હતી. નિવેદનમાં જણાવાયું છે કે આ કોર્ટનો ન તો ઇઝરાયેલ પર કે ન તો અમેરિકા પર કોઈ અધિકારક્ષેત્ર છે. ઉલ્લેખનીય છે કે અમેરિકા રોમ સ્ટેચ્યુ (Rome Statute)નું સભ્ય નથી, તેથી તેના પર ICCના વોરંટના આધારે કોઈની ધરપકડ કરવાની કે તેને અદાલતને સોંપવાની કોઈ કાનૂની બાધ્યતા નથી.
'મુદ્દા પરથી ધ્યાન હટાવવા મમદાની આવું કરી રહ્યા છે'
PMOએ એવો પણ આરોપ લગાવ્યો હતો કે ICCના પૂર્વ પ્રોસિક્યુટર કરીમ ખાને પોતાના પર લાગેલા જાતીય ગેરવર્તણૂકના આરોપોથી ધ્યાન હટાવવા માટે નેતન્યાહૂ સામે ધરપકડ વોરંટ જાહેર કરાવ્યું હતું. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર જાહેર કરેલા નિવેદનમાં ઇઝરાયેલે આરોપ લગાવ્યો કે ઝોહરાન મમદાની પણ એ જ વ્યૂહરચના અપનાવીને ઇઝરાયેલને નિશાન બનાવી રહ્યા છે જેથી ન્યૂયોર્કના સ્થાનિક શાસનને લગતા મુદ્દાઓ પરથી લોકોનું ધ્યાન હટાવી શકાય. નિવેદનમાં કહેવામાં આવ્યું છે,
"કરીમ ખાનના કથિત ગુનાહિત વર્તનનું સમર્થન કરવાના બદલે શ્રી મમદાનીએ ન્યૂયોર્કમાં પોતાની નીતિઓથી થયેલા નુકસાનને સુધારવા પર ધ્યાન આપવું જોઈએ."
આ સાથે એવું પણ કહેવામાં આવ્યું હતું કે મેયર પોતાનું ધ્યાન 'યહૂદી રાષ્ટ્રના નેતા અને મધ્ય પૂર્વના એકમાત્ર લોકશાહી દેશ'ને નિશાન બનાવવામાં લગાવી રહ્યા છે.
ઇઝરાયેલે ગાઝામાં હુમલાનો ફરી બચાવ કર્યો
ઇઝરાયેલી સરકારે ગાઝામાં ચાલી રહેલા પોતાના સૈન્ય અભિયાનનો પણ બચાવ કર્યો હતો. સરકારનું કહેવું છે કે સેનાએ યુદ્ધ દરમિયાન નાગરિકોની સુરક્ષા માટે અભૂતપૂર્વ પગલાં લીધાં છે. સાથે જ આરોપ લગાવ્યો કે હમાસ નાગરિકોને માનવ ઢાલ તરીકે ઉપયોગ કરે છે. આ સમગ્ર વિવાદ નવેમ્બર 2024માં ICC દ્વારા નેતન્યાહૂ અને ઇઝરાયેલના પૂર્વ સંરક્ષણ મંત્રી યોઆવ ગેલન્ટ સામે જાહેર કરાયેલા અરેસ્ટ વોરંટ સાથે જોડાયેલો છે. તેમના પર ગાઝા યુદ્ધ દરમિયાન કથિત યુદ્ધ અપરાધો અને માનવતા વિરુદ્ધના અપરાધોના આરોપો મુકાયા છે, જેને ઇઝરાયેલ સતત નકારતું આવ્યું છે.

