જાપાનના વડા પ્રધાન શિગેરુ ઇશિબાએ આપ્યું રાજીનામું, જાણો કેમ?

શીગેરુ ઇશિબાએ જાપાનના વડા પ્રધાન પદ પરથી રાજીનામું આપ્યું છે. તેમણે શાસક લિબરલ ડેમોક્રેટિક પાર્ટી (LDP)માં સંભવિત વિભાજન ટાળવા માટે આ પગલું ભર્યું. જુલાઈમાં યોજાયેલી ચૂંટણીમાં જાપાનની શાસક ગઠબંધન સરકારને ઉપલા ગૃહમાં હારનો સામનો કરવો પડ્યો હતો. પક્ષમાં લાંબા સમયથી નેતૃત્વ પરિવર્તનની માંગ હતી.
ઉપલા ગૃહના ચૂંટણી પરિણામથી વડા પ્રધાન શિગેરુ ઇશિબાની સત્તા પરની પકડ વધુ નબળી પડી ગઈ, જોકે તેમણે પક્ષના વડા તરીકે રહેવાની જાહેરાત કરી. ઇશિબાએ આનું કારણ અમેરિકા સાથે ચાલી રહેલી ટેરિફ વાટાઘાટોને ગણાવી, જ્યાં તાજેતરમાં જ યુએસ પ્રમુખ ટ્રમ્પે જાપાન પર ટેરિફ 25 ટકાથી ઘટાડીને 15 ટકા કર્યો છે.
લિબરલ ડેમોક્રેટિક પાર્ટી (LDP) અને તેના સાથી કોમેઇટોએ જુલાઈમાં યોજાયેલી ચૂંટણીમાં કુલ 47 બેઠકો જીતી હતી, જ્યારે બહુમતી માટે ઓછામાં ઓછી 50 બેઠકોની જરૂર હતી. ઉપલા ગૃહમાં કુલ 248 બેઠકો છે અને આ ચૂંટણીમાં અડધી બેઠકો માટે મતદાન થયું હતું.
LDPનું ચૂંટણી પ્રદર્શન નબળું
ગયા વર્ષે ઓક્ટોબરમાં યોજાયેલી નીચલા ગૃહની ચૂંટણીમાં, LDPને છેલ્લા 15 વર્ષમાં તેના સૌથી ખરાબ પ્રદર્શનનો સામનો કરવો પડ્યો હતો. આને કારણે, ઇશિબા સરકાર હવે અવિશ્વાસ દરખાસ્તો અને પક્ષની અંદર નેતૃત્વ પરિવર્તનની માંગણીઓ વચ્ચે ફસાઈ ગઈ હતી. જુલાઈમાં ઉપલા ગૃહની ચૂંટણીના પરિણામો આવ્યા પછી, PM ઇશિબાએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, "હું આ કઠોર પરિણામને ગંભીરતાથી સ્વીકારું છું."

