ગાઝામાં યુદ્ધવિરામ અને ડઝનબંધ બંધકોને મુક્ત કરવા સમજૂતી સધાઈ, ઈઝરાયેલના વડાપ્રધાન નેતન્યાહૂની જાહેરાત

ઈઝરાયેલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ શુક્રવારે તેઓની કેબિનેટને જણાવ્યું હતું કે, ગાઝા પટ્ટીમાં બંદીવાન રખાયેલા અપહ્યતોની મુકિત માટે (હમાસ) સાથે સમજૂતી સધાઈ ગઈ છે. આ પૂર્વે વડાપ્રધાનના કાર્યાલયે જણાવ્યું હતું કે, વડાપ્રધાને રજૂ કરેલી યુદ્ધ વિરામ દરખાસ્ત અંગે છેલ્લી મિનિટે ઉપસ્થિત થયેલા અવરોધો દૂર કરવામાં આવ્યા છે.
દરમિયાન નેતન્યાહૂએ જણાવ્યું હતું કે તેઓ તેમની સિક્યોરિટી કાઉન્સિલની આજે (શુક્રવારે) સાંજે બેઠક બોલાવવાના છે. નેતન્યાહૂએ વધુમાં જણાવ્યું હતું કે, ઈઝરાયેલ યુદ્ધનાં તમામ ધ્યેયો સિદ્ધ કરવા પ્રતિબદ્ધ છે. તેમાં બંદીવાન રખાયેલા તમામ બંધકો જીવંત કે મૃતને પરત મેળવવામાં આવશે.
1200 જેટલા ઈઝરાયલી નાગરિકોની હત્યા કરી હતી
7 ઓકટો. 2023ના દિને ગાઝામાંથી આવેલા આતંકીઓએ 1200 જેટલા ઈઝરાયલી નાગરિકોની હત્યા કરી હતી અને 250 જેટલા નાગરિકોને બંદીવાન બનાવ્યા હતા. ત્યારથી ઈઝરાયલ હમાસ વચ્ચે ખૂનખાર યુદ્ધ ચાલી રહ્યું છે. તેમાં 46000 થી વધુ પેલેસ્ટાઈનીઓએ જાન ગુમાવ્યા છે. આ યુદ્ધ અંગે ઘણા ઘણા રાઈટસ ગુ્રપે ઈઝરાયલ ઉપર વોર ક્રાઇમ્સના આક્ષેપો કર્યા છે. જેનો ઈઝરાયલે સતત ઇનકાર કરે રાખ્યો છે.
આ પરિસ્થિતિમાં પણ ઈઝરાયલી વડાપ્રધાનનું આ નિવેદન (ગાઝા યુદ્ધમાં) કોઈ સમજૂતી સધાઈ તેવી આશા જન્માવે છે. સાથે જે હજ્જારો પેલેસ્ટાઈનીયન્સ પોતાના ઘરબાર છોડી ચાલ્યા ગયા હતા, નાસી ગયા હતા, તેઓ હવે ફરીથી પોતાનાં રહ્યા સહ્યા ઘરમાં પાછા ફરી શકશે. ગાઝા પટ્ટી ફરી જીવંત બની રહેશે.
આ સમજૂતી શુક્રવારે (યુદ્ધ વિરામ સમજૂતી) સધાઈ તે પૂર્વે થોડો અવરોધ ઊભો થયો હતો. હમાસે કેટલાક કારણો (બહાના) પણ તે અંગે દર્શાવ્યા હતા. પરંતુ હવે તે દૂર કરાયા છે. તે માટે બાયડેન અને ટ્રમ્પે કતારમાં યુદ્ધ વિરામ મંત્રણા માટે મોકલેલી ટુકડીઓએ મહત્ત્વની ભૂમિકા ભજવી હોવાનું માનવામાં આવે છે.
આ પણ વાંચો : ઇઝરાયલ અને હમાસ યુદ્ધવિરામ પર સંમત થયા, 15 મહિના પછી યુદ્ધ થશે બંધ
હમાસને નમતું જોખ્યા સિવાય બીજો ઉપાય જ ન હતો
આ પૂર્વે હમાસે આક્ષેપો કર્યા હતા તે સામે ઈઝરાયલે પણ આક્ષેપો કર્યા હતા. પરંતુ હવે સામ સામી આક્ષેપબાજી બંધ થઈ હોય તેવું લાગે છે. અને તત્કાળ પુરતો તો આ યુદ્ધ વિરામ અમલી બની શકશે અને અપહ્યતો મુક્ત થઈ શકશે. તેવું આશાનું કિરણ દેખાઈ રહ્યું છે. જો કે આ પૂર્વે ઈજીપ્તની સરહદે આવેલો ગાઝા પટ્ટીનો ફીલાડેલ્ફીયા કોરિડોર પણ ઈઝરાયલે હાથમાં લઈ લીધો છે.
કેટલાક વિશ્લેષકોનું માનવું છે કે ટ્રમ્પ 20 મી જાન્યુ. પૂર્વે સત્તા સંભાળે તે પહેલા યુદ્ધ વિરામ કરી બંધકોને સોંપી દેવાનું હમાસે વિચાર્યું હશે. કારણ કે તેને ભીતિ હશે કે ટ્રમ્પ સત્તાધીશ બન્યા પછી તો તેઓ (જો બંધકોને નહીં છોડાય તો) તૂટી પડવા શપથબદ્ધ હતા. તેથી હમાસને નમતું જોખ્યા સિવાય બીજો ઉપાય જ ન હતો.

