સાઉદીમાં અમેરિકી એરબેઝ પર ઈરાનનો હુમલો, 5 વિમાનો ડેમેજ કર્યાનો દાવો; અમેરિકનોને ઓમાન છોડવા આદેશ

Iran vs Israel and USA War Updates : મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ભીષણ જંગ વચ્ચે અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સાઉદી અરેબિયામાં આવેલા અમેરિકન એરબેઝ પર ઈરાને મિસાઈલથી હુમલો કર્યો છે, જેમાં અમેરિકાના 5 વિમાનોને નુકસાન થયું છે.
નોન ઈમરજન્સી કર્મચારીઓ અને તેમના પરિવારો ઓમાન છોડો : અમેરિકાનો આદેશ
અમેરિકાના વિદેશ મંત્રાલયે શુક્રવારે મોડી રાતે ઓમાનમાં રહેતાં અમેરિકન્સ માટે અચાનક મોટો આદેશ જાહેર કરી દીધો. તેમાં જણાવાયું કે ઓમાનમાં રહેતા અમેરિકાના નોન ઈમરજન્સી કર્મચારીઓ અને તેમના પરિવારો તાત્કાલિક ધોરણે ઓમાન છોડી દે. તેમના જીવને ખતરો હોઈ શકે છે. આ સાથે લેવલ-3ની ટ્રાવેલ એડવાઈઝરી પણ જાહેર કરી દેવામાં આવી હતી.
સાઉદી અરેબિયાના એરબેઝ પર હુમલો
વોલ સ્ટ્રીટ જર્નલના અહેવાલ મુજબ, સાઉદી અરેબિયામાં આવેલા 'પ્રિન્સ સુલતાન એરબેઝ' પર ઈરાને મિસાઈલ હુમલો કર્યો હતો. આ હુમલામાં અમેરિકન વાયુસેનાના 5 રિફ્યુલિંગ વિમાનો (KC-135) ગંભીર રીતે ક્ષતિગ્રસ્ત થયા છે. જોકે, રાહતની વાત એ છે કે આ હુમલામાં કોઈ જાનહાનિ થઈ નથી. અહેવાલમાં એવો દાવો પણ કરાયો છે કે આ વિમાનો હજુ સક્રિય મોડમાં છે અને તેનું સમારકામ ચાલી રહ્યુ છે.
ઈરાકમાં અમેરિકન વિમાન દુર્ઘટનામાં 6 જવાનોના મોત
અમેરિકન સેનાએ પુષ્ટિ કરી છે કે પશ્ચિમ ઈરાકમાં ક્રેશ થયેલા KC-135 રિફ્યુલિંગ એરક્રાફ્ટમાં સવાર તમામ 6 ક્રૂ મેમ્બર્સના મોત થયા છે. આ દુર્ઘટનામાં અન્ય એક વિમાન પણ સામેલ હતું, જે સુરક્ષિત રીતે લેન્ડ થઈ ગયું છે. આ ઘટના પાછળ કોઈ દુશ્મનનો હુમલો નહીં પરંતુ ટેકનિકલ કારણો હોવાની આશંકા છે.
ઈરાકી જૂથનો મોટો દાવો
બીજી તરફ, ઈરાન સમર્થિત ઈરાકી જૂથ 'ઈસ્લામિક રેઝિસ્ટન્સ ઇન ઈરાક' એ દાવો કર્યો છે કે તેઓએ જ અમેરિકન વિમાનને તોડી પાડ્યું છે. જોકે, અમેરિકન સેન્ટ્રલ કમાન્ડે (CENTCOM) હજુ સુધી કોઈ દુશ્મનાવટભર્યા હુમલાની પુષ્ટિ કરી નથી અને તપાસ ચાલુ છે.
અત્યાર સુધીમાં 13 અમેરિકન સૈનિકોએ જીવ ગુમાવ્યા
28 ફેબ્રુઆરીથી શરૂ થયેલા આ ઓપરેશનમાં અત્યાર સુધીમાં કુલ 13 અમેરિકન જવાનો શહીદ થયા છે. અગાઉ કુવૈત અને સાઉદી અરેબિયામાં ડ્રોન હુમલામાં 7 જવાનોના મોત થયા હતા, જ્યારે ગઈકાલની દુર્ઘટનામાં વધુ 6 જવાનોએ જીવ ગુમાવ્યો છે. રિપોર્ટ્સ મુજબ, આ યુદ્ધમાં અત્યાર સુધીમાં આશરે 150 અમેરિકન સૈનિકો ઘાયલ થયા છે.
ડોનાલ્ડ ટ્રમ્પની ચેતવણી
ડોનાલ્ડ ટ્રમ્પ અને સંરક્ષણ સચિવ પીટ હેગસેથે ચેતવણી આપી છે કે ઈરાન વિરુદ્ધનું અભિયાન ચાલુ રહેશે. ટ્રમ્પે અગાઉ પણ કહ્યું હતું કે ઈરાન વળતો પ્રહાર કરશે, જેના કારણે જાનહાનિ વધી શકે છે, પરંતુ અમેરિકા પીછેહઠ કરશે નહીં.

