બ્રિટનની ટ્રેનમાં અંધાધૂંધ હુમલો, જીવ બચાવવા ટોઇલેટમાં છુપાયા લોકો; 9 લોકો ઈજાગ્રસ્ત

યુનાઇટેડ કિંગડમમાં ટ્રેનની અંદર લોકો પર ચાકૂથી અંધાધૂંધ હુમલો કરવામાં આવ્યો હતો. પૂર્વી ઇંગ્લેન્ડના કેમ્બ્રિજશાયરમાં ટ્રેનમાં ચાકૂના આ હુમલાની ઘટના બાદ અનેક લોકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મળતી માહિતી અનુસાર, આ લોકોમાં 10 લોકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જેમાંથી 9 લોકોને જીવલેણ ગંભીર ઈજા થઈ હતી. આ ઘટના બાદ મોટા પાયે પોલીસ અને એમ્બ્યુલન્સ સહિતની ઇમરજન્લી સેવાનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે હાલ આ મામલે બે શંકાસ્પદોની ધરપકડ કરી લીધી છે.
બ્રિટિશ પોલીસે બેની ધરપકડ કરી
બ્રિટિશ ટ્રાન્સપોર્ટ પોલીસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પુષ્ટિ કરી કે, "અમે હાલમાં હન્ટિંગડન જતી ટ્રેનમાં બનેલી એક ઘટના પર કાર્યવાહી કરી રહ્યા છીએ, જ્યાં અનેક લોકો પર ચાકૂથી હુમલો કરવામાં આવ્યો હતો. આ મામલે બે શંકાસ્પદ વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે. હાલ અનેક લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
પ્રત્યક્ષદર્શીનો દાવો
અહેવાલ અનુસાર, એક પ્રત્યક્ષદર્શીએ સ્થાનિક મીડિયાને જણાવ્યું હતું કે, 'મેં એક વ્યક્તિને મોટા ચાકૂ સાથે જોયો હતો. બધે લોહી જ લોહી હતું અને લોકો પોતાનો જીવ બચાવવા માટે ટૉઇલેટમાં સંતાઈ ગયા હતા. મુસાફરો ભાગવાના પ્રયાસમાં એકબીજા પર પડી રહ્યા હતા. કેટલાક લોકો 'અમે તમને પ્રેમ કરીએ છીએ' (We love you) એવી ચીસો પાડતા હતા.'
બ્રિટિશ વડાપ્રધાને ચિંતા વ્યક્ત કરી
બ્રિટનના વડાપ્રધાન કીર સ્ટાર્મરએ આ ભયાનક ઘટનાને અત્યંત ચિંતાજનક ગણાવી છે. સ્ટાર્મરે 'X' પર એક નિવેદનમાં કહ્યું કે, 'આ ઘટનાથી અસરગ્રસ્ત તમામ લોકો સાથે મારી સંવેદનાઓ છે, હું ઝડપી કાર્યવાહી માટે તમામ ઇમરજન્સી સેવાઓનો આભાર માનું છું. આ સાથે લોકોને અપીલ કરૂ છું કે, પોલીસની સલાહનું પાલન કરવામાં આવે.'
બ્રિટનમાં વધી ચિંતા
સરકારી આંકડાઓ અનુસાર, ઇંગ્લેન્ડ અને વેલ્સમાં ચાકૂ સંબંધિત ગુનાઓ 2011થી સતત વધી રહ્યા છે. બ્રિટનમાં બંદૂકો પર વિશ્વનું સૌથી કડક નિયંત્રણ છે, તેથી ગુનાઓ માટે લોકો ચાકૂનો સહારો લે છે. વડાપ્રધાન સ્ટાર્મરે ચાકૂથી કરતા ગુનાઓને રાષ્ટ્રીય સંકટ ગણાવ્યું છે અને તેમની લેબર સરકારે તેના ઉપયોગ પર નિયંત્રણ લાવવાનો પ્રયાસ કર્યો છે.
આંતરિક મંત્રાલયે બુધવારે જણાવ્યું હતું કે, એક દાયકાની અંદર ચાકૂના ગુનાને અડધો કરવાના સરકારી પ્રયાસો હેઠળ ઇંગ્લેન્ડ અને વેલ્સમાં લગભગ 60,000 બ્લેડ જપ્ત કરવામાં આવ્યા છે અથવા આત્મસમર્પણ કરવામાં આવ્યા છે. જાહેરમાં ચાકૂ રાખવા બદલ ચાર વર્ષ સુધીની જેલ થઈ શકે છે. જોકે, સરકારે કહ્યું કે ગત વર્ષે ચાકુથી થયેલી હત્યાની ઘટનાઓમાં 18 ટકાનો ઘટાડો નોંધાયો છે.

