ભારતીય નેવીએ ખોલી પોલ! ચીન પાકિસ્તાનને આપી રહ્યું છે સબમરિન, નૌકાદળ સ્થિતિ પર રાખી રહ્યું છે નજર

નૌકાદળને જાણ થઈ છે કે, ચીન પાકિસ્તાનને સબમરીન આપી રહ્યું છે. ભારતીય નોસેનાના ડેપ્યુટી ચીફ વાઇસ એડમિરલ સંજય વાત્સ્યાયને આ જાણકારી આપી છે. તેમણે કહ્યું કે, નૌકાદળ સ્થિતિ પર નજર રાખી રહી છે. દેશની સમુદ્રી સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે પગલાં લેવામાં આવશે.
ચીને ત્રીજું વિમાનવાહક જહાજ કાર્યરત કર્યું.
નોંધનીય છે કે, નવી દિલ્હીમાં નવીનતા અને સ્વદેશીકરણ પર સ્વાવલંબન 2025 કાર્યક્રમનું આયોજન થયું હતું. આ પહેલાં પત્રકારો સાથે વાત કરતાં સંજય વાત્સ્યાયને કહ્યું કે, ચીને પોતાના ત્રીજા વિમાનવાહક જહાજ, ફુજિયનને કાર્યરત કરી દીધું છે. ઇલેક્ટ્રોમેગ્નેટિક લોન્ચ સિસ્ટમથી સજ્જ, આ યુદ્ધ જહાજને ચીનનું સૌથી અદ્યતન જહાજ કહેવામાં આવી રહ્યું છે. આ જહાજને આ મહિનાની શરૂઆતમાં ચીનના પ્રમુખ શી જિનપિંગ દ્વારા હાજરી આપેલા એક ગુપ્ત સમારોહ દરમિયાન સેવામાં સામેલ કરવામાં આવ્યું હતું.
નૌકાદળના વાઇસ ચીફને ચીન દ્વારા પાકિસ્તાનને સબમરીન અને અન્ય લશ્કરી સાધનો સપ્લાય કરવા વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે જવાબ આપ્યો, "તે સાચું છે અને અમે તેનાથી સંપૂર્ણપણે વાકેફ છીએ. અમે જાણીએ છીએ કે તેઓ પાકિસ્તાનને સબમરીન સપ્લાય કરી રહ્યા છે. તેની તૈનાતી પણ ખૂબ જલદી શરૂ થશે. અમે દરેક સ્થિતિ પર નજર રાખી રહ્યા છીએ.'
ભારત-પાકિસ્તાન સૈન્ય અથડામણ પર રિપોર્ટ
બીજી બાજું, પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે અમેરિકન સાંસદને સોંપવામાં આવેલા હાલના જ એક રિપોર્ટના વખાણ કર્યા છે. તેમણે કહ્યું કે, આ રિપોર્ટ મે મહિનામાં ચાર દિવસના સંઘર્ષ દરમિયાન ભારત પર પાકિસ્તાનની સૈન્ય સફળતાના દાવાનું સમર્થન કરે છે. જોકે, પાકિસ્તાનના મુખ્ય સહયોગી ચીને આ રિપોર્ટને ભ્રામક જાણકારી કહીને નકારી દીધું છે. ડૉન અખબારના અહેવાલ અનુસાર, પાકિસ્તાનના કબ્જા હેઠળનું કાશ્મીર (PoK)માં એક કાર્યક્રમમાં શરીફે સેના પ્રમુખ આસીમ મુનીરના નેતૃત્વના પણ વખાણ કર્યા હતા. અમેરિકા-ચીન અને સુરક્ષા સમીક્ષા પંચના અહેવાલ અનુસાર, ભારત-પાકિસ્તાન વિવાદ અને ચીની હથિયારોના ઉપયોગ વિશે વાત કરવામાં આવી છે.

