VIDEO: નેપાળમાં જળપ્રલય: 362નાં મોત, 30થી વધુ દેશોના નાગરિકો લાપતા; ભોટેકોશી નદીમાં ફરી પૂરનો ખતરો
નેપાળમાં અચાનક આવેલા વિનાશક પૂર અને જળપ્રલય બાદ ત્યાં ફસાયેલા ભારતીય નાગરિકો અંગે ભારત સરકારના વિદેશ મંત્રાલયે સત્તાવાર વિગતો જાહેર કરી છે. નવી દિલ્હીમાં પ્રેસ બ્રીફિંગ દરમિયાન વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું કે અસરગ્રસ્ત વિસ્તારોમાં કોમ્યુનિકેશન વ્યવસ્થા સંપૂર્ણપણે ખોરવાઈ જવાને કારણે હાલ આશરે 362 ભારતીય નાગરિકો સાથે સંપર્ક થઈ શક્યો નથી. ભારત સરકાર નેપાળની સરકાર સાથે સતત સંકલનમાં છે અને ગુરુવારે તમિલનાડુના 21 નાગરિકોને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરી લેવામાં આવ્યા છે. નેપાળ ઉપરાંત સરહદ પાર ચીનના ક્ષેત્રમાં પણ મોટી સંખ્યામાં ભારતીયો ફસાયા હોવાની માહિતી સામે આવી છે. વિદેશ મંત્રાલયે જણાવ્યું કે કૈલાશ માનસરોવર યાત્રા પર ગયેલા આશરે 200 જેટલા ભારતીય નાગરિકો હાલ ચીન તરફના વિસ્તારમાં અટવાયેલા છે અને તેમણે ભારત સરકાર પાસે મદદ માંગી છે. બેઇજિંગ સ્થિત ભારતીય દૂતાવાસ ચીન સાથે સંકલન કરીને આ તમામ નાગરિકોને સુરક્ષિત બહાર કાઢવા માટે પૂરતા પ્રયાસો કરી રહ્યું છે.

