ભારત પર અલ-કાયદાના મોટા હુમલાનું ષડયંત્ર? મોસ્ટ વોન્ટેડ આતંકી બાંગ્લાદેશમાં ખુલ્લેઆમ ફરતાં સીમા પર હાઇ એલર્ટ!

આંતરરાષ્ટ્રીય રિપોર્ટ પ્રમાણે અલ-કાયદા નાના નાના મોડયુલ દ્વારા દક્ષિણ અને દક્ષિણ પૂર્વ એશિયામાં પોતાનો પંજો પ્રસારી રહ્યું છે. આ સ્થિતિ જોતાં ભારતે પૂર્વ સીમા પર તકેદારી વધારી દીધી છે.
અલ-કાયદા - ઇન- ઇંડીયા સબ કોન્ટીનન્ટ (એકયુઆઇએસ)નો બીજા ક્રમાંકનો સૌથી મોટો આતંકી- ઇકરામ-અલ- હક્ક બાંગ્લાદેશમાં ખુલ્લે આમ ઘૂમી રહ્યો છે. શેખ હસીનાના પુત્ર સાજીબ વાજેદે આ પોલ ખોલી દીધી છે. તેમણે તે માટે તારિક રહેમત સરકાર ઉપર પણ નિશાન સાધ્યું હતું. બીજી તરફ સંયુક્ત રાષ્ટ્ર સલામતી પરિષદે પણ તેના એક રિપોર્ટમાં સ્પષ્ટત: જણાવ્યું છે કે અલ-કાયદા- બાંગ્લાદેશની ધરતીનો ઉપયોગ કરી ભારતીય ઉપમહાદ્વિપમાં પોતાના કેડર અને નેટવર્કનો વિસ્તાર કરી રહ્યું છે.
ભારતની નેશનલ ઇન્ટેલિજન્સ એજન્સી (એનઆઇએ)ના મોસ્ટ વોન્ટેડ લિસ્ટમાં આશરે 10 ખતરનાક આતંકી મામલામાં ઇકરામ-ઉલ- હક્ક ઉર્ફે અબુતાલ્હા અંગે સલામતિ એજન્સીઓ વિશેષ સતર્ક રહી છે. 2018માં ભારત આવેલા ઇકરામ-ઉલ- હક્કે બનાવટી કાગળો તૈયાર કરી તે પરથી પાસપોર્ટ બનાવડાવ્યો અને પશ્ચિમ બંગાળ, મધ્ય પ્રદેશ તથા ગુજરાત સુધી નેટવર્ક ઉભુ કર્યું.
2023માં ઢાકામાં તેની ધરપકડ થઇ હતી. તે પછી ઓગસ્ટ ૨૦૨૪માં બનેલી રાજકીય ઉથલ પાથલ પછી ઓકટોબરમાં તેને જામીન મળી ગયા. અત્યારે તે ક્યાં છે તે વિષે કોઈ માહિતી પ્રાપ્ત નથી.
મૌલાના ઇકરામ ઉલ-હક્ક તેવું નામ સાંભળી કોઇને પણ તે કોઇ મદ્રેસાનો શિક્ષક હોય તેમ લાગે. પરંતુ બાંગ્લાદેશ માટે તે માથાનો દુ:ખાવો બની રહ્યો છે. તેને પકડવા માટે બાંગ્લાદેશની તારીક રહેમાન સરકાર કોઇ પ્રયત્નો ખરા અર્થમાં કરતી જ નથી. તે સૌથી વધુ આશ્ચર્યજનક છે. તેટલું જ નહીં પરંતુ આતંકી લિસ્ટમાં જાહેર કરાયેલા બીજા ૧૮૫ આતંકીઓ પણ મુક્ત રીતે ઘૂમે છે.

