VIDEO: ‘દરરોજ 30-40 લોકોને મારી નાખવા જોઈએ’, ગાજા મુદ્દે ઈઝરાયલના મંત્રી બેન-ગ્વિરનું વિવાદિત નિવેદન
Itamar Ben Gvir: ઈઝરાયલના રાષ્ટ્રીય સુરક્ષા મંત્રી ઈતામાર બેન-ગ્વિરે ગાજામાં ઈઝરાયલી હુમલાઓને વધુ તીવ્ર બનાવવાની માંગ કરી છે. તેમણે જણાવ્યું છે કે ગાજામાં દરરોજ રાત્રે 30થી 40 લોકોને મારી નાખવા જોઈએ. બેન-ગ્વિરે આ વિવાદાસ્પદ નિવેદન ગાજાના પૂર્વ બંધક રોમ બ્રાસ્લાવસ્કી સાથેના એક પોડકાસ્ટ દરમિયાન આપ્યું હતું. આ સાથે તેમણે પીએમ નેતન્યાહૂ પર પણ નિશાન સાધતા કહ્યું હતું કે છેલ્લા કેટલાક દિવસોમાં ગાજા પર ઈઝરાયલી હુમલામાં ઘટાડો થયો છે, જેની સાથે તેઓ બિલકુલ સહમત નથી.
દરરોજ રાત્રે 30થી 40 લોકોને ખતમ કરવાની વકીલાત
ઈતામાર બેન-ગ્વિરે પોડકાસ્ટમાં ખુલ્લેઆમ કહ્યું હતું કે, 'એ કોઈનાથી છૂપું નથી કે હું પીએમ સાથે સહમત નથી. મારું માનવું છે કે ગાજામાં લક્ષિત હત્યાઓ (ટાર્ગેટેડ કિલિંગ) થવી જોઈએ અને દરરોજ રાત્રે 30થી 40 લોકોને ખતમ કરી દેવા જોઈએ.' ઈઝરાયલની કટ્ટર દક્ષિણપંથી રાજનીતિના મહત્ત્વના ચહેરા ગણાતા બેન-ગ્વિરના આ આકરા નિવેદનથી આંતરરાષ્ટ્રીય સ્તરે ફરી એકવાર મોટો વિવાદ ઊભો થયો છે. ઈઝરાયલી અધિકારીઓના આવા નિવેદનો અગાઉ પણ આંતરરાષ્ટ્રીય ન્યાયાલયમાં નરસંહારના આરોપોથી જોડાયેલી સુનાવણીમાં પુરાવા તરીકે રજૂ કરવામાં આવ્યા છે, જોકે ઈઝરાયલ આ આરોપોને સતત ફગાવતું રહ્યું છે.
ગાજાથી વિસ્થાપન અને ઈઝરાયલી વસાહતની યોજના
ઉલ્લેખનીય છે કે બેન-ગ્વિર પાસે ઈઝરાયલી સેનાને સીધો આદેશ આપવાનો અધિકાર નથી, પરંતુ તેઓ દેશની પોલીસ અને જેલ સેવાના વડા છે, જેના કારણે સુરક્ષા વ્યવસ્થાના એક મોટા ભાગ પર તેમનો પ્રભાવ છે. તેમણે ગાજામાંથી પેલેસ્ટાઈનના લોકોના મોટા પાયે વિસ્થાપન અને ત્યાં ઈઝરાયલીઓને વસાવવાની પણ પૂરજોશ વકીલાત કરી છે. જોકે આંતરરાષ્ટ્રીય કાનૂની નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે આવી નીતિઓથી વંશીય સફાયા (એથનિક ક્લીન્સિંગ) જેવા ગંભીર આરોપો લાગી શકે છે.
શાંતિ વાટાઘાટો વચ્ચે ગાજા પર ઈઝરાયલના હુમલા યથાવત
આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ગાજા શાંતિ યોજનાને આગળ ધપાવવા માટે કૂટનીતિક પ્રયાસો ઝડપી બન્યા છે. ટ્રમ્પના દૂત જેરેડ કુશ્નર અને નિકોલાય મ્લાદેનોવે રવિવારે કાહિરામાં મિસર, કતાર અને તૂર્કિયેના મધ્યસ્થીઓ સાથે મુલાકાત કરી હતી, જેમાં હમાસના અધિકારીઓ પણ સામેલ હતા. બીજી તરફ, ગાજામાં ઈઝરાયલી હુમલા સતત ચાલુ છે. ઈઝરાયલી સેનાએ ખાન યુનિસ અને નુસેરાતમાં હમાસ તેમજ ઈસ્લામિક જેહાદના ઠેકાણાઓ પર હુમલો કરવાનો દાવો કર્યો છે, જેમાં ઓછામાં ઓછા 5 લોકો ઘાયલ થયા છે અને 1 વ્યક્તિનું મોત થયું છે.

