VIDEO: નેપાળમાં જળપ્રલય વચ્ચે 142 ભારતીયો સહિત 291 વિદેશીઓ લાપતા! ઈમરજન્સી હેલ્પલાઈન નંબર જાહેર કરાયો
નેપાળની તિબેટ સાથે જોડાયેલી સરહદ પર રસૂવામાં અચાનક આવેલા ભયાનક પુરને કારણે ભારે ખાનાખરાબી થઈ હોવાના સમાચાર છે. આ પૂરમાં કેટલાય ગામો તણાઈ ગયા. પૂરનું પાણી પોતાની સાથે વીજ પ્રોજેક્ટ્સ અને પુલોને પણ વહાવી ગયું. આ પૂર તિબેટથી નેપાળ તરફ વહેતી ભોટેકોશી નદીમાં આવ્યું. નેપાળના કેટલાક જિલ્લાઓને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે. નેપાળના પ્રવાસન બોર્ડે 142 ભારતીય સહિત 291 વિદેશી નાગરિકોના પૂર બાદ ગુમ થયાની માહિતી આપી છે. બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલી યાદી મુજબ 93 નેપાળી નાગરિકો પણ ગુમ છે. રસૂવામાં 7 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. હજુ પણ કેટલીય જગ્યાએ રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ છે. 5 જિલ્લાઓમાં પૂરથી ભયાનક તબાહી મચી છે.
લાપતા પ્રવાસીઓની શોધખોળ શરૂ
નેપાળ પ્રવાસન બોર્ડ દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ, આ ઘટના બુધવારે સવારે લગભગ સાડા આઠ વાગ્યે અચાનક બની હતી. બોર્ડે જણાવ્યું છે કે બોર્ડ, ટુરિસ્ટ પોલીસ અને અન્ય લોકો સાથે મળીને લાપતા પ્રવાસીઓની શોધખોળ કરવામાં આવી રહી છે. ટ્રાવેલ કંપનીઓ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ 291 વિદેશી અને 93 નેપાળી નાગરિકો અસરગ્રસ્ત વિસ્તારોમાં ગુમ થયા હોવાનું કહેવાય છે. આ આંકડાઓની ટૂર એજન્સીઓ, ગાઈડો, સુરક્ષા અધિકારીઓ અને સ્થાનિક અધિકારીઓ દ્વારા પુષ્ટિ કરાવવાના પ્રયાસો થઈ રહ્યા છે.
ટ્રાવેલ એજન્સીઓ અનુસાર ગુમ થયેલા લોકોની માહિતી
અચાનક આવેલા પૂર બાદ સ્માર્ટ ટુર્સ એન્ડ ટ્રાવેલની સેવાઓ લેનારા 59 ભારતીય પ્રવાસીઓ, કાઠમંડુ હોલિડે ટૂર એન્ડ ટ્રાવેલની સેવાઓ લેનારા એક ઓસ્ટ્રેલિયન અને નેધરલેન્ડના એક પ્રવાસી, લીફ હોલિડેની સેવાઓ લેનારા 46 ભારતીય પ્રવાસીઓ, કૈલાશ જર્નીની સેવા લેનારા 26 લોકો (જેમની નાગરિકતાની પુષ્ટિ હજુ થઈ નથી.), ટ્રેકર્સ સોસાયટીની સેવા લેનારા 77 પ્રવાસીઓ (જેમની નાગરિકતાની પુષ્ટિ હજુ થઈ નથી.), રિચા ટુર્સ એન્ડ ટ્રાવેલની સેવા લેનારા આઠ લોકો (જેમની નાગરિકતાની પુષ્ટિ હજુ થઈ નથી.), ફિશટેલ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સની સેવાઓ લેનારા ત્રણ અમેરિકન અને 17 મલેશિયાઈ પ્રવાસીઓ, હિમાલયન ગ્લેશિયરની સેવાઓ લેનારા 37 અપ્રવાસી ભારતીયો (NRI) અને અલ્પાઇન ઇકો ટ્રેકની સેવાઓ લેનારા યુકેના 12 અને દક્ષિણ આફ્રિકાના ચાર પ્રવાસીઓ ગુમ છે. તેમની સાથે ગયેલા 93 નેપાળી નાગરિકો પણ ગુમ હોવાની પ્રાથમિક માહિતી છે.
ઈમરજન્સી સેવાઓ માટેના મહત્વના હેલ્પલાઈન નંબર
નેપાળ પ્રવાસન બોર્ડ દ્વારા જાહેર કરાયેલા નિવેદન મુજબ, કોઈપણ કટોકટીની સેવા માટે હોટલાઈન નંબર 1144 અને ટુરિસ્ટ પોલીસના નંબર 9851289445 પર ફોન કરીને માહિતી મેળવી શકાય છે.
બિહારમાં ગંડક નદીને લઈને હાઈ એલર્ટ જાહેર
નેપાળમાં આપત્તિ બાદ બિહાર હાઈ એલર્ટ પર છે. બિહારમાં આપત્તિ વ્યવસ્થાપન વિભાગે ગંડક નદીમાં ફ્લેશ ફ્લડનું એલર્ટ જાહેર કર્યું છે. ખતરાને ધ્યાનમાં રાખીને મુખ્ય સચિવની અધ્યક્ષતામાં ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ છે, જેમાં NDRF અને SDRFને તૈયારીઓ પૂર્ણ કરવા જણાવાયું છે. નેપાળની ગંડક નદી સાથે જોડાયેલા બિહારના જિલ્લાઓને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે. પશ્ચિમ ચંપારણ, પૂર્વ ચંપારણ, ગોપાલગંજ, સારણ, મુઝફ્ફરપુર અને વૈશાલીમાં વિશેષ તકેદારી રાખવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. તમામ જિલ્લા મેજિસ્ટ્રેટોને નદીના જળસ્તર, તટબંધો, નીચાણવાળા વિસ્તારો, પુલો અને અન્ય સંવેદનશીલ વિસ્તારો પર સતત નજર રાખવા તેમજ સ્થાનિક સમુદાયને સમયસર એલર્ટ કરવાના નિર્દેશ આપવામાં આવ્યા છે.

