VIDEO: મહારાષ્ટ્રના રાજકારણમાં નવા વળાંકના સંકેત: ફડણવીસે કર્યા ઉદ્ધવ ઠાકરેના વખાણ, શું ફરી 'યુતિ'ના દિવસો પાછા આવશે?
VIDEO: મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે વિધાનપરિષદમાં ઉદ્ધવ ઠાકરે જૂથની શિવસેના પાર્ટીની પ્રશંસા કરીને રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચાવી દીધી છે. ઉદ્ધવ ઠાકરેનો વિધાનપરિષદ સભ્ય તરીકેનો કાર્યકાળ મે મહિનામાં પૂરો થવાના છે ત્યારે આ નિવેદનને માત્ર શિષ્ટાચાર નહિ, પરંતુ ભવિષ્યના રાજકીય સંકેત તરીકે જોવામાં આવ્યું છે
મહારાષ્ટ્રના વિધાનપરિષદમાં સંબોધન કરતા મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વ, વહીવટી અનુભવ અને રાજકીય અભિગમની પ્રશંસા કરી. તેમણે કહ્યું કે મુશ્કેલ સમયમાં ઉદ્ધવ ઠાકરેએ રાજ્યનું નેતૃત્વ કર્યું અને રાજકીય મતભેદો હોવા છતાં તેમની કાર્યશૈલીમાં સંતુલન અને સંવાદની ભાવના જોવા મળે છે. ફડણવીસે જણાવ્યું કે ઉદ્ધવ ઠાકરેના સ્વભાવમાં રાજકારણ થોડું ઓછું છે. તેમનું વ્યક્તિત્વ રાજકારણી જેવું નથી. તેઓ એક ફોટોગ્રાફર છે અને મહારાષ્ટ્રના અલગ અલગ રંગોને પોતાના કેમેરામાં કેદ કર્યા છે. તેમણે ઉદ્ધવને શબ્દોના માણસ તરીકે વર્ણવ્યા અને કહ્યું કે તેમનો મૂળ સ્વભાવ સંબંધો જાળવવાનો છે.
ફડણવીસે 2019 ઘટનાક્રમનો ઉલ્લેખ કરતા કહ્યું કે જેમણે મારો હાથ પકડવાનો હતો, તેઓ શબ્દો પકડીને બેઠા છે. લોકશાહીમાં વિચારધારાઓ અલગ હોય તો પણ સંવાદ અને સહયોગ જરૂરી છે.જવાબમાં ઉદ્ધવ ઠાકરેએ મુખ્યમંત્રીનો આભાર માન્યો અને કહ્યું કે રાજકારણમાં મતભેદો સ્વાભાવિક છે, પરંતુ રાજ્યનું હિત સર્વોપરી હોવું જોઈએ. તેમણે જણાવ્યું કે જો વાતચીત જારી રહેશે તો ઘણી સમસ્યાઓનું નિરાકરણ થઈ શકે છે. ઠાકરેએ મજાકમાં ફડણવીસને પૂછ્યું કે તમારે બીજા કોઈનો હાથ પકડવાનું કારણ શું હતું. રાજકીય વિશ્લેષકો આ બંને નેતાઓ વચ્ચેના નરમ સ્વરને મહારાષ્ટ્રના ભવિષ્યના રાજકીય સમીકરણો માટે મહત્વપૂર્ણ સંકેત માની રહ્યા છે.

